નરોડામાં સૂતરનાં કારખાના પાસે ઘરઆંગણે રમતાં ત્રણ બાળકો રહસ્યમય રીતે ગુમ થતાં ચકચાર મચી ગઇ હતી. પરિવારે નરોડા પોલીસને જાણ કરી હતી. પોલીસે બાળકોની શોધખોળ કરતાં ત્રણેય બાળકો ટ્રેનમાં બેસીને સોમનાથ પહોંચી ગયાં હોવાનું જાણવા મળ્યું હતું.
દસ વર્ષના બાળકે રુદ્રરક્ષક ફિલ્મ જોઈ હતી તેમાં એક સીનમાં બતાવ્યું હતું કે સોમનાથ દાદાના દર્શન કરવાથી શક્તિ મળે છે. જેથી બે બહેન સાથે નરોડાથી કલોલની બસમાં બેસી જઇ ઇન્ટરસિટી ટ્રેનમાં ટિકિટ વગર સોમનાથ પહોંચી ગયાં હતાં.
નરોડામાં રહેતા અને પ્રાઇવેટ નોકરી કરતા પ્રેમસિંગ રાજપૂતને બે પત્નીઓ છે અને ત્રણ દીકરી તથા એક દીકરો છે. મોટો દીકરો સનીસિંગ (ઉ.વ.૧૦),નાની દીકરી સંગીતા (ઉ.વ.૯) અને ખુશબૂ (ઉ.વ.૮) તથા પ્રીતિ(ઉ.વ.૫)ની છે. ગઈ કાલે બપોરે બાળકો ઘર બહાર રમતાં હતાં ત્યારથી ગાયબ થઇ જતા પ્રેમસિંગે નરોડા પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી.
દરમિયાનમાં ત્રણેય બાળકો વેરાવળ રેલવે સ્ટેશન પર સ્કૂલ યુનિફોર્મમાં મળી આવ્યાં હતાં. પોલીસે પૂછપરછ કરતાં બાળકોએ જણાવ્યું હતું કે તેમનાં માસી સોમનાથ મંદિર પાસે રહે છે. જેથી વેરાવળ પોલીસે સોમનાથ મંદિરે ત્રણેય બાળકોને લઇ ગઈ હતી. જ્યાં પોલીસે ત્રણેય બાળકોને સોમનાથ દાદાના દર્શન કરાવ્યાં હતાં અને મંદિરમાં પણ ફેરવ્યાં હતાં.
પરંતુ ખાસ્સો સમય થતાં તેમનાં માસી આવ્યા ન હતાં. જેથી પોલીસે ત્રણેય બાળકોને નવા કપડાં પણ આપ્યાં હતાં. બાદમાં બાળકોની પૂછપરછ કરતાં સમગ્ર હકીકત જણાવી હતી. દસ વર્ષનો સનીસિંગ તેની બે બહેનો સાથે નરોડાથી કલોલ સુધી એસ.ટી. બસમાં ગયો હતો.
બાદમાં કલોલ રેલવે સ્ટેશનથી સોમનાથ જવા માટે ઇન્ટરસિટી ટ્રેનમાં બેસી સોમનાથ પહોંચી ગયો હતો. ત્યાર બાદ વેરાવળ પોલીસે બાળકો પાસેથી તેમનાં માતા-પિતાનો નંબર લઇ તેમને બાળકો સુપરત કર્યાં હતાં.