અમદાવાદની ઓર્ચિડ ગ્રીનમાં આગની દુર્ઘટના બાદ ફાયર વિભાગ સફાળું જાગ્યું જાગ્યું છે. ફાયર NOC ન લેનારી 10 બિલ્ડિંગોના પાણીના કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે. તો 25 હાઈરાઈઝ બિલ્ડીંગને NOCને લઇ નોટિસ ફટકારવામાં આવી છે.
ઓર્ચિડ ગ્રીનમાં દુર્ઘટના બાદ ફાયર વિભાગ જાગ્યું
ફાયર NOC વિનાની બિલ્ડીંગમાં કાર્યવાહી
10 બિલ્ડીંગના પાણીના કનેક્શન કપાયા
23 હાઈરાઈઝ બિલ્ડીંગને NOCને લઇ ફટકારી નોટિસ
અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલી એક હાઇરાઈઝ બિલ્ડીંગની દુર્ઘટનામાં એક તરુણીનું મોત નીપજ્યાં બાદ ફાયર વિભાગ એકાએક સફાળું જાગ્યું છે અને ફાયર NOC ન લેનારી 10 બિલ્ડીંગોના પાણીના કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે. સાથે જ ફાયર વિભાગે શહેરની 23 હાઈરાઈઝ બિલ્ડીંગને NOCને લઇ ફટકારી નોટિસ ફટકારી છે. ફાયર વિભાગે પાણી અને ગટરના કનેક્શન કાપવા આ બિલ્ડીંગને નોટિસ ફટકારી છે.
શહેરની 2435 જેટલી બિલ્ડિંગમાં નથી ફાયર NOC
ઓર્ચિડ ગ્રીન દુર્ઘટના બાદ ફાયર વિભાગ એક્શનમાં આવ્યું છે. 1427 કોમર્શિયલ બિલ્ડિંગમાં ફાયર NOC આપવામાં આવી આવી છે. તપાસમાં સામે આવ્યું છે કે, શહેરની 608 હાઇરાઈઝ રહેણાક બિલ્ડીંગમાં ફાયર NOC જ નથી. શહેરમાં 3 હજાર 174 જેટલી રહેણાક બિલ્ડીંગમાંથી 2 હજાર 435 જેટલી બિલ્ડીંગમાં ફાયર NOC નથી.
23 હાઈરાઈઝ બિલ્ડીંગને NOCને લઇ ફટકારી નોટિસ
ફાયર NOC ન લેનારી 10 બિલ્ડિંગોના પાણીના કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે. ફાયર વિભાગે શહેરમાં 23 હાઈરાઈઝ બિલ્ડીંગને NOCને લઇને નોટિસ ફટકારી છે. ફાયર વિભાગે આ બિલ્ડીંગોને પાણી અને ગટરના કનેક્શન કાપવા નોટિસ ફટકારી છે. આ 25 બિલ્ડીંગોમાં ગોતાની સેવન્થ ગ્રેસ, ઘાટલોડિયાના નિર્માણ કોમ્પલેક્ષ, થલતેજના ઈન્દ્રપ્રસ્થ કોમ્પલેક્ષ, મણિનગરના રૂદ્રા સ્કાઈ, ઈસનપુરની શ્યામસાઈ-2, ખોખરાની શ્રી રામ હાઈટ્સ, ચાંદલોડિયાના બી.એમ.ટાવર, સેટેલાઈટના હેત્વી ટાવર, બોડકદેવના પુષ્કર ટાવર, રોયલ ચિન્મય ટાવર, જગતપુરના વ્રુંદાવન, રાણીપના કલાસાગર હાઈટ્સનો સમાવેશ થાય છે.
ઓર્ચિડ ગ્રીન બિલ્ડીંગમાં લાગી હતી ભીષણ આગ
ગત 07 જાન્યુઆરીએ અમદાવાદના શાહીબાગની ઓર્ચિડ ગ્રીન બિલ્ડીંગના સાતમા માળે આવેલા એક ફ્લેટમાં ભીષણ આગ લાગી હતી. જેમાં એક સગીરાનું કરૂણ મૃત્યુ નીપજ્યું હતું. આ સાથે અન્ય 5 સભ્યોને ફાયર વિભાગે બચાવી લીધા હતા. જોકે, સ્થાનિકોએ ફાયરવિભાગ પર ગંભીર આક્ષેપો લગાવ્યા હતા.
