સુરતમાં થયેલા અગ્નિકાંડ બાદ હવે આવી જ એક આગની ઘટના ઉત્તરપ્રદેશમાંથી પણ સામે આવી છે. ઉત્તરપ્રદેશના કાનપુરમાં કોપાડગંજમાં એક બિલ્ડીંગમાં આગની ઘટના સામે આવી છે. કોપાડગંજમાં આવેલા એક બારદાનના ગોડાઉનમાં આ આગની ઘટના સામે આવી છે.
બારદાનના ગોડાઉનમાં આગ લાગતા આગે વિકરાળ રૂપ લીધુ હતુ. શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હતી. જે બાદ આગે સમગ્ર બિલ્ડીંગને પોતાની બાનમાં લીધુ અને ગોડાઉનમાં રહેલા માલસામાન બળીને ખાખ થયો હતો.
તો ગોડાઉનની ઉપર કેટલાક પરિવારો પણ રહેતા હતા. જેઓ આગ લાગતા ફસાયા હતા.. ઘટનાની જાણ ફાયર વિભાગ અને પોલીસને થતા તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, બિલ્ડીંગમાં ફસાયેલા પાંચ જેટલા લોકોને ફાયર વિભાગે રેસ્ક્યૂ કર્યા હતા. સદનસીબે આ આગમાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. પણ આગ પર કાબૂ મેળવાતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.