અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એ લાલિયાવાડીનો અડ્ડો છે એમ કહેવું જરાય અતિશયોક્તિ ભરેલું નથી. કોર્પોરેશન તેમનાં લાગતા વળગતા મળતિયા કોન્ટ્રાક્ટરોને ફાયદો કરવવા માટે તેમનાં હકમાં જે તે કોન્ટ્રાક્ટ આપતી હોવાનું ભૂતકાળમાં પણ સામે આવ્યું છે. ત્યારે કોન્ટ્રાક્ટરો પણ સરકારનાં પૈસા ચાઉ કરી જઈ હિસાબ આપતા ન હોવા છતાં કેમ છાતી ભૂલાવીને કોઈનાં ડર વગર ફરી શકે છે? એ સમજવું ખૂબ જરૂરી છે. જાણો કોન્ટ્રાક્ટરોની આ દાદાગીરી છતાં કોર્પોરેશન દ્વારા કોઈ પગલા નથી ભરાઈ રહ્યાં.
લોકોના પૈસાથી સત્તાધીશો માત્ર વહીવટ જ કરે છે?
બે વર્ષ વિત્યા બાદ હજુ સુધી હિસાબ કેમ નહી?
શું રિવરફ્રન્ટના કામમાં કોઈ ભ્રષ્ટાચાર થયો છે?
AMCનાં અધિકારીઓનું પણ કંપની સાથે સેટિંગ છે?
અમદાવાદ કોર્પોરેશન તેમનાં મળતિયા કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવી કોન્ટ્રાક્ટ આપતી આવી છે. ત્યારે કોન્ટ્રાક્ટરો સરકારનાં પૈસાનો ધૂમાડો કરી તેનો હિસાબ આપવો પણ જરુરી નથી સમજતા. સામાન્ય વ્યક્તિ ટેક્સ ન ભરે તો તેની સામે પગલા લેતી આ સરકાર ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરોને છાવરી રહી છે. વારંવાર ભ્રષ્ટાચાર અને લાલિયાવાડી કરતાં કોન્ટ્રાક્ટરોને વારંવાર કોન્ટ્રાક્ટ આપી રહી છે? શું કોર્પોરેશનનો પણ તેમાં હિસ્સો હોય છે એટલાં માટે ? ફરી એકવાર કોન્ટ્રાક્ટરે સરકારનાં 1723 કરોડનો હિસાબ નથી આપ્યો અને સરકાર તેની સામે કોઈ પગલા નથી ભરી રહી જાણો કેમ?
રિવરફ્રંટની જાળવણી કરતી કંપનીને હિસાબ આપવામાં વાંધો શું?
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ફરી એક વખત લાલિયાવાડી સામે આવી છે. AMCના વાર્ષિક ઓડિટમાં અધિકારીઓ દ્વારા હિસાબ ન આપવામાં આવતો હોવાનું સામે આવ્યું છે. સાબરમતી રિવરફ્રન્ટનાં કોન્ટ્રાક્ટર પાસેથી પાસે AMC દ્વારા હિસાબ મંગાવવામાં આવ્યો છે. જોકે હજુ સુધી કોન્ટ્રાક્ટર દ્વારા હિસાબ આપવામાં આવ્યો નથી. રિવરફ્રન્ટનાં કોન્ટ્રાક્ટરને AMCના ફંડમાંથી 1723 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. કંપનીની સ્થાપના બાદ અત્યાર સુધી કોન્ટ્રાક્ટર દ્વારા હિસાબ ચૂકવવામાં આવ્યો નથી. વર્ષ 2018-19ના વાર્ષિક હિસાબમાં ભૂલ સામે આવી છે. આ કંપનીએ હિસાબ ન આપતા અનેક સવાલ ઉઠી રહ્યા છે.