રાજ્ય સરકારે તાજેતરમાં ગેરકાયદેસર જમીન પચાવી પડનારાઓ સામે સખ્તાઈથી કાર્યવાહી કરવા લેન્ડ ગ્રેબિંગ કાયદો બહાર પાડ્યો છે. આ કાયદો બહાર પડતાના થોડા દિવસોની અંદર રાજકોટમાં પ્રથમ કેસ નોંધાયો છે. ત્યારે હવે આ મામલે રાજકોટ SP બલરામ મીણાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી.
લેન્ડ ગ્રેબિગ એક્ટ અંતર્ગત રાજકોટમાં પ્રથમ ફરિયાદ
4 આરોપીઓ સામે ગુનો દાખલ કરાયો: SP
ગત અઠવાડિયે રાજકોટમાં આ અંગે મળી હતી બેઠક
રાજ્યમાં ભૂમાફિયાઓની હવે ખેર નથી. જો હવે કોઈની પણ જમીન પચાવી તો જેલના સળિયા ગણવા માટે તૈયાર રહેવું પડશે. ગરીબ અને સામાન્ય ખેડૂતોની જમીન હડફી લેતા માફિયાઓ પર લગામ લગાવવા માટે રાજ્યની રૂપાણી સરકારે એક મોટો નિર્ણય કર્યો હતો. એવો કાયદો રાજ્યમાં તૈયાર થયો છે જેનાથી કોઈ પણ ગરીબ અન્નદાતા પોતાની જમીન વગર નોંધારો નહીં બને. ત્યારે હવે રાજકોટમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટને અંતર્ગત પ્રથમ ફરિયાદ નોંધવામાં આવી છે. 4 શખ્સો સામે રાજકોટ ગ્રામ્યમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.
લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ પહેલો ગુનો દાખલ કરાયોઃ SP
આ અંગે રાજકોટ SP(Superintendent of Police) બલરામ મીણાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ પહેલો ગુનો દાખલ કરાયો છે. 4 આરોપીઓ સામે ગુનો દાખલ કરાયો છે. ગજેન્દ્ર સાંગાણીએ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીએ 2001માં 40 વિઘા જમીન વેચવા કાઢી હતી. 2004 સુધી આરોપીઓએ જમીનના નાણાં ન આપ્યા. આરોપીઓએ જમીન પડાવવા પ્રયાસ કર્યા. 3 ભાઇઓ સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરાયો છે. રમેશ, કમલેશ અને નરેશ સિંધવ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તો ગોંડલ ન.પાના કોન્ટ્રાક્ટર કર્મી ધીરુ ગમારા સામે પણ ગુનો નોંધાયો છે.
આરોપી નરેશ સિંધવ નિખિલ દોંગાનો સાગરીતઃ SP
SPએ વધુમાં જણાવ્યું હતું કે, જેતપુર ASP ફરિયાદ અંગે તપાસ કરશે. આરોપી નરેશ સિંધવ નિખિલ દોંગાનો સાગરીત છે. નરેશ સિંધવ GUJCTOCના ગુનામાં હાલ જેલમાં છે. આરોપી કમલેશ સિંધવ અને નરેશ સિંધવ જેલમાં છે. રમેશ સિંધવ, ધીરુભાઈ ગમારા પોલીસના સકંજામાં છે.
ગત અઠવાડિયે રાજકોટમાં આ અંગે મળી હતી બેઠક
ઉલ્લેખનીય છે કે ગત અઠવાડિયે જ જિલ્લામાં લેન્ડ ગ્રેબિંગ એક્ટના અમલીકરણને લઈને બેઠક મળી હતી. આ બેઠક કલેકટરની અધ્યક્ષતામાં મળી હતી. જેમાં 9 જેટલી આવેલ અરજીઓ પર ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ અરજીઓને સંબંધિત તપાસ અધિકારીઓને ફોરવર્ડ કરી દેવામાં આવી હતી.
શું છે લેન્ડ ગ્રેબિંગ કાયદો?
રાજ્ય સરકાર દ્વારા લેન્ડ ગ્રેબિંગ કાયદાને મજબૂત બનાવાયો છે. કાયદો-વ્યવસ્થાની સલામતી માટે સરકારે બાહેંધરી આપી આ કાયદાને કડક કર્યો છે. માફિયાઓ અને ગુંડાઓને કંટ્રોલમાં રાખવા માટે આ કાયદો બનાવ્યો છે. આ કાયદા અંતર્ગત મિલકતમાં ગેરકાયદેસર દબાણ સામે કાર્યવાહી કરવામાં આવશે. આ કાયદા અંતર્ગત ભૂમાફિયાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશે. કલેક્ટરને લેખિતમાં દસ્તાવેજો સાથે ફરિયાદ કરવાની રહેશે. સરકારે 7 અધિકારીઓની કમિટી બનાવી છે. દર 15 દિવસે ફરિયાદમાં તપાસ મુદ્દે રિવ્યુ કરવામાં આવશે. ફરિયાદ વ્યાજબી છે કે, ગેરવ્યાજબી તેની ચકાસણી કરાશે. 21 દિવસમાં કમિટી નિર્ણય લઇ કાર્યવાહી આગળ કરશે. પોલીસે 7 દિવસમાં ફરિયાત FIR કરવાની રહેશે. સ્પેશિયલ કોર્ટમાં સુનાવણી કરવામાં આવશે. 6 મહિનામાં કેસનો નિકાલ કરવામાં આવશે. જિલ્લા પ્રમાણે સ્પેશિયલ કોર્ટની રચના કરાશે. આ કાયદા મુજબ ઓછામાં ઓછી 10 વર્ષની સજા વધુમાં વધુ 14 વર્ષની સજા ફટકારવામાં આવશે. જમીન પચાવી પાડવાના કેસમાં બિનજામીનપાત્ર ધરપકડ થશે. ખોટા દસ્તાવેજ કરી મિલકતો પચાવી પાડનાર સામે કાર્યવાહી કરાશે. ભૂમાફિયાઓ સામે હવે સરકાર આકારા પાણીએ થઈ છે. ત્યારે રાજ્યમાં સૌથી વધુ જામનગરમાં જમીન પચાવી પડવાની ફરિયાદો અને અરજીઓ સામે આવતી રહી છે.