સુરતના સરથાણા પાસેના કોમર્શિયલ કોમ્પલેક્સ તક્ષશીલા આર્કેડમાં સર્જાયેલા અગ્નિ તાંડવે તંત્રને ઊંઘતું ઝડપ્યું છે. એટલું જ નહીં બેદરકારી અને નાણાં ઉસેટવાની અગન જ્વાળામાં સ્વાહા થઈ ગયેલા અનેક વિદ્યાર્થીઓ આપણને ક્યારેય માફ ન કરે તેવા વ્યાવસાયિક પાપને પણ છાપરે ચડીને પોકાર્યું છે. પરંતુ હવે ઘોડા નાસી ગયા પછી તબેલાને તાળા મારવા તંત્રના ધાડા રસ્તા પર ઊતરી પડયા છે. સવાલ એ છે કે આ કંઈ પ્રથમવારની ઘટના નથી તો પછી આ તંત્રના આ હવાતિયા કેટલા કારગત નીવડશે.
શું આ માત્ર લોકરોષ શમાવવાની તાંત્રિક કવાયત બની રહેશે?
સુરતના સરથાણામાં એક કોમર્શિયલ બિલ્ડિંગમાં લાગેલી આગે એવું તો વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું કે જોત જોતામાં 20 જેટલા વિદ્યાર્થીઓ આગમાં સ્વાહા થઈ ગયા. તક્ષશીલા આર્કેડમાં ચાલતા એ ટ્યૂશન ક્લાસીસમાં વિદ્યાર્થીઓ તો ગયા હતા ભણવા માટે પરંતુ તેમને ક્યાં ખબર હતી કે એક દિવસ આ જ ઈમારતમાં એક દિવસ તેમની જિંદગી કાયમ માટે દફન થઈ જશે. દેશનુ ઉગતું ભવિષ્ય કેટલાક ધંધાદારીઓ અને તંત્રની મિલિભગતના પાપે અકાળે ભસ્મીભૂત થઈ ગયું. એ ધુમાડાના ગોટે ગોટા. એ મદદ માટેની બૂમરાણો અને એ જીવ બચાવવા માટેના હવાતિયાએ કેટલાકને જીવતા જ ભૂંજી નાખ્યા તો કેટલાકને ત્રીજા માળેથી નીચે ધકેલી દીધા. નીચે રસ્તા પર આક્રંદ કરતાં ઊભેલા વાલીઓએ નજર સામે જ પોતાના કુલદીપકને હોલવાતા જોયાં. લપકારા મારતી આગની જ્વાળાઓ અને બીજી તરફ કોઈના લાડકવાયાના ઓલવાતા જતા જીવન દીપક. આખરે આ બધું કોના પાપે સર્જાયું તેનો જવાબ શોધવા તંત્ર અનેક કાગળિયાઓમાં તપાસ કરશે અને તપાસ સમિતિઓ નીમશે અને કદાચ જવાબદારોને સજા પણ થશે પરંતુ. એ અનેક વાલીઓને તેમના સંતોના પાછા મળશે ખરાં?
ક્યા કારણથી લાગી આગ?
સુરતના તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગમાં હવે નવો ખુલાસો સામે આવ્યો છે. તક્ષશિલા આર્કેડમાં ફાયર સેફ્ટીના તમામ નિયમોનો ભંગ સામે આવ્યો હતો. આ આર્કેડમાં ટેરેસ પરના ડોમમાં ટ્યુશન ક્લાસીસ ચાલતા હતા. ડોમમાં ચાલતા ટ્યુશન ક્લાસમાં વિવિધ વાહનોના રબરના ટાયરો પણ રાખવામાં આવ્યા હતા. જ્યારે શોર્ટ સર્કિટથી આગ લાગી ત્યારે આ રબરના ટાયરો પણ આગની લપેટમાં આવી ગયા અને આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધુ. ટાયરો સળગતાં ધુમડાએ એક તરફ નજર સામે અંધારું કરી દીધું અને બીજી તરફ વિદ્યાર્થીઓના શ્વાસ પણ ગુગળાવી દીધા. આખરે કેટલાકને બહાર નીકળવાનો માર્ગ જ ન સૂઝ્યો તો કેટલાક વિદ્યાર્થીઓએ છેક ચોથા માળેથી મોતની છલાંગ લગાવવાની ફરજ પડી. આ નાણાં ઉસેટવાનો એક માત્ર ધર્મ સમજતા ધંધાદારી ટ્યૂશન ક્લાસીસના સંચાલકોનો ક્લાસ જુઓ ત્રીજાથી ચોથા માળે જવાની સીડી પણ લોખંડની હતી અને સીડીના પગથિયા લાકડાના હતા. જેથી લાકડાની સીડીઓ પણ આગની લપેટમાં આવી ગઈ. જેથી દાદરાના પેસેજમાં લાગેલી આગના કારણે વિદ્યાર્થીઓ સીડીઓ ઉતરી શક્યા નહીં અને બહાર આવી શક્યા નહીં. એક મોટી કરુણાંતિકા સર્જાઈ ગઈ.
