અમદાવાદના જગતપુર પાસે આવેલા ગણેશ જેનેસિસ ફ્લેટમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આ આગની અસર 5, 7 અને 9માં માળા પર પણ ફેલાઈ હતી. જેથી આ ત્રણેય માળ પર રહેતા લોકોને આગની અસર થઈ હતી. તો સુરતની જેમ અમાદાવાદ ફાયર વિભાગની પણ ગંભીર બેદરકારી સામે આવી છે. તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગમાં બાળકોને બચાવવા માટે તંત્ર પાસે સીડી નહોતી તો અમદાવાદનાં સીડી તો હતી પણ ખૂલી નહીં.
શહેરનાં જગતપુરના ગણેશ જેનેસિસ રેસિડેન્સીમાં 6ઠ્ઠા માળે એ.સી.ના વાયરોમાં શોર્ટ સર્કિટ થતાં 5માં માળે રહેલી ગેસની બોટલ ફાટતાં અચાનક આગ લાગી હતી. જેણે ભયંકર રૂપ ધારણ કર્યું હતુ. આ ઘટનાની જાણ ફાયર વિભાગને થતા ફાયર વિભાગની 10વધુ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જ્યારે બચાવ કામગીરી દરમિયાન ફાયરસેફ્ટિમાં ટેક્નિકલ ખામી થતા ફાયરનું સ્નોરેકલ બંધ થઈ ગયું હતું. ત્યાર બાદ સ્નોરેકલ ચાલુ કરવા માટે ચાર વાર પ્રયત્નો કર્યા હોવા છતાં સ્નોરકલ ચાલુ થયું ન હોતું. હાલમાં આ આગ સંપૂર્ણ પણે કાબુમાં લેવાઇ ગઇ છે.
બે બ્લોક ભેગા કરીને મોટો ફ્લેટ બનાવ્યો હતો. રસોડામાંથી આગ ડ્રોઈંગ રૂમ અને બીજા રૂમમાં ફેલાતા ફર્નિચર બળવા લાગ્યું હતું. જેને પગલે આગ વધુ વિકરાળ બની હતી. આ આગમાં 26થી વધુ લોકો ફસાયેલાં હતા જેઓને રેસ્ક્યુ કરાયાં છે. જેમાંથી 2 લોકોની હાલત અત્યંત ગંભીર છે કે જેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાયા છે. જ્યારે એક વ્યક્તિનું મોત થયું છે.
આગની ઘટનામાં ઇજાગ્રસ્ત દર્દીઓને સોલા સિવિલ લઇ જવાયા છે. હાલ 10 દર્દીઓ સોલા સિવિલમાં સારવાર હેઠળ છે. ઉપરાંત ફાયર અધિકારીઓ પણ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. અન્યા 4 લોકોને વીએસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.