અંબાજી: ભાદરવી પૂનમના દિવસે યાત્રાધામ અંબાજીમાં થતા મેળાની શરૂઆત થઈ છે. આજે ભાદરવી મેળાનો બીજો દિવસ છે. બીજા દિવસે પણ મંદિરમાં યાત્રિકોનો ધસારો જોવા મળ્યો છે. વહેલી સવારથી મોટી સંખ્યામાં યાત્રિકો જોવા મળ્યા હતા.
ઉલ્લેખનીય છે કે પ્રથમ દિવસે અંબાજીમાં 2 લાખ 50 હજારથી વધુ યાત્રિકોએ દર્શન કર્યા હતા. મેળામાં કોઈ અનિચ્છિનિય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. ભાદરવી પુનમ નિમિત્તે અંબાજી આવનારા ભક્તોની સુરક્ષા માટે 3000થી વધુ પોલીસ જવાનોને ઉતારવામાં આવ્યા છે. માર્ગમાં શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે પોલીસ દ્વારા 57 સહાયતા કેન્દ્રો પણ ખોલવામાં આવ્યા છે.
અંબાજીના મંદિરમાં સુંદર રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે. રાત્રીના સમયે મંદિર સુંદર રોશનીથી ઝગમગી ઉઠ્યુ હતું.