સ્ટેચ્યુ ઓફ યુનિટી દેશની આન બાન શાન બની ગયું છે. કેવડીયા ખાતે નિર્મિત વિશ્વની સૌથી ઉંચી સરદાર સાહેબની પ્રતિમા 'સ્ટેચ્યું ઓફ યુનિટી' પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. પ્રવાસીઓ અને મુલાકાતીઓની પહેલી પસંદ પૂછવામાં આવે તો હવે કેવડીયા નામ લેવાઈ રહ્યું છે. અહીં અનેક ફરવા, માણવા અને જોવા લાયક સ્થળો ઉભા કરાયા છે, ત્યારે હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર રેલવે સેવા ટૂંક સમયમાં શરૂ થશે. આવતીકાલે પ્રધાનમંત્રી મોદી નવી કેવડિયા-વડોદરા રેલવે લાઇન અને કેવડિયા રેલવે સ્ટેશનનું ઇ-લોકાર્પણ કરશે.
આવતીકાલે નવી રેલ્વે લાઇનનું પ્રધાનમંત્રી મોદી હસ્તે ઇ-લોકાર્પણ
ડભોઇ-વડોદરા થઇને કેવડિયા એક કલાકમાં પહોંચશે ટ્રેન
દેશનું પ્રથમ ઇકો ફ્રેન્ડલી રેલવે સ્ટેશન
હવે કેવડિયા જવું વધુ સરળ બનશે કારણ કે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર રેલવે સેવા શરૂ થવા જઇ રહી છે. આ અંગે થોડા દિવસો અગાઉ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરાત કરી હતી. ત્યારે હવે 17 જાન્યુઆરી એટલે કે આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી કેવડિયા-વડોદરા રેલવે લાઇન અને કેવડિયા રેલવે સ્ટેશનનું ઇ-લોકાર્પણ કરશે. મુખ્યમંત્રીની જાહેરાત બાદ કેવડિયા રેલવે સ્ટેશન અને રેલવે લાઈનનું કામ યુદ્ધના ધોરણે કરવામાં આવ્યું છે. વિવિધ પ્રવાસન આકર્ષણોને લઇને કેવડિયા પ્રવાસીઓનું માનીતું સ્થળ બન્યું છે, ત્યારે ત્યાં પહોંચતાં પ્રવાસીઓની સગવડ વધે તે માટે કેવડિયા સુધી રેલવે સેવા પણ શરૂ થવા જઈ રહી છે.
ડભોઇ-વડોદરા થઇને કેવડિયા એક કલાકમાં પહોંચશે ટ્રેન
આ રેલવે સ્ટેશનમાં રહેવાની સુવિધા પણ હશે. કેવડિયા ખાતે તે માટે 663 કરોડ ખર્ચ થશે. કેવડિયાને જોડતી રેલવે લાઇન ડભોઈ-વડોદરા થઈ અને કેવડિયા પહોંચશે. જે એક કલાકમાં કેવડીયા સુધી પહોંચી જશે. આ રેલવે સ્ટેશન પર અન્ય રેલવે કરતા વધુ પ્રવાસીઓ આવશે તેવી સરકારની આશા છે. આ ટ્રેન ઇલેક્ટ્રિક લાઇન સાથે જોડવામાં આવી છે. જે એક કલાકમાં કેવડીયા સુધી પહોંચી જશે. છેલ્લા 5 દિવસમાં વડોદરાથી ડભોઇ સુધી તેની ટેસ્ટ ડ્રાઈવ પણ કરવામાં આવી હતી. પહેલાં ટેસ્ટમાં 100 કિમિની ઝડપે ટ્રેન દોડવવામાં આવી હતી ત્યારબાદ 130 કિમિ અને 150 કિમિની ઝડપે દોડાવી ટેસ્ટ કરવામાં આવી હતી.
દેશનું પ્રથમ ઇકો ફ્રેન્ડલી રેલવે સ્ટેશન
દેશના પ્રથમ ઇકો ફ્રેન્ડલી રેલવે સ્ટેશનમાં વીજ લાઇન સાથે સોલાર સિસ્ટમ લગાડવામાં આવી છે, જેના થકી આખું રેલવે સ્ટેશન સોલાર પાવરથી ચાલશે. હાલ તમામ કામ પૂર્ણતાના આરે છે અને આવતીકાલે આ ટ્રેનનું પ્રધાનમંત્રી ઇ-લોકર્પણ કરશે.