રાજકોટમાં ગોઝારી હોસ્પિટલમાં આગની ઘટના બની છે. જેમાં 5 દર્દીઓના મોત થયા છે. અને એકની હાલત ગંભીર છે. આ ઘટના માટે કોણ જવાબદાર? કોની બેદરકારી જેવા પ્રશ્નો ઉઠી રહ્યા છે.
રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગ
આગમાં 5 લોકોના મૃત્યુ, 1 ગંભીર
33 લોકો કોરોનાગ્રસ્ત હતા જે સારવાર લઈ રહ્યા હતા
રાજકોટના આનંદ બંગલા ચોક નજીક આવેલ ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે આગ લાગતા 5 લોકોના મોત થયા છે. આ ખાનગી હોસ્પિટલમાં કુલ 33 કોરોનાના દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા. બચાવી લેવાયેલા અન્ય દર્દીઓને અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.
રિકવરી પહેલા આકસ્મિક આગે હંમેશા માટે શ્વાસ છીનવી લીધા
આગની આ કરૂણ ઘટનામાં મોતને ભેટેલા રસિકલાલ અગ્રાવતે એક લાખ, રામશીભાઇએ એક લાખ અને કેશુભાઇ અકબરીએ પણ એક લાખ રૂપિયા ડિપોઝિટ જમા કરાવી હોવાનો ઉલ્લેખ છે. આ ત્રણેય કોરોના પોઝિટિવ દર્દીઓએ કોરોના સામે જિંદગીનો જંગ જીતવા માટે લાખો રૂપિયાનો ખર્ચ ભલે થાય પણ ખાનગી હોસ્પિટલમાં સારી સારવાર કરાવવાનો નિર્ણય લીધો હતો.
જો કે ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન ICUના બેડ પર જ તેમના કોરોનાથી રિકવરી પહેલા આકસ્મિક આગે હંમેશા માટે શ્વાસ છીનવી લીધા. મધરાતે 12.20 વાગ્યે ફાયરબ્રિગેડને આગ લાગવાનો પહેલો કોલ આવ્યો હતો.
આગની ઘટનામાં 5ના મોત
ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં ICUમાં મોડી રાત્રે લાગેલી આગમાં કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓમાંથી 5ના મોત થયા છે. કેટલાક દર્દીઓતો પોતોના બેડમાંથી ઉભા પણ થઇ શક્યા ન હતાં અને બેડ સાથે જ ભડથું થઇ ગયા હતાં.