શિવસેના નેતા સંજય રાઉત, મુંબઈ પોલીસ કમિશનર પરમ બીર સિંહ અને BMC મેયર કિશોરી પેડનેકર વિરુદ્ધ પટણામાં HAMના પ્રવક્તા ડેનિશ રિઝવાન દ્વારા ફરિયાદ નોંધાઈ છે. સુશાંત સિંહ રાજપૂતના કેસ મામલે આ ફરિયાદ નોંધવામાં આવી છે.
સુશાંતની આત્મહત્યાને ચડયો રાજકારણનો રંગ, બે રાજ્યો વચ્ચેના ગજગ્રાહનું કારણ બની
બિહારની HAMના પ્રવક્તા દ્વારા શિવસેના નેતા સંજય રાઉત અને અન્ય બે સામે ફરિયાદ
સંજય રાઉતે કહ્યું હતું, કે કે સિંહ પ્રત્યે સંવેદના, પણ સુશાંત અને પિતાના સંબંધો સારા નહોતા
સુશાંત સિંહ રાજપુતની આત્મહત્યાનો કેસ હવે જાણે કે ભારતના બે રાજ્યોની લડાઈમાં ફેરવાઇ ગયો હોય તેવું લાગી રહ્યું છે. તાજેતરમાં જ બિહારની રાજકીય પાર્ટી હિન્દુસ્તાની અવામ મોરચાના પાર્ટી પ્રવક્તા દાનિશ રિજવાન દ્વારા શિવસેના નેતા સંજય રાઉતની સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે હજી થોડા દિવસો પહેલા જ સંજય રાઉત દ્વારા સુશાંત અને તેના પિતાને લઈને એક વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું હતું.
સંજય રાઉતે લગાવ્યો હતો આરોપ
સંજય રાઉતે હમણાં થોડા દિવસો પહેલા શિવસેનાના મુખપત્ર સામનામાં એક લેખ લખ્યો હતો, જેમાં તેમણે સુશાંત સિંહ રાજપૂતના પરિવાર પર કેટલાક ગંભીર આરોપો લગાવ્યા હતા. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે 'મને સુશાંતના પિતા પ્રત્યે સહાનુભૂતિ છે, પણ એ વાત પણ એટલી જ સાચી છે કે સુશાંત અને તેના પિતા વચ્ચે સંબંધો સારા નહોતા, શું કોઈ જાણે છે કે તે કેટલી વાર તેના પિતાને મળવા માટે પટણા ગયો હતો?' વધુમાં તેમણે કહ્યું હતું કે "હજી એવી ઘણી બાબતો છે જે સપાટી પર આવશે."
સુશાંતના પિતા કે કે સિંહના બીજા લગ્નથી પરેશાન હતો સુશાંત
સંજય રાઉતે પોતાના લેખમાં સુશાંતસિંહ રાજપૂતના પિતા કે.કે.સિંઘ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે લખ્યું, "સુશાંતના પિતાના બીજા લગ્ન તેને માટે સ્વીકાર્ય ન હતા. હજી હકીકતો બહાર આવવા દો કે સુશાંતે પટણામાં તેના પરિવારની કેટલી વાર મુલાકાત લીધી હતી. શા માટે સુશાંતની પૂર્વ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે તેનાથી છૂટા પડી હતી અને આ વસ્તુ તપાસનો ભાગ હોવી જોઈએ. પરંતુ આ ઘટનાને રાજકિત દ્રષ્ટિકોણથી જોવી એ દુર્ભાગ્યપૂર્ણ હશે.''
સુશાંતના પરિવારે નકાર્યા સંજય રાઉતના આક્ષેપો
સંજય રાઉતનાં દાવા બાદ સુશાંત સિંહ રાજપૂતનાં પરિવારનાં સભ્યોએ કહ્યું હતું કે તે એક રાજકારણી છે અને તેમના આ પ્રકારના દાવાઑ તેમને અસ્વીકાર્ય છે, અને તેમણે આ માટે માફી માંગવી જોઈએ. કે.કે. સિંહના વકીલ વિકાસસિંહે કહ્યું હતું કે, "મને ખૂબ દુ:ખ થાય છે કે શિવસેના આવું કંઈક બોલી રહી છે. શિવસેનામાં એવું તે કોણ છે જે સુશાંત કે તેના પિતાને આતલ;આ નજીકથી જાણતા હતા? કે જેની સામે સુશાંતએ કબૂલાત કરી હોય કે તેના પારિવારિક સંબંધો સારા નહોતા?
