જીજ્ઞેશ મેવાણીએ RTI એક્ટિવિસ્ટ અમરાભાઈની હત્યા મુદ્દે હોબાળો કર્યો હતો. જેને લઈ અધ્યક્ષના આદેશ બાદ સાર્જેન્ટે મેવાણીને ગૃહમાંથી બહાર મોકલવામાં આવ્યા હતા.
ગૃહમાં ઉછળ્યો એક્ટિવિસ્ટ અમરા બોરિચાનો મુદ્દો
જીજ્ઞેશ મેવાણીએ કર્યો હોબાળો
"2009થી 2021 સુધી અમરાભાઈ પર 12 હુમલા"
વિધાનસભા ગૃહમાં RTI એક્ટિવિસ્ટ અમરાભાઈ બોરીચાની હત્યાનો મુદ્દો ઉઠ્યો હતો. વડગામના અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ RTI એક્ટિવિસ્ટ અમરાભાઈની હત્યા મુદ્દે હોબાળો કર્યો હતો. જેને લઈ અધ્યક્ષના આદેશ બાદ સાર્જેન્ટે મેવાણીને ગૃહમાંથી બહાર મોકલવામાં આવ્યા હતા. ગૃહમાંથી બહાર કઢાયા બાદ જીજ્ઞેશ મેવાણીએ મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું.
જીગ્નેશ મેવાણીએ આંદોલનની ચીમકી ઉચ્ચારી
2009થી 2021 સુધી અમરાભાઈ પર 12 જેટલા હુમલા થયા હોવાની વાત MLA મેવાણીએ ગૃહમાં રાખી હતી. આમ છતાં સરકાર જવાબદાર PSIની ધરપકડ કરતી ન હોવાનો દાવો ધારાસભ્ય મેવાણીએ કર્યો હતો. સરકાર શા માટે PSIને છાવરી રહી છે તેવા પશ્ન પણ ઉઠાવ્યા હતા. સાથે ચીમકી પણ ઉચ્ચારી કે, PSIની ધરપકડ નહીં થાય તો આંદોલન કરાશે.
મહત્વનું છે કે, ભાવનગર ઘોઘામાં દલિત પર થયેલા અત્યાચાર મામલે જીગ્નેશ મેવાણીએ ગઈકાલે વિધાનસભા ગૃહમાં ગૃહમંત્રી પર આક્ષેપ કર્યા હતા. આ દરમિયાન મેવાણીએ પ્રદીપસિંહને છ ફૂટની ઊંચાઈના ગૃહમંત્રી કહ્યા. ત્યારે મેવાણીને વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ રોક્યા હતા. વિધાનસભા અધ્યક્ષે કહ્યું કે, વિધાનસભા ગૃહમાં મંત્રી કે MLAની ઉંચાઈની વાત ન કરવી જોઈએ.
શું હતો સમગ્ર મામલો
ભાવનગરના સાણોદર ગામે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસના એક ઉમેદવારનું વિજય સરઘસ નીકળ્યું હતું. તે દરમિયાન ડી.જે વગાડવાની ના પાડતા અમરાભાઈ બોરીચાની હત્યા કરાઈ હતી. અમરાભાઈના ઘર પાસેથી વિજય સરઘસ નીકળ્યું હતું. જેમાં ડી.જે વગાડવાની અમરભાઈએ ના પાડી અને તેના બદલામાં સરઘસમાં રહેલા ટોળાએ અમરાભાઈને ઘરમાં ઘૂસી તલવારો વડે તેમના અને પરિવાર ઉપર હુમલો કર્યો હતો. આ ઘટના ઘવાયેલા અમરાભાઈને હોસ્પિટલ લઈ જવાતા રસ્તામાં જ તેનું મોત નીપજ્યું હતું.