અમદાવાદના પીરાણા નજીક પીપળજમાં આવેલી નંદમ ડેનિમ નામની કાપડની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી છે. આ આગમાં 4 લોકોના મોત થયા છે. આગ લાગતા ફાયર વિભાગની 15 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. 100 જેટલા ફાયર જવાનો આગ બુઝાવવા માટે કામે લાગ્યા છે. આગને કાબુમાં લેવા માટે આધુનિક ક્રેનની મદદ પણ લેવાઇ રહી છે. આગ લાગતા દોડધામ મચી જવા પામી છે.
અમદાવાદના પીરાણા પાસે ફેક્ટરીમા આગ
નંદમ ડેનિમમા લાગી આગ લાગતા 4ના મોત
કાપડ બનાવતી ફેક્ટરીમા આગ લાગતા દોડધામ
અમદાવાદની નંદમ ડેનિમ કાપડ ફેક્ટરીમાં લાગેલી આગમાં 4થી 5 લોકો ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરાઇ રહી હતી. ત્યારે હવે માહિતી મળી રહી છે કે 4 લોકોના મૃતદેહ ફાયર વિભાગ દ્વારા બહાર કઢાયા છે. હાલ આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધરાયા છે. બીજા અને ત્રીજા માળે આગ લાગી હોવાથી શેડ તોડીને ક્રેનની મદદથી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરાયા છે.
રવિવારે એકજ દિવસમાં છથી સાત જગ્યા પર આગ લાગવાની ઘટના સામે આવી હતી. જેમાં અમદાવાદની ભીષણ આગમાં 4 લોકોના મોત નિપજ્યાં હતા. જ્યારે અન્ય આગની ઘટનાઓમાં જાનહાનિ થવા પામી નથી.
સુરતના વરાછા વિસ્તારમાં કારખાનામાં આગ
સુરતના વરાછા વિસ્તારમાં સોઈંગ મશીન બનાવતી કંપનીમાં આગ લાગતા અફરા તફરી મચી ગઈ. ગ્રાઉન્ડ ફ્લોર પર લાગેલી આગે જોત જોતામાં વકરાળ સ્વરૂપ ધારણ કર્યું. જેના કારણે કારખાનામાં રહેલી વસ્તુઓ બળીને રાખ થઈ ગઈ. તો બીજી તરફ બનાવની જાણ થતાં ફાયર વિભાગની 8 ગાડીઓ તાત્કાલિક પહોંચી હતી. આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું.
સાવરકુંડલા કૃષ્ણ ગૌશાળામાં લાગી આગ
અમરેલીના સાવરકુંડલામાં કૃષ્ણ ગૌશાળામાં આગ લાગી હતી. ગૌશાળાના ઉપરના માળે આગ લાગતા નીરણનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો. જાનના વરઘોડાનો ફટાકડો ગૌશાળાના ઉપરના માળે આવતા આગ લાગી હતી. જો કે આગમાં ગાયોનો આબાદ બચાવ થયો હતો તેમજ કોઈ જાનહાનિ થઈ ન હતી. પાલિકા અને ખાનગી ફાયર ફાઈટર દ્વારા આગ પર કાબુ મેળવાયો હતો. ઘટનાને પગલે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.
જામનગરમાં બંગડીના કારખાનામાં ભીષણ આગ
જામનગરમાં બંગડીના કારખાનામાં ભીષણ આગ ભભૂકી ઉઠી છે. દરબારગઢ નજીક મણિયાર શેરીમાં આવેલા કારખાનામાં એકાએક આગ લાગતા નાસ ભાગ મચી હતી. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથિમ અનુમાન છે. બનાવની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. જો કે કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો. આગની ઘટનામાં કોઇ જાનહાનીના સમચાર મળ્યાં નથી.
હિંમતનગરના વક્તાપુરના કોટન જિનિંગ મિલમાં આગ
સાબરકાંઠા હિંમતનગરના વકતાપુરમાં કોટન જીનીંગ મીલ શ્રી રાજ કોટન ઈન્ડસ્ટ્રીઝમાં અચાનક આગ લાગી હતી. ભીષણ આગમાં લાખોનું કોટન બળીને ખાક થઇ ગયું છે. ઘટનાની જાણ થતાં ઇડર અને હિંમતનગરની ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને બુઝાવા માટે કવાયત હાથ ધરી હતી. આગની ઘટનાના પગલે આ વિસ્તારમાં હાઇવે પર ટ્રાફિક જામ થઇ ગયો હતો.
આણંદની સામરખા ચોકડી નજીક ટ્રેલરમાં લાગી આગ
આણંદના સામરખા ચોકડી પાસે ટ્રેલરમાં આગ લાગવાની ઘટના બની હતી. અગમ્ય કારણોસર ટ્રેલરમાં આગ લાગતા ટ્રેલર બળીને ખાખ થઈ ગયો છે. ત્યારે આ ઘટનાની જાણ ફાયર વિભાગને થતા ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાણ હાની થઈ નથી.