સમગ્ર ગુજરાતને હચમચાવી નાખનાર સુરતના ટ્યૂશન ક્લાસીસમાં તા. ૨૪ મે-૨૦૧૯ના રોજ લાગેલી ભીષણ આગમાં સ્થાનિક તંત્ર અને બિલ્ડરોના પાપે ૨૨ નિર્દોષ બાળકોનો ભોગ લેવાયો હતો. તે વખતે તત્કાલીન મ્યુનિ. કમિશનર વિજય નેહરાના આદેશથી શહેરનાં લાક્ષાગૃહ બનેલાં ટ્યૂશન ક્લાસીસ અને સ્કૂલની ફાયર સેફ્ટીને તત્કાળ ચકાસાઈ હતી. મ્યુનિ. ફાયરબ્રિગેડની આ કાર્યવાહી બાદ સ્કૂલ અને ટ્યૂશન ક્લાસીસને એનઓસીના આધારે તંત્રે શરૂ કરવાની લીલી ઝંડી આપી હતી. જોકે હવે કોરોના મહામારીના કારણે છેક માર્ચ-૨૦૨૦થી બંધ પડેલી સ્કૂલ-કોલેજનો ધમધમાટ આજથી શરૂ થયો છે. તે સંજોગોમાં ફાયર સેફ્ટીના મામલે બાળકોનાં જીવન સામે જોખમ ઊભું થયું હોવાનું ચિત્ર ઊપસ્યું છે. આ બાબત ખરેખર ચિંતાજનક છે.
સ્કૂલ-કોલેજમાં શૈક્ષણિક કાર્ય શરૂ પણ ફાયર સેફ્ટી NOCનાં ધાંધિયાં
મોટા ભાગની સ્કૂલોએ રિન્યૂઅલ કરાવ્યું ન હોવાની ચર્ચા
શિક્ષણ વિભાગે પણ મ્યુનિ. ફાયર બ્રિગેડ પાસે ફાયર સેફ્ટીનો અભિપ્રાય માગ્યો નથી
અમદાવાદમાં કોરોના વાઇરસના પગલે છેલ્લા ૨૯૭ દિવસથી સ્કૂલ-કોલેજ બંધ રખાઈ હતી. હવે આજથી સ્કૂલમાં ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓને બોલાવાયા છે, તો કોલેજમાં પોસ્ટ ગ્રેજ્યુએટ અને અંડર ગ્રેજ્યુએટના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓનું ભણતર શરૂ થવાનું છે. ઉપરાંત કોરોનાનો ઉપદ્રવ જો આ શૈક્ષણિક કાર્ય દરમિયાન ન જણાયો તો આગામી મહિનાથી સ્કૂલમાં ધોરણ ૯થી ૧૧ અને કોલેજમાં અન્ય વર્ષના વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય રાબેતા મુજબ ચાલુ કરાશે. રાજ્ય પ્રધાનમંડળના વિવિધ પ્રધાનને સ્કૂલમાં આવતાં બાળકોનો ઉત્સાહ વધારવાની જવાબદારી સોંપાઈ હોઈ અમદાવાદમાં પ્રધાન પ્રદીપસિંહ જાડેજા વસ્ત્રાલની સ્કૂલમાં હાજર રહેશે, જોકે સ્કૂલ સમક્ષ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાનો મોટો પડકાર છે, કેમ કે મોટા ભાગની સ્કૂલમાં વિદ્યાર્થીના આવવા અને જવાનો એક જ મુખ્ય દરવાજો છે.
સોશિયલ ડિસ્ટન્સિંગ ઉપર આકસ્મિક આગ ફાટી નીકળવા જેવી દુર્ઘટનાનું જોખમ પણ સ્કૂલ-કોલેજ પર તોળાઈ રહ્યું છે. સુરતના તક્ષશિલા અગ્નિકાંડ બાદ શહેરની ૧૬૦૦ જેટલી નાની-મોટી સ્કૂલ અને ૪૨૦૦ જેટલા ટ્યૂશન ક્લાસીસે મ્યુનિ. તંત્રની બીકથી ફાયર સેફ્ટીની એનઓસી જે તે સમયે મેળવી લીધી હતી, પરંતુ હાલની સ્થિતિએ મોટા ભાગના સ્કૂલ સંચાલકોએ આ એનઓસીને રિન્યૂ કરવાની તસદી લીધી નથી.
પાસપોર્ટ કે વાહન લાઇસન્સની મુદત પતી ગયા બાદ જેવી રીતે લોકો તેને રિન્યૂ કરવા દોડી જાય છે તે પ્રકારની કાળજી સ્કૂલ સંચાલકોએ દાખવી નથી. વાલીઓમાં પણ ફાયર સેફ્ટીની એનઓસીનું રિન્યૂઅલ ન હોય તે સંજોગોમાં ભારે ફફડાટ જોવા મળ્યો છે. પોતાનાં બાળકનું જીવન ફાયર સેફ્ટીનું રિન્યૂઅલ ન ધરાવતી સ્કૂલમાં મોકલવાથી જોખમાશે તેવી બીક વાલીઓમાં ફેલાઈ છે.
બીજી તરફ શિક્ષણ વિભાગ દ્વારા પણ માત્ર સ્કૂલને શરૂ કરવાનો પરિપત્ર કરાયો છે. જોકે જે તે સ્કૂલને લગતો ફાયર સેફ્ટીનો અભિપ્રાય મ્યુનિ. ફાયરબ્રિગેડ પાસેથી મેળવાયો નથી. સ્કૂલમાં શૈક્ષણિક કાર્યનો પ્રારંભ કરતા પહેલાં તેને ચાલુ કરવી હિતાવહ છે કે નહીં તેવો અભિપ્રાય મ્યુનિ. ફાયરબ્રિગેડ પાસેથી મેળવાયો ન હોઈ તંત્ર પણ હાલની સ્થિતિએ આકસ્મિક આગ જેવી ભીષણ દુર્ઘટના સામે સ્કૂલ સંચાલકો કેટલી હદે સક્ષમ છે તેનાથી વાકેફ નથી.
જોકે મ્યુનિ. વહીવટીતંત્ર દ્વારા તો ૧૫ દિવસ પહેલાં લો-રાઇઝ અને હાઈ-રાઇઝ બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીની નિયમાનુસારનાં સાધનો બેસાડીને તેના ફાયરબ્રિગેડના ઇન્સ્પેક્શનના આધારે એનઓસી મેળવી લેવાની તાકીદ તો જાહેર નોટિસથી કરાઈ જ છે, પરંતુ આ બાબતમાં હોસ્પિટલ કહો કે સ્કૂલ, પરંતુ ફાયર સેફ્ટીના મામલે મહદઅંશે આળસ જોવા મળે છે. એટલે આગામી દિવસોમાં સ્કૂલ-કોલેજમાં ફાયર સેફ્ટીનો મુદ્દો હોસ્પિટલની જેમ ચોક્કસપણે વિવાદગ્રસ્ત બનશે તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે.