ગુજરાતના શિક્ષણ વિભાગ માટે બજેટમાં અનેક જોગવાઈ કરાઈ છે. વિદ્યાર્થીઓને ST બસ ફી પાસ કન્સેશન માટે 205 કરોડની જોગવાઈ કરી દેવાઈ છે.
શિક્ષણ વિભાગ માટે બજેટમાં 32 હજાર 719 કરોડની જોગવાઈ
હેરિટેજ સ્કૂલની જાળવણી માટે 25 કરોડ
કોલેજના પ્રથમ વર્ષના વિદ્યાર્થીને મળશે ટેબ્લેટ
ગુજરાતના શિક્ષણ વિભાગ માટે 32,719 કરોડની જોગવાઈ કરાઈ છે. જે અંતર્ગત 3400 શાળાઓમાં સુવિધાઓ વિકસાવવા 1207 કરોડની જોગવાઈ કરાઈ છે. ધો.1થી 8ના બાળકોને મધ્યાહન ભોજન માટે 1,044 કરોડની જોગવાઈ કરાઈ છે. તો RTE હેઠળ ખાનગી શાળાઓમાં પ્રવેશ માટે 567 કરોડની ફાળવણી કરાઈ છે. વિદ્યાર્થીઓને ST બસ ફી પાસ કન્સેશન માટે 205 કરોડની જોગવાઈ કરી દેવાઈ છે. આ અંતર્ગત ગામડાના વિદ્યાર્થીઓને ખાસ લાભ પહોંચાડવામાં આવશે.
કોલેજના વિદ્યાર્થીઓ માટે પણ સરકારની કેટલીક જાહેરાત
કોલેજના પ્રવેશ મેળવાનાર વિદ્યાર્થીઓને ટેબ્લેટ માટે 200 કરોડ
માધ્યમિક-ઉ.માધ્યમિકના વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તક માટે 65 કરોડ
1 કિમી દૂરની શાળાવાળા વિદ્યાર્થીઓના ટ્રાન્સપોર્ટેશન માટે 60 કરોડ
ઐતિહાસિક મહત્વવાળી શાળાઓને હેરિટેજ તરીકે વિકસાવવા 25 કરોડ
PHDના વિદ્યાર્થીઓ માટે શોધ યોજના અંતર્ગત 20 કરોડ
સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ વિકસાવવા માટે 20 કરોડની જોગવાઇ
37 સંસ્કૃત પાઠશાળાઓના સુદ્વઢીકરણ-મિશન ગુરુકુળ માટે 10 કરોડ
ઇતિહાસનું સૌથી મોટું બજેટ
ઇતિહાસનું સૌથી મોટું બજેટ નાણામંત્રી નીતિન પટેલે 2021-22નું રજૂ કર્યું છે તે ઇતિહાસનું સૌથી મોટું બજેટ છે. નીતિન પટેલે કુલ 2 લાખ 27 હજાર 29 કરોડનું બજેટ રજૂ કર્યું છે જેમાં કૃષિ વિભાગ માટે 27 હજાર 232 કરોડ અને શિક્ષણ વિભાગ માટે 32 હજાર 719 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સાથે આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે 11 હજાર 323 કરોડ તથા મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે 3 હજાર 511 કરોડ ની જોગવાઈ કરવામાં આવી છે.
બજેટ રજૂ કરતાં પહેલા કોરોનાકાળમાં સરકારે કરેલા કામોના કર્યા વખાણ
ગુજરાતના બજેટને રજૂ કરતાં પહેલા નીતિન પટેલે આજે કોરોના કાળમાં ગુજરાત સરકારે કરેલા કામ ગણાવ્યા હતા. નીતિન પટેલે કહ્યું કે, રાજ્યના બધા જ જિલ્લાઑમાં વ્યવસથા ઊભી કરવામાં આવી. તેમણે કહ્યું કે કેટલાક રાજ્યોમાં તંબુઑ બાંધવા પડ્યા અને સ્ટેડિયમમાં દર્દીઑ રાખવા પડ્યા હતા .પરંતુ ગુજરાતમાં ખૂબ મોટી વ્યવસ્થા ઊભી કરવામાં આવી અને તે બદલ વિજય રૂપાણીનો આભાર માનું છું. આવું સુંદર આયોજન આખા ભારતમાં માત્ર ગુજરાતમાં થયું છે.
નીતિન પટેલે કહ્યું કે, વડાપ્રધાન મોદીએ સતત માર્ગદર્શન આપ્યું હતું અને તેમાં તેમણે આયુર્વેદિક દવાઓ પર ભાર મૂક્યો હતો અને તે માટે અમે કરોડો લોકોને ઇમ્યુનિટી માટે પડીકી અને ઉકાળા આપ્યા.