અમદાવાદમાં લાગેલી ભીષણ આગ મામલે મૃતકોના પરિવારજનોનો આક્રોશ ફાટી નીકળ્યો છે. પરીજનોનો આક્ષેપ છે કે તેમને તેમના સ્વજનોના મોત અંગે અને આગ અંગે જાણ નહોતી કરાઈ એટલું જ નહીં પરંતું ટીવી માધ્યમો દ્વારા તેમને જાણ થઈ હતી.
અમદાવાદના નવરંગપુરામાં કોવિડ હોસ્પિટલમાં આગ
શ્રેય હોસ્પિટલના ICU વોર્ડમાં લાગી આગ
આગ લાગતા કોરોનાનાં 8 દર્દીઓના મોત
શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલી કોવિડ-19 શ્રેય હોસ્પિટલમાં ગત મધરાતે 3 વાગ્યાની આસપાસ અચાનક આગ ભભૂકી હતી. આ આગમાં કોરોનાના દર્દી એવા 5 પુરુષ અને 3 મહિલા સહિત 8 દર્દીના મોત થયા છે. ત્યારે આ દુર્ઘટના પાછળ ફાયર વિભાગ તેમજ હોસ્પિટલની મોટી બેદરકારી સામે આવી રહી છે.
પરિવારજનોનો આક્ષેપ
પ્રાપ્ત માહિતી અનુસાર, શ્રેય હોસ્પિટલમાં માત્ર એક જ દરવાજો છે. ઉપરાંત ફાયર સેફ્ટીના સાધનોની તપાસ કરતા તે પણ એક્સપાયરી ડેટના નીકળ્યા છે. ત્યારે હોસ્પિટલે પણ મધરાતે લાગેલી આગમાં મોતને ભેટનાર દર્દીઓના પરિવારજનોને જાણ ન હતી કરી.
માધ્યમો દ્વારા થઈ જાણ
પરિવારજનનો મીડિયા દ્વારા દુર્ઘટનાની જાણ થઈ હતી. હાલમાં હોસ્પિટલમાંથી 5 લોકોના મૃતદેહ પીએમ માટે લઇ જવામાં આવ્યા છે. હાલમાં શ્રેય હોસ્પિટલને સીલ કરાઈ છે અને તેની સામે FIR દાખલ કરવામાં આવી છે.
શું છે હાલની સ્થિતિ
શ્રેય 50 બેડવાળી કોવિડ-19 હોસ્પિટલ છે. જ્યાં 40થી વધુ કોરોનાના દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા. દુર્ઘટનામાં જે દર્દીઓના મોત થયા છે તેમના મૃતદેહોને પીએમ માટે લઈ જવામા આવ્યા છે. જ્યારે અન્ય દર્દીઓને SVP હોસ્પિટલમાં ખસેડાયા છે.