નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં રેલવે વિભાગને લઈને મહત્વની જાહેરાત કરતા કહ્યું કે, આ વખતે રેલવેને કુલ 2.4 લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.
અત્યાર સુધીનું રેલવે માટે સૌથી મોટું બજેટ
2.4 લાખ કરોડનું રેલવે માટે રજૂ કરાયું બજેટ
રેલવેની નવી યોજનાઓ માટે ફંડની જાહેરાત
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સામાન્ય બજેટની જાહેરાત કરી છે. જેમાં રેલવે બજેટ પણ સામેલ છે. કેન્દ્ર સરકારે ફરી એકવાર રેલવેના બજેટમાં વધારો કર્યો છે. નાણામંત્રીએ કહ્યું કે રેલવેને કુલ 2.4 લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. જેનાથી તમામ યોજનાઓ પર કામ કરવામાં આવશે. નાણામંત્રીએ કહ્યું કે, આ અત્યાર સુધીની સૌથી વધુ ફાળવણી છે. વર્ષ 2013-14ની સરખામણીમાં રેલવેનું આ બજેટ લગભગ 9 ગણું વધારે છે.
100 નવી યોજનાઓ કરવામાં આવશે શરૂ: નાણામંત્રી
નાણામંત્રીએ કહ્યું કે, રેલવેમાં 100 નવી યોજનાઓ શરૂ કરવામાં આવશે. આ સિવાય નવી યોજનાઓ માટે 75 કરોડ રૂપિયાનું ફંડ આપવામાં આવ્યું છે. ખાનગી ક્ષેત્રની મદદથી 100 યોજનાઓ શરૂ કરવામાં આવશે. જેના પર આગળ કામગીરી કરવામાં આવશે.
Capital outlay of Rs 2.40 lakh cr for Railways in next financial year: FM Nirmala Sitharaman
ગયા વર્ષે કેટલું હતું રેલવે બજેટ?
ગયા વર્ષે એટલે કે 2022માં કેન્દ્ર સરકાર દ્વારા રેલવે મંત્રાલયને કુલ 140367.13 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. ગત બજેટમાં પણ જોવા મળ્યું હતું કે રેલવેના બજેટમાં સરાકારે વધારો કર્યો હતો. ત્યારે રેલવે બજેટમાં 20 હજાર કરોડથી વધુનો વધારો થયો હતો. આ દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, આગામી 3 વર્ષમાં લેટેસ્ટ ટેકનોલોજીથી સજ્જ 400 વંદે ભારત ટ્રેનોનું નિર્માણ કરવામાં આવશે.
જણાવી દઈએ કે, ગત રેલવે બજેટની જાહેરાત દરમિયાન નાણામંત્રીએ નેશનલ રેલ યોજના 2030ની પણ જાહેરાત કરી હતી. આ યોજના હેઠળ રેલવેના વિકાસ માટે એક યોજના તૈયાર કરવામાં આવી હતી. જેમાં રેલવેની સુવિધાઓને નવો રૂપ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. આ માટે કેન્દ્રએ એક લાખ કરોડના રોકાણની વાત કરી હતી. ડિસેમ્બર 2023 સુધીમાં રેલવેની મોટી લાઈનનું 100 ટકા વિદ્યુતીકરણ પૂર્ણ થઈ જશે.
અલગથી રજૂ કરવામાં આવતું હતું રેલવે બજેટ
રેલવે બજેટ વિશે રસપ્રદ માહિતી એ છે કે અગાઉ રેલ બજેટ અલગથી રજૂ કરવામાં આવતું હતું, એટલે કે તે સામાન્ય બજેટનો ભાગ નહોતું, પરંતુ વર્ષ 2017થી મોદી સરકારે આ પરંપરાને ખતમ કરી નાખી અને રેલવે બજેટને સામાન્ય બજેટનો એક ભાગ બનાવવામાં આવ્યો હતો. ત્યારથી સામાન્ય બજેટની સાથે રેલવે બજેટ પણ રજૂ કરવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે નીતિ આયોગ દ્વારા સરકારને આવી સલાહ આપવામાં આવી હતી.