જન્માષ્ટમીના તહેવારની રાતે જેતલપુર ગામમાં ચાલતા ગરબામાં મોજમાં આવી ગયેલા ચાર યુવકોએ બે બોરની બંદૂકથી ઉપરાછાપરી ર૦ થી ૩૦ રાઉન્ડ હવામાં ફાયરિંગ કરતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. ગરબામાં હવામાં ફાયરિંગ કરનાર યુવકનો વીડિયો વાઈરલ થતાં પોલીસે ગત મોડી રાતે ગુનો દાખલ કર્યો છે.
જેતલપુર ગામમાં આવેલ રેવતીનગરમાં રહેતા ૩ર વર્ષીય મહેશભાઇ પરષોતમભાઇ ઠાકોરે નારોલ પોલીસ સ્ટેશનમાં ચાર યુવકો વિરુદ્ધમાં હવામાં ફાયરિંગ કરવા બાબતે ફરિયાદ કરી છે. ફરિયાદમાં કરાયેલા આક્ષેપ પ્રમાણે મહેશભાઇ તેમના પરિવાર સાથે રહે છે અને ખેતીકામ કરીને પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે. મહેશભાઇ તેમજ તેમના ફળિયામાં રહેતા રાજુભાઇ, જયહિંદભાઇ તેમજ પ્રભુભાઇ અને અનિલભાઇ, રમેશભાઇએ ભેગાં મળીને જન્માષ્ટમીનો તહેવાર ઊજવવાનું નક્કી કર્યું હતું.
તારીખ ર૪ ઓગસ્ટના રોજ જન્માષ્ટમીના દિવસે સવારે ભગવાનનો વરઘોડો રાખ્યો હતો અને રાત્રે જમણવાર અને ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગરબામાં રેવતીનગરના રહીશો સહિત સંખ્યાબંધ લોકોએ હાજરી આપી હતી. ગરબાના તાલે લોકો ઝૂમી રહ્યા હતા ત્યારે રેવતીનગરમાં રહેતા ગજેન્દ્ર રાઠોડ, જિજ્ઞેશ રાઠોડ, વિજય ઠાકોર અને રાહુલ ઉર્ફે ટોપો સહિત કેટલાક યુવકો આવ્યા હતા. ગરબા ચાલુ હતા ત્યારે એકાએક તમામ લોકો કૂદંકૂદ કરવા લાગ્યા હતા.
દરમિયાનમાં ગજેન્દ્ર રાઠોડ અને જિજ્ઞેશ રાઠોડ એક લાંબી બંદૂક લઇ આવ્યા હતા અને વારાફરતી હવામાં ફાયરિંગ કરવાનું શરૂ કરી દીધું હતું. મહેશભાઇ તેમજ તેમના કાકા બન્ને પાસે ગયા હતા અને હવામાં ફાયરિંગ ન કરવા માટે કહ્યું હતું, સાથોસાથ કોઇને ઇજા પણ થઇ શકે છે તેમ જણાવ્યું હતું.
ઉશ્કેરાટમાં આવી ગયેલા બન્ને જણા મહેશભાઇ અને તેમના કાકાને બીભત્સ ગાળો બોલવા લાગ્યા હતા અને તેમને ધક્કો માર્યો હતો. કાકા-ભત્રીજાને ધક્કો મારીને ગજેન્દ્ર, જિજ્ઞેશ, વિજય, રાહુલ અને તેમના સાગરીતો સ્ટેજ પર પહોંચી ગયા હતા અને ઉપરાછાપરી ર૦ થી ૩૦ જેટલા રાઉન્ડ હવામાં ફાયિરંગ કરવા લાગ્યા હતા.
ચારેય જણાએ ઉપરાછાપરી હવામાં ફાયરિંગ કરતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આરોપીઓ હિંસક વૃત્તિ ધરાવતા હોવાથી કોઇએ તેમના વિરુદ્ધમાં ફરિયાદ કરી નહોતી, પરંતુ મહેશભાઇએ ૧૦૦ નંબર પોલીસ કંટ્રોલમાં ફોન કરી દીધો હતો. ફાયિરંગની વાત મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી.
પોલીસની જીપ જોતાંની સાથે જ તમામ યુવકો નાસી છૂટ્યા હતા. ફાયરિંગ કરનાર યુવકો માથાભારે તત્ત્વો તેમજ ઝનૂની સ્વભાવના હોવાથી કોઇએ પણ તેના વિરુદ્ધમાં ફરિયાદ કરી નહોતી, પરંતુ ગઇ કાલે રેવતીનગરના લોકોએ ભેગા થઇને તમામ યુવકોને પાઠ ભણાવવા માટે નારોલ પોલીસ સ્ટેશનમાં તેમના વિરુદ્ધમાં ફરિયાદ કરી છે.
પોલીસે આ મામલે ચારેય યુવકો વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. પોલીસે ફાયિરંગ કરનાર યુવકનાે વીિડયો કબજે કરીને તપાસ શરૂ કરી છે. હાલ તમામ આરોપીઓ પોલીસ પકડથી દૂર છે ત્યારે ફાયરિંગ જે હથિયારથી થયું તે બંદૂક લાયન્સવાળી હતી કે પછી ગેરકાયદે હતી તેની તપાસ કરવામાં આવશે. પોલીસ ફરિયાદમાં ર૦ થી ૩૦ રાઉન્ડ ફાયરિંગ થયાં હોવાની વાત છે, પરંતુ એફએસએલના રિપોર્ટ બાદ તેમજ વીડિયોના આધારે નક્કી કરવામાં આવશે કે કેટલા રાઉન્ડ ફાયિરંગ થયાં છે. ફાયરિંગની ઘટનામાં એફએસએલની ટીમ ઘટનાસ્થળે પહોચીને તપાસ શરૂ કરશે.
આ સિવાય ફાયરિંગ કરનાર આરોપીઓ વિરુદ્ધમાં કેટલા ગુના દાખલ થયા છે તેની પણ તપાસ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે લગ્ન પ્રસંગ કે પછી ધાર્મિક તહેવારોમાં લાઈસન્સવાળી બંદૂૂકથી હવામાં ફાયરિંગ કરવાની અનેક ઘટનાઓ સામે આવે છે, જેમાં કેટલાક લોકોને પોતાનો જીવ પણ ગુમાવવાનો વારો આવ્યો છે અને કેટલાક લોકો ઘાયલ પણ થયા છે. મોજમાં આવીને આવી રીતે બંદૂકથી ફાયરિંગ કરવું તે ગેરકાયદે છે.