ચૂંટણી પ્રચાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાદ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ખૂબ ડિમાન્ડ છે. વિરમગામમાં યોગી આદિત્યનાથના રોડ શૉમાં એક અલગ જ દ્રશ્ય જોવા મળ્યું હતું. તેમના રોડ શૉમાં ભાજપ કરતાં વધુ ભગવા ઝંડા જોવા મળ્યા.
PM મોદી પછી CM યોગીની ડિમાન્ડ સૌથી વધુ
ગુજરાતમાં અત્યાર સુધીમાં 12 સભાઓ, બે રોડ શૉ કર્યા
વિરમગામમાં CM યોગીના રોડ શૉમાં જોવા મળ્યો એક અલગ જ નજારો
ગુજરાતમાં 15મી વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાઈ રહી છે. પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે થશે, જ્યારે બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થશે. વિધાનસભાની ચૂંટણીના પરિણામો 8મી ડિસેમ્બરે આવશે. પ્રથમ તબક્કામાં ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રની સાથે દક્ષિણ ગુજરાતમાં ચૂંટણી યોજાશે, જ્યારે બીજા તબક્કામાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મતદાન થશે.
પ્રચાર માટે CM યોગી આદિત્યનાથની ખૂબ ડિમાન્ડ
ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીને હવે માત્ર ચાર દિવસ બાકી છે. ચૂંટણી પ્રચાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાદ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ખૂબ ડિમાન્ડ છે. સીએમ યોગી (Yogi Adityanath) ગુજરાતમાં અત્યાર સુધીમાં 12 જાહેર સભાઓ અને બે રોડ શૉ કરી ચૂક્યા છે. યોગી આદિત્યનાથે 26 નવેમ્બરે વિરમગામમાં રોડ શૉ કર્યો હતો. આ પહેલા તેઓ સુરતમાં પાટીદારોના ગઢ ગણાતા વરાછામાં રોડ શૉ માટે પહોંચ્યા હતા. યોગી આદિત્યનાથની સભાઓમાં અલગ જ જોશ જોવા મળી રહ્યો છે. બુલડોઝર બાબાના નામથી ગુજરાતમાં લોકપ્રિય યોગી આદિત્યનાથ જાહેર સભાઓને સંબોધિત કરવાની સાથે-સાથે મંદિરોમાં પૂજા-અર્ચના પણ કરી રહ્યા છે. જ્યારે તેઓ દ્વારકા પહોંચ્યા ત્યારે તેઓ ત્યાંના દ્વારકાધીશ મંદિરે ગયા હતા, તેવી જ રીતે તેમની સોમનાથની મુલાકાત દરમિયાન તેઓ સોમનાથ દાદાના દર્શન કરવા માટે પહોંચ્યા હતા અને ત્યારબાદ ચૂંટણીનો કાર્યક્રમ શરૂ કર્યો હતો.
અમદાવાદ ગ્રામ્યની વિરમગામ બેઠક પર યોગી આદિત્યનાથના રોડ શૉમાં એક અલગ જ દ્રશ્ય જોવા મળ્યું હતું. યોગી આદિત્યનાથ જ્યારે વિરમગામ બેઠકના ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલના સમર્થનમાં રોડ શૉ માટે પહોંચ્યા ત્યારે તેમના રોડ શૉમાં ભાજપ કરતાં વધુ ભગવા ઝંડા જોવા મળ્યા. હાલ આ બેઠક પર કોંગ્રેસનો કબજો છે. પાટીદાર આંદોલનથી ચર્ચામાં આવેલા હાર્દિક પટેલ અહીંથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. યોગી આદિત્યનાથની ગુજરાત મુલાકાતોમાં હિન્દુ વાહિનીની પણ સક્રિયતા જોવા મળી રહી છે. આ જ કારણ હતું કે યોગી આદિત્યનાથના રોડ શૉમાં ભગવો માહોલ જોવા મળ્યો હતો. યોગી આદિત્યનાથે રોડ શૉ દરમિયાન લોકોનું અભિવાદન સ્વીકાર્યું હતું. આ દરમિયાન જય શ્રી રામના પણ નારા લાગ્યા હતા. આ પહેલા યોગી આદિત્યનાથે સુરતના વરાછામાં રોડ શૉ કર્યો હતો, ત્યાં પણ તેમનો ક્રેઝ જોવા મળ્યો હતો.
ચાર પ્રવાસમાં 12 સભાઓ, બે રોડ શૉ
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 18 નવેમ્બરથી ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે પ્રચારની શરૂઆત કરી હતી. ત્યારથી યોગી આદિત્યનાથ સતત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. યોગી આદિત્યનાથે મોરબીમાં તેમની પ્રથમ ચૂંટણી સભા કરી હતી, ત્યારે તેમનું બુલડોઝર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પછી સીએમ યોગી આદિત્યનાથ 21, 23 અને 26 નવેમ્બરે પ્રચાર માટે ગુજરાત પહોંચ્યા હતા. સીએમ યોગી આદિત્યનાથે અત્યાર સુધીમાં દ્વારકા, કચ્છ, મોરબી, સુરત, નસવાડી, મહેમદાવાદ, પોરબંદર, સોમનાથ, સુરેન્દ્રનગર, અમરેલી, ભરૂચમાં સભાઓ કરી છે.
2017માં મળી હતી 99 સીટો
ગુજરાતમાં વિધાનસભાની કુલ બેઠકોની સંખ્યા 182 છે. આમાં 40 સીટો આરક્ષિત છે. 27 બેઠકો અનુસૂચિત જનજાતિ માટે અને 13 બેઠકો અનુસૂચિત જાતિ માટે રિઝર્વ છે. વિધાનસભામાં બહુમતીનો આંકડો 92 સીટોનો છે. 2017ની ચૂંટણીમાં સત્તારૂઢ ભાજપ મુશ્કિલથી સરકાર બચાવવામાં સફળ રહી હતી. બે દાયકામાં પ્રથમ વખત પાર્ટીની બેઠકોની સંખ્યા ઘટીને બે આંકડામાં આવી અને ભાજપ માત્ર 99 બેઠકો જીતી શક્યું. 2017ની ચૂંટણીમાં કોંગ્રેસે 77 બેઠકો જીતી હતી, જ્યારે ભારતીય ટ્રાઇબલ પાર્ટી (BTP) જે કોંગ્રેસ સાથે ગઠબંધનમાં લડી હતી, તેણે 2 બેઠકો જીતી હતી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) એ 1 બેઠક જીતી હતી. અપક્ષોએ ત્રણ બેઠકો જીતી હતી. દલિત નેતા જીગ્નેશ મેવાણી વડગામથી કોંગ્રેસના સમર્થનથી જીત્યા હતા.