દેશમાં કોરોના વાયરસે કહેર મચાવ્યો છે ત્યારે આ આફતને પહોંચી વળવા માટે મોટા રાહત પેકેજની જાહેરાત કરી છે. જેમાં કોરોના વોરિયર્સથી શરૂ કરીને કેન્દ્ર સરકારે નોકરિયાત વર્ગ માટે સૌથી મોટી રાહત આપી છે.
કોરોનાના કહેર વચ્ચે મોદી સરકારે જાહેર કર્યું રાહત પેકેજ
નોકરીયાતો માટે કરી મોટી જાહેરાત
ઉલ્લેખનીય છે કે, કોરોના સંકટમાં કેન્દ્ર સરકાર દ્વારા 1.70 લાખ કરોડના પેકેજની જાહેરાત કરવામાં આવી છે.તેમ જ ખેડૂતો અને EPF ધારકો માટે પણ મહત્વની જાહેરાતો કરવામાં આવી છે. ત્યારે કેન્દ્ર સરકારના નોકરિયાતને સરકાર આગામી ત્રણ મહિના સુધી પીએફના 12-12 ટકાના પૈસા સરકાર બંને બાજુથી આપશે.
EPFને લઈને મોટી જાહેરાત
EPF વિશે વાત કરતા સરકારે જાહેરાત કરી હતી કે સરકાર આગામી ત્રણ મહિના સુધી કર્મચારી અને કંપનીનો હિસ્સો આપશે. જેનો અર્થ છે કે સરકાર આગામી ત્રણ મહિના સુધી પીએફના 12-12 ટકાના પૈસા સરકાર બંને બાજુથી આપશે. આ રાહત એ લોકોને લાગુ પડશે જેમાં 100 સુધી કમર્ચારીઓ ધરાવતી કંપનીઓ હશે જેમાં 90 ટકા કર્મચારીઓનો પગાર 15000થી ઓછો હશે. આ જાહેરાતથી 80 લાખ કર્મચારીઓને ફાયદો થશે અને 4 લાખ કંપનીઓને ફાયદો મળશે.
આ ઉપરાંત PF સ્કીમ રેગ્યુલેશનમાં બદલાવ કરીને નોન રિફંડેબલ એડવાન્સ 75 ટકા જમા રકમ કે ત્રણ મહિનાનું વેતન નીકળવાની સુવિધા અપાશે.
ઉજ્જવલા યોજનાને લઈને જાહેરાત
ઉજ્જવલા યોજના હેઠળ 8 કરોડ BPL પરિવારોને ત્રણ મહિના સુધી ફ્રી ગેસ સિલિન્ડર આપવાની જાહેરાત કરાઈ છે.
મહિલાઓ માટે મહત્વની જાહેરાત
20 કરોડ મહિલાઓના ખાતામાં આવાતા ત્રણ મહિના સુધી 500 રૂપિયા પ્રતિ મહિના જમા થશે.
વૃદ્ધો અન દિવ્યાંગોને પણ રાહત
વૃદ્ધ, વિધવા અને દિવ્યાંગો માટે 1000 રૂપિયા વધારાના આપવામાં આવશે. આ આવતા ત્રણ મહિનાઓ સુધી રહેશે. જેને બે હપ્તાઓમાં જમા કરવામાં આવશે. આ વર્ગના લોકો માટે ડાયરેક્ટ બેનેફિટ ટ્રાન્સફર કરવામાં આવશે. આ પહેલનો ફાયદો લગભગ 3 કરોડ લોકોને મળશે.
મજૂરોની મજૂરી વધારાઈ
સીતારમણે જણાવ્યું કે મનરેગા હેઠળ આવતા મજૂરોની મજૂરી વધારી દેવાઈ છે. આ મજૂરી પેહલાં 182 રૂપિયા હતી જે હવે 202 રૂપિયા કરાઈ છે. જેનો ફાયદો 5 કરોડ પરિવારને થવાની આશા છે.
8 કરોડ ખેડૂતો માટે પણ મોટી જાહેરાત
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતો માટે પણ જાહેરાત કરવામાં આવી હતી. જેમાં હપ્તાના 2000 રૂપિયા એપ્રિલ મહિનામાં તેમના ખાતામાં જમા કરવાનો નિર્ણય કરાયો છે. આ જાહેરાત 8 કરોડ ખેડૂતોને ફાયદો થશે. જન-ધન ખાતાથી પૈસા સીધા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થશે.
20 લાખ કર્મચારીઓને 50 લાખનો વીમો
નાણામંત્રી સિતારમણે કોરોના સંકટમાં કામ કરી રહેલાં સ્વાસ્થ્ય કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમના માટે 50 લાખ રૂપિયાના મેડિકલ વીમાની જાહેરાત કરી છે. તેમાં આશા વર્કર, પેરામેડિકલ સ્ટાફ, ટેક્નિકલ સ્ટાફ, ડોક્ટર સહિતના કર્મચારીઓનો સમાવેશ થાય છે. તેનાથી 20 લાખ જેટલા કર્મચારીઓને લાભ મળશે.
સસ્તા અનાજની પણ જાહેરાત
આ ઉપરાંત પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનામાં 80 કરોડ ગરીબ લોકોને ભોજન આપવાની વ્યવસ્થા કરવામાં આવશે. કોઇ ગરીબ ભૂખ્યુ ન રહે તેથી દરેક વ્યક્તિને 5 કિલો ઘઉં અથવા ચોખા આગામી ત્રણ મહિના માટે આપવામાં આવશે. તે સિવાય તેમને અગાઉ જે પાંચ કિલોનો જથ્થો મળે છે તે પણ મળશે. 1 કિલો પસંદગીની દાળ પરિવાર દીઠ આગામી ત્રણ મહિના માટે અપાશે.