મોદી સરકાર સરકારી સંપત્તિઓને વેચીને નાણાંભંડોળ ઊભું કરવાની યોજના પર કામ કરી રહી છે જે હેઠળ આવતીકાલે નિર્મલા સીતારમણ નવા પ્રોગ્રામની શરૂઆત કરવા જઈ રહ્યા છે.
સરકારી સંપત્તિ વેચવા માટે મોદી સરકાર ઉતાવળમાં
જલ્દી સંપત્તિ વેચાય તે માટે બનાવ્યો નવો પ્રોગ્રામ
આવતીકાલે નાણામંત્રી કરાવશે શરૂઆત
મોદી સરકારનો નવો પ્લાન
સરકારી સંપત્તિઓને વેચવા માટે મોદી સરકાર નવો પ્રોગ્રામ તૈયાર કરી રહી છે. સોમવારે નાણામંત્રી નિર્મલા સીતારમણ નેશનલ મોનેટાઈઝેશન પાઇપલાઇન પ્રોગ્રામની શરૂઆત કરવા જઈ રહ્યા છે. કેન્દ્ર સરકારનાં ચાર વર્ષની યોજનાઓના હિસાબે આ એક યોજના બની છે. આ યોજના હેઠળ મોદી સરકાર બ્રાઉનફિલ્ડ ઇન્ફ્રાસ્ટ્રકચર ઍસેટનાં માધ્યમથી પૈસા ભેગા કરવા પ્રયત્ન કરી રહી છે. નેશનલ મોનેટાઈઝેશન પાઇપલાઇન પ્રોગ્રામનાં માધ્યમથી રોકાણકારોને કોઈ પણ પ્રોજેક્ટ વિશે વધુ સારી માહિતી મળી શકશે.
જુદા જુદા માધ્યમથી પૈસા ભેગા કરવા માંગે છે મોદી સરકાર
નોંધનીય છે કે મોદી સરકાર આ વર્ષે બજેટમાં જ ઍસેટ મોનેટાઈઝેશન ખૂબ ધ્યાન આપવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. એક બાજુ સરકાર કોરોના વાયરસ મહામારીનાં સમયમાં પૈસાની તંગીથી પરેશાન પણ છે ત્યારે એવામાં મોદી સરકાર દેશમાં ઇન્ફ્રાસ્ટ્રકચર વિકાસ માટે પૈસા ભેગા કરવા માટેના જુદા જુદા રસ્તાઓ શોધી રહી છે.
આવતીકાલે જાહેર થશે બુક
નેશનલ મોનેટાઈઝેશન પાઇપલાઇન બુક આવતીકાલે નીતિ આયોગ દ્વારા જાહેર કરવામાં આવશે જેમાં નાણામંત્રી પણ હાજર રહેશે. જે મંત્રાલયની સંપત્તિઓને વેચીને પૈસા ભેગા કરવાની સરકારની યોજના છે તે બધા જ મંત્રાલયોનાં સચિવ પણ આ કાર્યક્રમમાં હાજરી આપશે.
કુલ છ લાખ કરોડ રૂપિયા ભેગા કરવા માટે તલપાપડ મોદી સરકાર
નોંધનીય છે કે મોદી સરકાર છ લાખ કરોડ રૂપિયા ભેગા કરવાની યોજના પર કામ કરી રહી છે અને તેને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. જે હેઠળ આવતીકાલે મોટા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.