ગુજરાતમાં એક તરફ મહામારી અને બીજી તરફ બેદરકારીએ મોતના આંકડો વધી રહ્યો છે છેલ્લા ચાર મહિનામાં 8 હોસ્પિટલમાં આગ લાગી છે જેમાં 13 કોરોનાના દર્દીએ પોતાના જીવ ગુમાવ્યા છે. આવામાં રાજકોટમાં ફરી એક વખત કોવીડ હોસ્પિટલમાં આગ લાગતા તંત્ર અને સરકારની કામગીરી પર સવાલો ઉભા થયા છે.
રાજકોટ હોસ્પિટલ આગ મામલે કોંગ્રેસના પ્રહાર
સરકારમાં સંવેદનશીલતા હોય તો જવાબદારી સ્વીકારે: કોંગ્રેસ
3 મહિનામાં 7 હોસ્પિટલમાં આગ
રાજ્યમાં કોરોના કાળમાં અનેક હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. છેલ્લા 4 મહિનામાં 8 હોસ્પિટલમાં આગ લાગવાની દૂર્ઘટના નોધાઈ છે. આવો જાણીએ ક્યાં ક્યાં નોંધાઈ દૂર્ઘટનાઓ અને તેમ છતાં હોસ્પિટલો દ્વારા કોઈ બોધપાઠ નથી લેવામાં આવ્યો.
છેલ્લા 4 મહિનામાં 13ના મોત
ગુજરાતમાં છેલ્લા ચાર મહિનામાં 13 લોકોના મોત થઈ ગયા છે. અમદાવાદ શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગમાં 8 લોકોના મોત થયા હતા. જ્યારે ગઈ કાલે મોડી રાતે રાજકોટની ઉદય શિવાનંદ હોસ્પિટલમાં લાગેલી આગમાં 5 લોકોના મોત થયા છે. ગુજરાતમાં ચાર મહિનામાં કોરોનાના દર્દીઓ જે ICUમાં દાખલ હોય તેવા દર્દીના મોત થયા છે.
વારંવાર આગ લાગવાની ઘટના છતાં સરકારની ઊંઘ નથી ઉડતી
મહામારીમાં જ્યારે સામાન્ય પ્રજા અને કોરોનાના દર્દીઓ પહેલેથી જ ભયમાં છે ત્યારે કોવિડ હોસ્પિટલમાં લાગતી આગ તેમને વધારે દઝાડી રહી છે. છેલ્લાં 4 મહિનામાં આ જ પ્રકારની આ ઘટનાઓમાં 13ના મોત થયાં છે છતાં સરકારના પેટનું પાણી નથી હલતું. દર વખતે આગની ઘટના બને ત્યારે તપાસના આદેશ અપાય છે અને પ્રેસ કોન્ફરન્સમાં જવાબદાર સામે કડક પગલાં લેવાની વાતો માત્ર હોય છે.
આટલી ઘટનાઓ બાદ પણ સરકાર કે તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં કે કાર્યવાહી કરવામાં આવી નથી તેવું કહી શકાય. કારણ કે છેલ્લાં મહિનાઓમાં જે અગ્નિકાંડની ઘટનાઓ બની છે તેમાં કાં તો કોઈ ગુનેગાર સાબિત નથી થયું કે પછી જે ગુનેગારો છે તે જામીન પર બહાર ખુલ્લાં ફરી રહ્યાં છે. આવામાં સરકારની ઢીલી નીતિને કારણે હોસ્પિટલમાં દર્દીઓના જીવની તંત્રને પણ પરવા રહેતી નથી તેવું કહી શકાય.
ત્યારે એ હોસ્પિટલો પર પણ એક નજર કરીએ જ્યાં આગ લાગી અને લોકોના મૃત્યુ પણ નિપજ્યા
અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગ - 8ના મોત
8મી ઓગસ્ટ 2020ના રોજ અમદાવાદમાં કોવિડ હોસ્પિટલમાં આગ લાગી હતી અને શ્રેય હોસ્પિટલમાં આગમાં 8 લોકોના મોત થયા હતા. શ્રેય હોસ્પિટલમાં તપાસ પૂરી કરી લેવાઈ છે પણ ગુનેગારોને જામીન પર મુક્ત કરી દેવામાં આવ્યા છે.
25 ઓગસ્ટ - જામનગરની જીજી હોસ્પિટલમાં આગ
જામનગરની જી.જી હોસ્પિટલમાં બે માસ અગાઉ આગ લાગી હતી. ICU વોર્ડમાં આગ લાગતા 11 દર્દીને બચાવી લેવાયા હતા. ગ્રાઉન્ડ ફ્લોર પર જ વોર્ડ હોવાથી બચાવ કાર્ય સરળ બન્યુ હતુ.