ગિઝર ચાલુ કરતા અચાનક ફાટી નીકળી હતી આગ
વિગતવાર વાત કરીએ ગિરધરનગરમાં ઓર્ચિંડ ગ્રીન બિલ્ડિંગના બી બ્લોકના સાતમા માળે સુરેશ ગૌતમચંગ જીરાવાલા તેમના પરિવાર સાથે રહે છે. સુરેશભાઈના ભાઈની 17 વર્ષીય દીકરી પ્રાંજલ સુરતથી અમદાવાદ ભણવા માટે આવી હતી. તે સુરેશભાઈના ઘરે રહેતી હતી. આજે સવારે તે નહાવા માટે બાથરૂમમાં ગઈ હતી. ત્યારે ગિઝર ચાલુ કરતા અચાનક આગ ફાટી નીકળી હતી. પ્રાંજલે આગ બૂઝાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ધીમે-ધીમે આગ આખા ફ્લેટમાં પ્રસરી ગઈ હતી. જેથી પ્રાંજલ પોતાનો જીવ બચાવવા માટે બાલ્કનીમાં પહોંચી ગઈ હતી. તો આગ લાગતા સુરેશભાઈ અને તેમનો પરિવાર તાત્કાલિક ઘર બહાર દોડી ગયો હતો. જ્યારે પ્રાંજલ બાલ્કનીમાં ફસાઈ ગઈ હતી.
ફાયરની 15 ગાડીઓ પહોંચી હતી ઘટના સ્થળે
આ ઘટનાની જાણ ફાયર વિભાગને કરાતા ફાયરની 15 જેટલી ગાડીએ ઘટનાસ્થળે દોડી આવી હતી અને પાણીમારો ચલાવી આગ પર કાબૂ મેળવવાની તજવીજ હાથ ધરી હતી. ઓર્ચિડ ગ્રીન ફ્લેટના 7મા માળે લાગેલી આગને નીચેથી પચીસેક મિનિટ સુધી પાણીનો મારો ચલાવવા છતાં ઓલવી શકાતી નહોતી.
બાલ્કનીમાં જીવ બચાવવા તડફડીયા મારતી રહી સગીરા
સ્થાનકોએ જણાવ્યું હતું કે, ફાયર ફાઈટર દ્વારા પાણીનો જે મારો ચલાવવામાં આવતો હતો, એ ફક્ત 5મા માળ સુધી જ જઈ શકતો હતો. વાસ્તવમાં આગ 7મા માળના ફ્લેટમાં લાગી હતી અને આગ વધતી જ જતી હતી. કોઈ રીતે આગ કાબૂમાં આવી જ નહોતી રહી, કારણ કે એને ઓલવવા માટે પાણીનો ફોર્સ પૂરતો નહોતો. તો બાલ્કનીમાંથી પોતાનો જીવ બચાવવા માટે 17 વર્ષીય પ્રાંજલ ચીસાચીસ કરી રહી હતી.
પ્રાંજલ બેભાન થઈ ગઈ હતી અને ખૂબ દાઝી ગઈ હતી
જે બાદ ફ્લેટના જ રહીશ ફાયરબ્રિગેડને સામેની વિંગમાં 7મા માળે લઈ ગયા હતા. ત્યાં જઈને ફાયરની ટીમે સીધો સામેના જ ફ્લેટ પર પાણીનો મારો ચલાવ્યો હતો. આ કારણે ફાયરની ટીમ સ્થળ પર પહોંચી તેના માંડ અડધો કલાક પછી આગ પર કાબૂ મેળવી શકાયો હતો. પરંતુ ત્યાં સુધીમાં તો પ્રાંજલ બેભાન થઈ ગઈ હતી અને ખૂબ દાઝી ગઈ હતી. તરુણીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં પહોંચાડવામાં આવી હતી. પરંતુ એ દરમિયાન ગંભીર રીતે દાઝી ગયેલી તરુણીનું મોત નીપજ્યું હતું.
પાણી સમયસર 7મા માળે પહોંચ્યું હોત તો દીકરી બચી જાતઃ પ્રત્યક્ષદર્શી
આ દુર્ઘટનાના પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે, બૂમા બૂમનો અવાજ સંભળાતા હું નીચે દોડી ગયો હતો. ત્યાં જઈને જોયું તો બાજુના બિલ્ડિંગમાં આગ લાગી હતી અને એક છોકરી પણ ફસાયેલી હતી, તે ગેલરીમાંથી જીવ બચાવવા માટે બૂમાબૂમ કરતી હતી . ફાયર ફાઈટર દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો હતો, પરંતુ પાંચમા માળ સુધી જ પાણી પહોંચતું હતું. જેથી મેં તેમને બાજુની બિલ્ડિંગમાંથી પાણી નાખવા જણાવ્યું હતું અને અંતે આશરે 25-30 મિનિટ બાદ આગ કાબૂમાં આવી હતી. જો પાણી સમયસર 7મા માળે પહોંચ્યું હોત તો દીકરી બચી જાત.