સુરતમાં વિદ્યાર્થીઓ જીવતા ભૂંજાયાની કરુણાંતિકા બાદ સરકાર અને ફાયર વિભાગ સફાળા જાગ્યા છે. અમદાવાદમા બાળકોની સલામતી માટે ટયૂશન ક્લાસીસની સ્થિતિ જાણવા તંત્રએ કવાયત હાથ ધરી તો ચોંકાવનારી વિગતો સામે આવી. અમદાવાદમા એક પણ કલાસીસમાં ફાયર સેફટી નથી. જ્યા છે ત્યાં એકસપાયર ડેટ વટાવી ચૂકેલા સાધનો છે. ત્યારે શહેરમાં ટ્યુશન ક્લાસીસમાં ફાયર સેફ્ટીની કેવી છે સુવિધા જુઓ?
અમદાવાદના મણીનગર વિસ્તારમા જાણીતા જે. કે શાહ કલાસીસમા વીટીવીની ટીમ પહોંચી હતી. કલાસીસ બંધ રાખ્યો હતો. પણ અહીં ફાયર સેફટીના કોઈ સાધનો જોવા મળ્યા ન હતા. હાજર કર્મચારીને પૂછ્યું તો જવાબ મળ્યો હવે લગાવવામાં આવશે.
વીટીવીની ટીમ મણિનગરથી પછી ખોખરામાં આવેલી સ્પોકન ઈગ્લીશના કલાસીસમાં પહોંચી હતી. આ કલાસીસ ત્રીજા માળે છે. એક જ સીડી છે. જો અહીંયા આગ લાગે તો સુરત જેવો અગ્નિકાંડ થઈ શકે. પરંતુ તંત્રની આંખો બંધ છે. પોલીસ ફાયર સેફટીની તપાસ માટે પહોંચી પણ મળ્યુ તાળું. આ કલાસીસમા પણ ફાયર સેફટી નથી.
વીટીવીની ટીમ અમદાવાદ પશ્ચિમમાં ચાલતા યુનીક એજ્યુહબ નામના કલાસીસની રિયાલીટી ચેક કરવા સેટેલાઈટમાં પહોંચી. અહીં કલાસીસમા તપાસ કરતાં ફાયર સેફ્ટિની સુવિધા ક્યાંય જોવા ન મળી નહતી. પોલીસે પણ ત્યા ચેંકીગ કર્યુ. ફાયર સેફટી રાખવા આદેશ આપ્યો. આ મામલે બિલ્ડીંગના ચેરમેને પણ પોતાની ભૂલ સ્વીકારીને એનઓસી મેળવાની કાર્યવાહી શરૂ કરી.
હવે વીટીવીની ટીમ શહેરના ગુરુકુળ વિસ્તારમાં આવેલા જાણીતા કલાસીસ કરિયર લાઈનમાં પહોંચી હતી. પોલીસે આ કલાસીસમાં ચેંકીગ કર્યુ. એનઓસીની તપાસ કરી. પરંતુ ફાયર ઈન્સ્ટ્રુમેન્ટની તપાસ કરી તો તે એકસપાયરી ડેટના મળ્યા. એટલે કે સંચાલકોએ દેખાડવા પૂરતા ફાયર બ્રિગેડના સાધનો લગાવ્યા હોવાની પોલ ખૂલી હતી.
આ તો થઈ કલાસીસની રિયાલીટી ચેકની. પણ સુરતની ઘટનાએ ફાયરબ્રિગેડ તંત્રની તો પોલ ખોલી છે. ફાયર બ્રિગેડ બેદરકારની સાથે લાચાર પણ છે. કારણ કે તેમની પાસે એવા કોઈ સાધનો નથી કે તેઓ આગ પર કાબુ લાવીને હાઈરાઈઝ બિલ્ડીંગમા લોકોને બચાવી શકે. જેથી વીટીવીની ટીમ ફાયર બ્રિગેડની ઓફીસે રીયાલીટી ચેક કરવા પહોંચી. જ્યા હાઈરાઈઝ બિલ્ડીંગમાં આગ લાગે તો લોકોને મદદ મળી રહે તેવી ગાડીઓ જોવા મળી નહીં. એટલું જ નહીં ત્યાં કોઈ અધિકારી હાજર જ નહતા. બસ સુરતની ઘટનાને લઈને મીટીંગોમા વ્યસ્ત હતા.
સુરતમાં થયેલ આગકાંડમાં નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યો. પરિવારે પોતાના વ્હાલસોયાને ગુમાવી દીધા. આ ઘટના માટે જવાબદાર કોણ? તંત્ર અને બિલ્ડર દરેક સરખા જવાબદાર છે. આ વાત ફકત સુરતની જ નથી. પરંતુ અમદાવાદમાં પણ ગેરકાયદે બાંધકામ અને ફાયર સેફટીનો અભાવ છે. તો શું આ ભ્રષ્ટ અધિકારીઓ અને તંત્ર વિરૂધ્ધ પગલા ભરાશે એ એક સવાલ છે.