ઇલેક્ટ્રિક વાયરિંગમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. આગ પૂર્વે જ હોસ્પિટલમાં ફાયર સેફટી અંગે સર્વેક્ષણ કરાયું હતું. હોસ્પિટલમાં મહત્તમ ભાગમાં લાકડાનું સ્ટ્રક્ચર હોવાથી આગ વધુ પ્સરી હતી. જીજી હોસ્પિટલમાં તપાસ બાદ કોઈ ગુનેગાર પકડાયા જ નથી અને કોઈ ગુનેગાર છે તેવું કહેવાયુ જ નથી.
8 સપ્ટેમ્બર - વડોદરાની SSG હોસ્પિટલમાં આગ
વડોદરાની SSG હોસ્પિટલના કોવિડ સેન્ટરમાં ત્રીજા માળે શોટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ઇલેક્ટ્રિક વાયરો સળગતા ધુમાડો થયો હતો. વડોદરાની SSG હોસ્પિટલમાં કોરોના વોર્ડનામાં આગ લાગી હતી. 35થી વધુ દર્દીઓ વોર્ડમાં સારવાર લઇ રહ્યાં હતા. જોકે આ દુર્ઘટનામાં કોઇ જાનહાનિ થવા પામી ન હતી. તમામ દર્દીઓને તાત્કાલિક બચાવી લેવામાં આવ્યા હતા. પરંતુ આ આગ લાગવાનું કારણ ધમણ હોવાનું સામે આવ્યું હતુ. SSG હોસ્પિટલમાં પણ તપાસ પૂરી કરી લેવામાં આવી છે પરંતુ તેમાં પણ કોઈ ગુનેગારને સજા અપાઈ નથી.
18 નવેમ્બર - સુરતની ટ્રાય હોસ્પિટલમાં આગ
તાજેતરમાંજ સુરત ટ્રાય હોસ્પિટલમાં આગ લાગી હતી. સુરતમાં પણ વારંવાર આગ લાગે છે. હોસ્પિટલના સર્વર રૂમમાં આગ લાગતા દર્દીઓ અને ડોક્ટરોમાં નાસભાગ મચી ગઈ હતી. સારવાર લઈ રહેલા કોરોનાના તમામ 16 દર્દીઓને શિફ્ટ કરાયા હતી. પ્રાથમિક તપાસમાં શોર્ટસર્કિટથી આગ લાગી હોવાનું તારણ હતી. સુરતની ટ્રાઈસ્ટાર હોસ્પિટલમાં તપાસ ચાલુ છે અને હજુ સુધી એક પણ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી નથી.
18 ઓગસ્ટે થલતેજની સમર્પણ હોસ્પિટલમાં લાગી હતી આગ
અમદાવાદમાં 18મી ઓગસ્ટના રોજ સમર્પણ હોસ્પિટલમાં આગ લાગી હતી. અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલી સમર્પણ હોસ્પિટલમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. બપોરના સમયે હોસ્પિટલના કોમન મીટરમાં આગ લાગતા એકાએક અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જેને પગલે ફાયર બ્રિગેડની સાત ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ બૂઝવવાની કામગીરી હાથ ધરાઈ હતી
સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલમાં આગ
29 સપ્ટેમ્બરે સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલમાં આગ લાગી હતી. કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓએ ભાગવું પડ્યું હતુ. આગ લાગવાનું પ્રાથમિક કારણ શોટ સર્કિટ હોવાનું જાણવા મળ્યું છે. અચાનક હોસ્પિટલના કોવિડ વોર્ડમાં આગ ભભૂકી ઉઠી હતી જેને પરિણામે તુરંત જ બચાવ કામગીરી હાથ ધરાઈ હતી અને 15 દર્દીઓ જે સારવાર હેઠળ હતા તે તમામને આબાદ બચાવી લેવાયા છે.
છોટાઉદેપુર જીલ્લા ના બોડેલી મા આવેલી ઢોકલીયા પબ્લિક હોસ્પિટલ ખાતે ચાલતા કોવિડ સેન્ટર ના રિસિપન્સન કાઉન્ટર પાસે ના ઇલેક્ટ્રીક બોર્ડમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી ગઈ હતી. જોકે શોર્ટ સર્કિટ થતા જ હોસ્પિટલ ના સ્ટાફે સમય સુચકતા વાપરી ફાયર સેફટી ના સાધનો નો ઉપયોગ કરી અને આ આગને ઓલવી નાખી હતી.
26 ઓગસ્ટે હિંમતનગરના હડિયોલ PHC માં આગ લાગી
હિંમતનગરના હડિયોલ PHCમાં આગ લાગી હતી. PHCના એક રૂમમાં આગ લાગી જતાં આખા દવાખાનામાં ધૂમાડાની અસર જોવા મળી હતી. સ્ટાફને આ અંગેની જાણ થતાં તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. હિંમતનગર ફાયર બ્રિગેડે તાત્કાલિક દોડી જઈને આગ પર કાબૂ મેળવી લીધો હતો. આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ-સર્કિટ કહેવામાં આવી રહ્યું છે.
હોસ્પિટલો 'મોતની પથારી' કેમ બની રહી છે?
મોટાભાગની હોસ્પિટલો બિઝનેસમેન ચલાવે છે ડોક્ટર અને નિષ્ણાંત તબીબો નહી