ફાયર સેફ્ટી ન હતી તો કોની રહેમથી બિલ્ડિંગ ધમધમતું હતું?
શહેરમાં ટ્યૂશન ક્લાસમાં આગ લાગવાની ઘટનામાં જો કોઈ જવાબદાર હોય તો તે છે સુરત મહાનગરપાલિકાના સંબંધિત અધિકારીઓ અને બિલ્ડર. આમ છતાં તેની સામે કેવા કાયદાકીય પગલાં ભરવામાં આવશે તે એક યક્ષપ્રશ્ન છે. આ હોનારત સર્જાવા પાછળ ઈમ્પેક્ટ ફીનો કાયદો પણ કારણભૂત હોવાની વાત સામે આવી છે. તક્ષશિલા આર્કેડનું બાંધકામ ગેરકાયદેસર હતું 2007માં પ્રથમ માળ બનાવ્યો હતો, 2010માં બીજો અને ત્રીજો માળ ગેરકાયદેસર બાંધી દેવામાં આવ્યો હતો. ત્યાર બાદ ઈમ્પેક્ટ ફીનો કાયદો હેઠળ મંજુરી પણ મળી ગઈ. ઈમ્પેક્ટ ફીના કાયદામાં ગ્રાઉન્ડ ઉપરાંત વધારાના ત્રણ માળ વધારી દેવામાં આવ્યા હતા. અધૂરામાં પૂરું પૂરતી ફાયર સેફ્ટિ સુવિધા વગર અને એનઓસી વગર જ અહીં ટ્યુશન ક્લાસીસ ધમધમતા રહ્યા અને મ્યુનિસિપાલ તંત્રના અધિકારીઓ હપતા ઉઘરાવીને અનેકના જીવન સાથે રમત રમતા રહ્યાં. જો કે આ મામલે બિલ્ડર હરસુલ વેકરીયા, જીજ્ઞેશ અને ટ્યુશન સંચાલક ભાર્ગવ બુટાણી સામે ફરિયાદ થઈ છે. પોલીસે ટ્યુશન સંચાલક ભાર્ગવ બુટાણીની ધરપકડ પણ કરી છે. સાથે જ ફાયર વિભાગની NOC વગર જો કોઈ સંચાલક ક્લાસીસ શરૂ કરશે તો તેમની સામે કાર્યવાહી કરવાના પણ આદેશ આપવામાં પણ અપાયા છે.
મહાનગરપાલિકાએ ફાયર સેફ્ટી માટે શું પગલા લીધા?
આ કરુણાંતિકાએ એ વાલીના જીવનમાં ક્યારેય ન પૂરાય તેવી ખોટ સર્જી છે. સાથે સમાજના એવા અનેક વાલીઓને પણ ભયમાં જીવવા મજબૂર કર્યા છે. જેમના સંતાનો આવા બિલ્ડિંગોમાં ટ્યૂશનમાં જતા હોય છે. ત્યારે નાગરિકોમાંથી સવાલ એ ઊભા થઈ રહ્યા છે કે મહાનગરપાલિકાએ ફાયર સેફ્ટી માટે શું પગલા લીધા? ફાયર બ્રિગેડ પહોચ્યું તો પણ બાળકોને કુદવાની કેમ જરૂર પડી? ફાયર સેફ્ટી ન હતી તો કોની રહેમથી બિલ્ડિંગ ધમધમતું હતું? શું ફાયર બ્રિગેડ તેના સાધનોનું સમયાંતરે ચેકિંગ કરે છે? મહાનગરપાલિકાએ તક્ષશિલાનું સિલિંગ કર્યું હતું તો ખોલ્યું કેમ? કોઈ રાજકારણીના કહેવાથી ક્લાસિસનું સિલિંગ કેમ ખોલાયું? સિલિંગ કર્યા પછી લેખિતમાં ફાયર સેફ્ટીની બાંયેધરીનું શું થયું? મનપાના કામમાં અડચણ બનનારા રાજકારણી કોણ હતા? ક્લાસિસના માલિકોને શું માત્ર પૈસા રળવામાં જ રસ છે?