અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ગાંધીનગરમાં સિંગાપુર અને દુબઈ જેવી ગગનચુંબી ઈમારતો બનાવવાની આજે ગુજરાત સરકારે જાહેરાત કરી દીધી છે. પરંતુ જાહેરાત થતાંની સાથે જ નિષ્ણાતોએ કેટલીક ચિંતા વ્યક્ત પણ કરી છે. જેમાં સૌથી મોટો ફાયર સેફ્ટી અને પાર્કિંગ જેવી સમસ્યાઓ સૌથી મોટું નડતરરૂપ છે. રાજ્ય સરકારે મોટા ઉપાડે જાહેરાત તો કરી દીધી છે પરંતુ શું ખરેખર જ્યાં આપણે સુરતના તક્ષશિલા અગ્નિકાંડ અને અમદાવાદની બિલ્ડિંગની આગની ઘટનામાં જ્યાં તંત્ર 5 માળ સુધી પહોંચી નથી શકતું ત્યારે આવી 70 માળની બિલ્ડિંગ્સમાં કેવી રીતે પહોંચી વળશે તેની ચિંતા થાય છે. આવામાં VTVGujarati.com એ આ જ મુદ્દે કેટલાંક નિષ્ણાતો વિશે જાણવાનો પ્રયત્ન કર્યો હતો.
70 માળની ઈમારત બને તો તેને પહોંચી વળી શકાય એવી ફાયર વ્યવસ્થા આપણી પાસે નથી
મુંબઇની જેમ સ્પેશિયલ ટેકનિકલ કમિટીની જોગવાઈ કરાશે
પાર્કિંગ, ભૂકંપ, વાવાઝોડા અંગે પણ મૂંઝવણ
CM રૂપાણીએ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ગાંધીનગર એમ પાંચ મહાનગરોમાં હવે સિંગાપોર-દુબઇની જેમ સ્કાય સ્ક્રેપર્સ-ગગનચૂંબી ઇમારતોના બાંધકામને પરવાનગી આપવાનું નક્કી કર્યુ છે પણ હાલ સામાન્ય બહુમાળી ઈમારતોમાં પણ આગ લાગે તો પણ ન પહોંચી વળતું ફાયર વિભાગ શું 70માળની ઈમારતમાં આગ લાગે તો પહોંચી વળશે? એવા સવાલો ઉઠી રહ્યા છે.
તાજેતરમાં જ શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગમાં 8 લોકો જીવતા ભૂંજાઈ ગયા હતા ત્યારે 70 માળની ઈમારતમાં આગ લાગે તો? આ માટે VTVGujarati.com દ્વારા ફાયર ચીફ ઓફિસર, ફાયર એડવાઈઝર, અર્બન પ્લાનિંગ અને સિવિલ એન્જિનયર જેવા નિષ્ણાતોને પૂછવામાં આવ્યું તો એક વસ્તુ પાક્કી થઈ કે, હાલ આપણી પાસે 70 માળમાં આગ લાગે તો બચાવ માટેના ફાયરના સાધન ઉપલબ્ધ નથી.
ફાયર ટીમ પાસે હાઈડ્રોલિક લિફ્ટ, પમ્પિંગ કેપેસેટી માંડ 6 કે 7 માળ સુધીની
આર્કિટેક અને ફાયર સેફ્ટી એડવાઈઝર દુષ્યન્ત રાઠોરના જણાવ્યાનુસાર હાલ આપણી ફાયર ટીમ પાસે હાઈડ્રોલિક લિફ્ટ, પમ્પિંગ કેપેસેટી માંડ 6, 7 માળ સુધીની છે. સામાન્ય સંજોગોમાં 5માં માળે આગ લાગે તો પણ ફાયર ટીમને પહોંચવામાં મસકત પડે છે ત્યારે 70 માળની ઈમારતમાં તો રિસ્ક વધી જાય. 70 માળની બિલ્ડિંગમાં ફાયર સેફ્ટી માટે બિલ્ડર અથવા માલિકોએ જ ફાયર સેફ્ટીના ઈક્વિપમેન્ટ અને ડિઝાઈન તૈયાર કરવી પડે. ગુજરાત પાસે હાલ જે ફાયર સેવાઓ છે તેમાં 70 માળની બિલ્ડિંગમાં આગ લાગે તો તેના પર કાબુ મેળવવો પોસિબલ જ નથી. તેમણે પેરામેડિક સ્ટાફથી લઈને હેલિપેડની વ્યવસ્થા કરવી પડશે.