શું છે મામલો ?
સુશાંત સિંહ રાજપૂત 14 જૂને તેમના મુંબઇના ઘરે ગળાફાંસો ખાઈ લીધેલી હાલતમાં મળી આવ્યો હતો. તેના પિતાએ રિયા ચક્રવર્તી અને તેના પરિવાર સામે સુશાંતના પૈસા તફડાવવાની અને તેને આત્મહત્યા માટે પ્રેરિત કરવાના આરોપો સાથેની ફરિયાદ પટણામાં દાખલ કરાવી હતી. પોતાની ફરિયાદમાં તેણે એમ પણ કહ્યું હતું કે રિયા અને તેના પરિવારના સભ્યોએ સુશાંતના ખાતામાંથી રૂ .15 કરોડ રૂપિયાની ઉઠાંતરી કરી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ હાલમાં આ કેસમાં મની લોન્ડરિંગના એંગલની તપાસ કરી રહ્યું છે.
હાલમાં આ કેસ સીબીઆઈ દ્વારા લેવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે રિયા ચક્રવર્તીની અરજી પર મંગળવારે સુનાવણી કરી હતી અને 13 ઓગસ્ટ સુધી આ કેસમાં પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો.
બિહાર vs મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રની પોલીસ દ્વારા બિહાર પોલીસને સહયોગ ન કરવામાં આવતા હોવાની વાત સાથે સુશાંતના પિતાએ આક્ષેપ કર્યો હતો. ત્યાર બાદ સોશિયલ મીડિયામાં આ અંગેનો વિવાદ વધ્યો હતો, અને આ મામલો રાજકીય લેવલ પર ચગ્યો હતો. સુશાંતનો એક પિતરાઇ ભાઈ બિહારમાં વિધાનસભ્ય છે. જેણે ત્યાંની ધારાસભામાં આ અંગેનો મુદ્દો ઉઠાવ્યો હતો, જે બાદ બિહાર સરકારે પણ આને ગંભીરતાથી લઈને કેન્દ્રને સીબીઆઇ તપાસની ભલામણ કરી દીધી હતી, બિહારની ભાજપ - જદ (યુ) સરકારની માંગણી કેન્દ્રની મોદી સરકારે સ્વીકારી હતી.
રિયાએ સીબીઆઇ તપાસને પડકારી
રિયા દ્વારા સીબીઆઇ તપાસને સુપ્રીમમાં પડકારાવાઈ હતી. મહારાષ્ટ્રની ભાજપ વિરોધી ઠાકરે સરકારની પાર્ટી શિવસેના પણ રિયાને સ્પોર્ટ થતાં હોય તેવા નિવેદનો કરી રહી હતી. આ તપાસને તે અટકાવી રહી હોવાની ચર્ચા સોશિયલ મીડિયામાં ફેલાઈ હતી. જેને લઈને બિહાર અને મહારાષ્ટ્રની રાજકીય પાર્ટીઓના લોકો વચ્ચે વિવાદ થયો હતો જે બાદ બિહારની રાજકીય પાર્ટી હિન્દુસ્તાની અવામ મોરચાના પાર્ટી પ્રવક્તા દ્વારા મુંબઈ પોલીસ કમિશનર, બીએમસી મેયર અને સંજય રાઉત વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઈ હતી. આમ આ સમગ્ર પ્રકરણ બે રાજ્યોના અલગ અલગ અંગો વચ્ચેનો ગજગ્રાહ બનતો જોઈ શકાય છે. સાથે જ નોંધનીય છે કે આ હમ પાર્ટી બિહારમાં મહાગઠબંધનમાં એજ કોંગ્રેસનો સહયોગી પક્ષ છે જે કોંગ્રેસ મહારાષ્ટ્રમાં શિવસેનાની સાથે સરકારમાં છે.