દેશ અને દુનિયામાં કોરોના મહામારીનો હાહાકાર છે. ત્યારે કોવેક્સિનને લઈ મોટા સમાચાર મળી રહ્યા છે. કોવેક્સિનનું હ્યુમન ટ્રાયલ શરૂ થઈ ચુક્યું છે. ઉલ્લેખનીય છે કે, 30 વર્ષના વ્યક્તિને કોવેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.
COVAXIN રસીને લઈ મહત્વના સમાચાર
નવી દિલ્હીની AIIMS માં રસીનો પ્રથમ ડોઝ અપાયો
૩૦ વર્ષીય વ્યક્તિને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો
દિલ્હી ખાતે આવેલી એઈમ્સ હોસ્પિટલમાં બપોરે લગભગ દોઢ વાગ્યાની આસપાસ 30 વર્ષના યુવાનને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. ડોઝ આપ્યા બાદ યુવાનને નિષ્ણાંતોની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો છે.
કોરોના વાયરસની દવા લોન્ચ થવા તૈયાર
ભારતમાં તૈયાર થયેલી કોરોના વાયરસની દવા લોન્ચ થવા તૈયાર છે. ભારતની દવાની ખાસ વાત એ છે કે આ દવા ખૂબ સસ્તી અને કોરોના સામે લડવા અસરકારક છે. CSIR દ્વારા કોવિડ 19ની સારવાર માટે વિકસિત કરવામાં આવેલી દવા ફેવિપિરાવિરને લોંચ કરવા માટે દવા કંપની પૂરી રીતે તૈયાર છે.
ફેવિપિરાવિરના ક્લિનિકલ ટ્રાયલ દરમિયાન પરિણામ સારા મળ્યા
એક સત્તાવાર નિવેદન મુજબ મૂળ સ્વરુપે જાપાનના ફુજી ફાર્મા દ્વારા તૈયાર કરવામાં આવેલી ફેવિપિરાવિરના ક્લિનિકલ ટ્રાયલ દરમિયાન પરિણામ સારા મળ્યા છે. ખાસ કરીને હળવા અને મધ્ય લક્ષ્ણોવાળા કોવિડ 19ના દર્દીઓમાં. CSIRએ સ્થાનીક લેવલ પર અવેલેબલ રસાયણોનો ઉપયોગ કરીને આ દવા તૈયાર કરવાની સસ્તી રીત શોધી તેને સિપલાને આપી છે.
ભારતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે થઇ રહ્યો વધારો
ભારતમાં કોરોનાનો કહેર કૂદકે ને ભૂસકે વધી જ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાએ લગભગ 50000 નવા કેસ સાથે તમામ રેકોર્ડ તોડી દીધા છે. ગુરુવારે દેશમાં 49310 નવા કેસ આવ્યા છે. આ પહેલાં દેશમાં ક્યારેય આટલા કેસ નોંધાયા નથી. ઉલ્લેખનીય છે કે દેશમાં છેલ્લા 24 કલાકમાં 740 લોકોના કોરોનાથી મોત થયા છે. આ સાથે ભારતમાં કોરોનાનો કુલ આંક 12,87,209ને પાર પહોંચ્યો છે. અહીં મહામારીથી મોતનો કુલ આંક 30601 પહોંચ્યો છે.
દેશમાં રિકવરી રેટ 63.5 ટકાએ પહોંચ્યો
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર દેશમાં કોરોના વાયરસના 4 લાખ 40 હજાર 135 એક્ટિવ કેસ છે. કોરોના મહામારીથી અત્યારસુધીમાં લગભગ 30,601 દર્દીના મોત થયા છે. આ સાથે 8, 17,208 લોકો સાજા થયા છે. કોરોના દર્દીનો રિકવરી રેટ 63.5 ટકાએ પહોંચ્યો છે. કોરોના વાયરસથી મહારાષ્ટ્ર સૌથી વધારે પ્રભાવિત છે. ભારતમાં રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં સ્થિતિ બેકાબૂ બની છે. મહારાષ્ટ્રમાં આ સમયે 3.47 લાખ અને તમિલનાડુમાં 1.92 લાખ કેસ છે. દિલ્હી 1.27 લાખ કેસની સાથે ત્રીજા નંબરે છે. આ ત્રણેય રાજ્યોમાં ટ્રેંડ્સમાં એક ફરક છે કે દિલ્હીમાં કેસ ઘટી રહ્યા છે. મહારાષ્ટ્રમાં અને તમિલનાડુમાં કોઈ સંકેત મળી રહ્યા નથી.