70 માળની બિલ્ડિંગમાં જો ફાયર માટેની આ સુવિધા નહીં હોય તો મોટી હોનારત થાય
સિવિલ એન્જિનિયર અશોક પટેલનું કહેવું છે કે, 70 માળની બહુમાળી ઈમારત બનતી હોય ત્યારે લગતી સમસ્યાઓ આવવી સાવ સામાન્ય વાત છે. એટલે ઈમારતનો પાયો નાંખતા પહેલા જ સાવચેતીના ભાગરૂપે ફાયર માટેની વ્યવસ્થા ઉભી કરવી પડશે. જ્યારે આગ લાગે ત્યારે ઓછા સમયમાં દરેક માળ સુધી પાણી કે બચાવ કામગીરી પહોંચાડવી જરૂરી બને એટલે એવી વ્યવસ્થા ઉભી કરવી પડે. હાલ આપણી જે ફાયર વ્યવસ્થા છે તે 70માળની બિલ્ડિંગમાં આગ લાગે તો જરાય પહોંચી વળે તેમ નથી. ત્યારે આ અંગેના સાધનસરંજામ વસાવવા પડે અને ઈમારતની ડિઝાઈન પણ એવી ખાસ બનાવવી પડે.
હાલના સાધનો કોઈ પણ હિસાબે કામ લાગે એવા નથી : ફાયર વિભાગ
ચીફ ફાયર ઓફિસર એમ એફ દસ્તુરના જણાવ્યાનુસાર હાલ ફાયરની જે સ્થિતિ છે તે કોઈ કાળે 70 માળની બિલ્ડિંગમાં આગ લાગે તો કામ આવે તેમ નથી. વળી બહારથી પમ્પીંગની વ્યવસ્થા કહીતો હાલ 26થી 27 માળ સુધી પહોંચી શકે એટલી સીડીની આપણી પાસે વ્યવસ્થા છે. પણ ફાયર સેફ્ટી માટે બિલ્ડિંગમાં જ સીડીથી લઈને બીજી બધી પણ ઈનબિલ્ડ વ્યવસ્થા રાખવી પડશે. હાલ જો કોઈ 70 માળની ઈમારત બને તો તેને પહોંચી વળી શકાય એવી ફાયર વ્યવસ્થા આપણી પાસે નથી. પણ આવી ઈમારતની ડિઝાઈન વખતે જ ફાયરસેફ્ટીને ધ્યાનમાં રાખીને તેની ડિઝાઈન બનાવવી પડે. સ્પેશ્યલ કાયદાની જોગવાઈ કરવી પડશે. લોકો ફસાઈ નહીં આરામથી ઉતારી શકીએ ફાયરને પણ કામ આવે તેવી વ્યવસ્થા ઈમારત બનાવતી વખતે જ ડિઝાઈન કરવી પડે.
પાર્કિંગ, ભૂકંપ, વાવાઝોડા અંગે પણ મૂંઝવણ
પાર્કિંગ મામલે પણ કેટલાક ઝોલ સામે આવી શકે છે. કેમ કે, ગમે તેમ પરવાના આપતું મનપા તંત્ર 70 માળની ઈમારત અંગે ચકાસણી કરશે કે પરમિશન આપી દેશે તે પણ અગત્યનું છે. કારણ કે 70 માળની ઈમારતમાં એક ફ્લોર પર કેટલા મકાન કે ઓફિસ રખાશે તેના પર પાર્કિંગનો આધાર રહેશે. આ વીશે માહિતી આપતા આર્કિટેક દુષ્યન્ત રાઠોરનું કહેવું છે કે, સ્પેશ મેનેજમેન્ટ જરૂરી બની રહેશે. કમર્શિયલ અને રેસિડેન્સિયલ પાર્કિંગ સ્પેશનું ખાસ મેનેજમેન્ટ કરવું પડે બંને માટેની જરૂરિચાતો મુજબ. તો સિવિલ એન્જિનિયર અશોક પટેલ કહે છે કે, પાર્કિંગ મામલે સરકારે ખાસ ધ્યાન રાખીને ડિઝાઈન અને કાયદા બનાવવા પડશે. એ સિવાય ઈમારતના સ્ટ્રક્ચર વિશે નિષ્ણાંતોની રાય છે કે, પવનની દિશા, જમીનની ગુણવત્તા પણ હાઈરાઈઝ બિલ્ડિંગના ટકાઉપણા અને ભુકંપ કે વાવાઝોડામાં ટકી રહેવા માટે અગત્યની છે.
મુંબઇની જેમ સ્પેશિયલ ટેકનિકલ કમિટીની જોગવાઈ કરાશે
CM રૂપાણીએ જણાવ્યું હતુ કે, મલ્ટીસ્ટોરીંગ બિલ્ડિંગ માટે મુંબઇ, દિલ્હી વિગેરે શહેરોના નિયમોનો અભ્યાસ કર્યા બાદ નિયમોનો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં સ્ટ્રકચર સેફટી, ફાયર સેફટી, ટેકનિકલ આસ્પેકટ્સ મંજૂરી માટે મુંબઇની જેમ સ્પેશિયલ ટેકનિકલ કમિટી વગેરેની તમામ જોગવાઇઓ સૂચવવામાં આવી છે.