ગુજરાત રાજ્યમાં વારંવાર હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના સામે આવતી હોય છે ત્યારે ભાવનગરની હોસ્પિટલમાં આગ લાગવાથી અફરાતફરી મચી ગઈ હતી.
હોસ્પિટલમાં કુલ 70થી વધુ દર્દીઓ દાખલ હતા, ત્રીજા માળે વેન્ટિલેટર વાળા રૂમમાં લાગી હતી આગ
શોટ સર્કિટ કારણે આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી આવી સામે
MLA જીતુ વાઘાણી સહિતના આગેવાનો મોડી રાત્રે પહોંચ્યા હતા ઘટનાસ્થળે
ભાવનગરની હોસ્પિટલમાં આગથી અફરાતફરી
ગુજરાત સહિત આખા દેશમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે ત્યારે જે દેશમાં એવી ઘટનાઑ પણ સામે આવી છે કે સાજા થવાની આશા લઈને જે હોસ્પિટલમાં દર્દીઓ ગયા હોય ત્યાં આગ તેમનો જીવ લઈ લે. ભાવનગરની હોસ્પિટલમાં પણ આગ લાગવાની ઘટના સામે આવી હતી. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
બધા દર્દીઓને તાત્કાલિક બીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
ભાવનગરની જનરેશન એકસ હોસ્પિટલમાં જે કોવિડ કેર સેન્ટર ચાલી રહ્યું હતું તેમાં ત્રીજા માટે આગ લાગવાની ઘટના સામે આવી છે. તે સમયે હોસ્પિટલમાં કુલ 70થી પણ વધારે દર્દીઓ દાખલ હતા જેના કારણે અફરાતફરી મચી ગઈ હતી. બધા જ દર્દીઓને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા હતા. આ તમામ દર્દીઓને તાબડતોબ મોડી રાત્રે અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેમાં દર્દીઓને સર તખ્તસિંહજી અને લેપ્રેસી હોસ્પિટલ ખસેડાયા છે. જે ફ્લોર પર આગ લાગી તે જ ફ્લોર પર 32 જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા.
લોકોના જીવ બચાવી લેવાયા
પ્રાથમિક જાણકારી અનુસાર શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે. આગ જે સમયે લાગી ત્યારે ઘણા બધા દર્દીઓ ઑક્સીજન સપોર્ટ પર હતા તે બધાને ઑક્સીજનના સિલેન્ડર સાથે બહાર કાઢવામાં આવ્યા. આ હોસ્પિટલમાં તત્પરતાથી કામ કરવામાં આવ્યું હોવાથી લોકોના જીવ બચાવી શકાયા છે. આગની ઘટનાની જાણ થતાં જ ભાવનગરથી ધારાસભ્ય જીતુ ભાઈ વાઘાણી સહિતના આગેવાનો પણ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા.
હાલમાં જ ભરૂચમાં દર્દીઓએ આગના કારણે ગુમાવ્યા હતા જીવ
નોંધનીય છે કે હાલમાં જ ભરૂચ શહેરની વેલફેર હોસ્પિટલમાં પણ કોરોના વોર્ડમાં આગ લાગવાની ઘટના થઈ હતી જેમાં મોટી રાતે ભીષણ આગમાં 14 દર્દીઓ તથા 2 નર્સે જીવ ગુમાવ્યા હતા. તે સમયે કોરોના વોર્ડમાં 49 દર્દીઓ દાખલ હતા.