ગઈકાલ સાંજથી શરૂ થયેલ મોરબી રેસ્ક્યૂ ઓપરેશન હવે ટૂંક સમયમાં પૂર્ણ થશે. જેને લઇને બચાવ કાર્યમાં જોડાયેલ મોટાભાગની રેસ્કયૂ બોટ પરત ફરી છે.
મોરબીમાં રેસ્ક્યૂ ઓપરેશનનો અંતિમ પડાવ
મોટાભાગની રેસ્ક્યૂ બોટ પરત ફરી
ગઈકાલ સાંજથી શરૂ થયુ હતુ રેસ્ક્યૂ ઓપરેશન
મોરબીમાં બનેલી ગોઝારી ઘટના બાદ સબંધિત વિભાગ દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે આ બચાવકાર્ય હવે થોડા સમયમાં પૂર્ણ થશે. બચાવ કામગીરીમાં જોડાયેલી મોટાભાગની રેસ્ક્યૂ બોટ બહાર કાઢવામાં આવી છે. જ્યારે મોટાભાગની રેસ્ક્યૂ બોટો પરત પણ ફરી છે.મહત્વનું છે કે ગઈકાલ સાંજથી રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતુ. હવે જ્યારે મોરબીમાં રેસ્ક્યૂ ઓપરેશનનો અંતિમ પડાવ છે. ત્યારે છેલ્લા 22 કલાકથી ચાલતા આ રેસ્ક્યુ ઓપરેશનમાં એનડીઆરએફ અને સ્થાનિક ટીમો દ્વારા નદીનું પાણી ખૂંદી અત્યાર સુધીમાં અનેક લોકોને બચાવી લીધા છે.
ત્રણેય પાંખ, NDRF-SDRF પણ કામગીરીમાં જોડાઈ હતી
મળતી માહિતી મુજબ અત્યાર સુધીમાં 143 લોકોના મોત નિપજ્યાં છે. જેને મૃતદેહ બહાર કાઢવામાં આવ્યાં છે. ત્યારે આર્મીને ત્રણેય પાંખ, NDRF-SDRF પણ રાહત કામગીરીમાં જોડાઈ હતી. ત્યારે ઘાયલોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જે લોકો રવિવારે પુલ તૂટતા જોયો છે તે લોકોએ આ ઘટનાને મોટી દુર્ઘટના ગણાવી છે. ત્યારે અકસ્માતનો થોડીક સેકન્ડનો CCTV ફૂટેજ પણ આવ્યા છે. જેમાં લોકો પુલને પકડીને ઝૂલતા હતા તે સમયે બ્રિજ અચાનક તૂટી જાય છે અને બ્રીજ પર રહેલા લોકો નદીમાં પડતાં હોવાનું સામે આવ્યું હતું.
ભયાવહ દ્રશ્યો અમારી નજર સામેથી હટતા નથી:સ્થાનિક
ત્યારે બ્રિજ તૂટી પડ્યા બાદ સ્થાનિક લોકોને આ બાબતની જાણ થતા તેઓ તાત્કાલીક લોકોના બચાવવા માટે દોડ્યા હતા. ત્યારે બચાવ કામગીરી કરી રહેલા લોકોએ જણાવ્યું કે હાથમાં નાના બાળકોનાં મૃતદેહો લઈને લોકો દોડતા હતા. જે દ્રશ્ય એટલું ભયાવહ હતું કે હજુ પણ તે દ્રશ્યો અમારી નજર સામેથી હટતા નથી.