પાકિસ્તાનના કરાચીમાં આવેલ એક ફેક્ટરીમાં ભિષણ આગ ફાટી નીકળતા 15 લોકો સળગીને ભડથું થયા હોવાની માહિતી સામે આવી છે. જે પૈકી 4 લોકો એકજ પરિવારના સભ્યો હતા
કરાચીની કેમિકલ ફેક્ટરીમાં આગ
ભિષણ આગને કારણે 15 લોકોના મોત
25 લોકો હજું અંદર ફસાયેલા
પાકિસ્તાનના કરાચીમાં આવેલ મેહરાન વિસ્તારમાં એક કેમિકલ ફેક્ટરીમાં આગ લાગી છે. જેમા ઓછામાં ઓછા 15 લોકો જીવતા સળગી ગયા હોવાનું સામે આવ્યું છે. આગ પર કાબૂ મેળવવાની સાથે મૃતદેહોને પણ બહાર કાઢવામાં આવી રહ્યા છે. સાથેજ એવી માહિતી પણ સામે આવી છે કે મૃતકોની સંખ્યા વધી શકે છે.
15 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા
સ્થાનિક મીડિયાના રિપોર્ટ અનુસાર અત્યાર સુધીમાં 15 લોકોના શબ બહાર કાઢવામાં આવ્યા છે. ફેક્ટરીની અંદર બીજા 25 લોકો હજુ ફસાયા હોવાની આશંકા છે. ફેક્ટરીમાં રાહત કાર્યોના કામ શરૂ કરી દેવામાં આવ્યા છે.
ફાયરબ્રિગેડને પહોચતા મોડુ થયું
પ્રત્યક્ષદર્શિઓનું કહેવું છે કે સવારે 10 વાગ્યે આગ લાગી હતી. ફાયરબ્રિગેડને પહોચતા મોડું થયું જેના કારણે વધારે સંખ્યામાં લોકો મોત થયા છે. બચાવ કાર્યમાં જોડાયેલા અધિકારીઓને ધુમડાના ગોટાને કારણે ભારે હાંલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
15 પૈકી 4 મૃતકો એકજ પરિવારના
ઉલ્લેખનીય છે કે આ અકસ્માતની ઘટનામાં અત્યાર સુધીમાં કુલ 15 લોકો માર્યા ગયા હોવાની પુષ્ટી થઈ છે. જેમા 4 મૃતકો એકજ પરિવારના હોવાનું સામે આવ્યું છે. જેથી તે પરિવારના માતે હાલમાં આભ તૂટી પડ્યું છે. મૃતદેહોને નજીકમાં આવેલ જિન્ના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જોકે આ અકસ્માતમાં બચાવ કાર્યોમાં જોડાયેલા લોકો પણ ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે.