નાણાં મંત્રાલયે શુક્રવારે કર્મચારી ભવિષ્ય નિધિ(EPF)ખાતા પર 8.65 % વ્યાજ આપવાની મંજૂરી આપી છે. આ વ્યાજ દર નાણાકીય વર્ષ 2018-19 માટે લાગું પડશે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને(EPFO)ગત નાણાકીય વર્ષ માટે 8.65 % વ્યાજ માટે ભલામણ કરી હતી. નાણા મંત્રાલયના આ નિર્ણયના પગલે 6 કરોડથી વધુ કર્મચારીઓને ફાયદો થશે.
નાણા મંત્રાલય અંતર્ગત કામ કરનાર ડિપાર્ટમેન્ટ ઓફ ફાઈનાન્શિયલ સર્વિસ(DFS)ની સહમતિ બાદ નાણા મંત્રાલયે EPF ખાતા પર 8.65 % વ્યાજ આપવાની મંજૂરી આપી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, DFSએ રિટાયરમેન્ટ ફન્ડના કુશળ મેનેજમેન્ટ માટે EPFOના પ્રસ્તાવને મંજૂરી આપી છે. અગાઉ ફેબ્રુઆરીમાં EPFOની નિર્ણાયક સમિતિએ નાણાકીય વર્ષ 2018-19 માટે EPF ખાતા પર વ્યાજ દર વધારીને 8.65 % કરવાની મંજૂરી આપી હતી. આ સિમિતિની બેઠકની અધ્યક્ષતા શ્રમ મંત્રી સંતોષ ગંગાવરે કરી હતી. વ્યાજ દરમાં આ વધારો ત્રણ વર્ષ બાદ કરવામાં આવ્યો હતો. EPFOએ નાણાકીય વર્ષ 2017-18ના 8.55 % વ્યાજ દરને વધારીને નાણાકીય વર્ષ 2018-19 માટે 8.65 % નક્કી કર્યો હતો.
નાણા મંત્રાલયની મંજૂરી બાદ ઈન્કમ ટેક્સ વિભાગ અને શ્રમ મંત્રાલય આ અંગે ઝડપથી નોટિફિકેશન ઈસ્યુ કરશે. આ નોટિફિકેશનથી તમામ 120 ક્ષેત્રીય કાર્યાલયોને નાણાકીય વર્ષ 2018-19 માટે EPF ખાતા પર 8.65 % વ્યાજ દરના હિસાબથી રિટર્ન જમા કરાવવા માટે આદેશ આપવામાં આવશે. સાથે જ આ દરમિયાન આવનારા ક્લેમની પતાવટ પણ આ વ્યાજ દર પ્રમાણે કરવાનું કહેવામાં આવશે.