અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં આવેલા લાકડાના ગોડાઉનમાં એકાએક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. અત્યાર સુધીમાં 20થી વધુ ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવાના તનતોડ પ્રયાસ કર્યા હતા. હાલ આગ પર કાબૂ મેળવી લેવાયો છે. જો કે, આ આગ કયા કારણોસર લાગી તે અંગે હજી સુધી જાણી શકાયું નથી.
અમદાવાદના સરખેજ વિસ્તારમાં આગની ઘટના
લાકડાના ગોડાઉનમાં લાગી હતી ભયંકર આગ
પોલીસ સ્ટેશન સામે ગોડાઉનમાં લાગી આગ
પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે, શહેરના સરખેજ વિસ્તારમાં આવેલા લાકડાના ગોડાઉનમાં શનિવારની મોડી સાંજે એકાએક ભયંકર આગ લાગવાની ઘટના બનતા આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. આ બનાવ અંગેની જાણ થતાં જ ફાયર વિભાગની 20થી વધુ ગાડીઓ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આગ બૂઝાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.
એક કલાકની જહેમત બાદ આગ કાબૂમાં લેવાઇઃ ફાયર અધિકારી
સરખેજમાં આગ લાગવાનો મામલે ફાયર અધિકારી જયેશ ખાડીયાએ કહ્યું કે, લાકડાના ગોડાઉનમાં અચાનક આગ લાગી હતી. આગ લાગતા 23 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. અત્યારે આગ કાબુમાં છે. આગ લાગવાનું કારણ હાલ અકબંધ છે.
કોઇ જાનહાનિના અહેવાલ નહીં
ઉલ્લેખનીય છે કે, આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી. જોકે, અચાનક લાગેલ આગને પગલે મોટા ભાગના માલ-સામાનને નુકસાન પહોંચ્યું હતું. આગની ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી.