સમ્રાટ પૃથ્વીરાજ રિલીઝ પહેલી વિવાદોમાં ફસાઈ ગઈ છે. કુવૈત અને ઓમાનમાં સમ્રાટ પૃથ્વીરાજ પર બેન લગાવવામાં આવ્યો છે.
સમ્રાટ પૃથ્વીરાજ રિલીઝ પહેલા મુશ્કેલીઓમાં ફસાઈ
ફિલ્મ પર કુવૈત અને ઓમાનમાં લાગ્યો પ્રતિબંધ
પ્રતિબંધનું કારણ હજુ સામે નથી આવ્યું
અક્ષય કુમારની ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજ રિલીઝ પહેલા એક પછી એક વિવાદોમાં સપડાઈ રહી છે. બુધવારે દિલ્હી હાઈકોર્ટે ભારતમાં ફિલ્મની રિલીઝનો રસ્તો સાફ કરી દીધો હતો. હવે આ ફિલ્મ પર રિલીઝના થોડા દિવસો પહેલા કુવૈત અને ઓમાનમાં પ્રતિબંધ લાગ્યો છે.
આ દેશોમાં રિલિઝ નહીં થાય પૃથ્વીરાજ
ટ્રેડ એનાલિસ્ટ ગિરીશ જોહરના જણાવ્યા અનુસાર કુવૈત અને ઓમાને ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજની રિલીઝ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ ફિલ્મ હવે આ દેશોમાં રિલીઝ થશે નહીં. પોસ્ટમાં તેણે અક્ષય કુમાર, સોનુ સૂદ, સંજય દત્ત, માનુષી છિલ્લર અને યશ રાજ ફિલ્મ્સને ટેગ કર્યા છે.
જો કે ફિલ્મ પર શા માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો તેનું કારણ બહાર આવ્યું નથી. ટ્રેડ સાથે જોડાયેલા એક સૂત્રએ જણાવ્યું કે, "સમ્રાટ પૃથ્વીરાજના જીવન અને બહાદુરી પર આધારિત ફિલ્મને કુવૈત અને ઓમાન જેવા આંતરરાષ્ટ્રીય બજારોમાં બેન કરવામાં આવે તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે."
દિલ્હી હાઈકોર્ટે આપી છે રાહત
ગુર્જર સમાજ સર્વ સંગઠને ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજ વિરુદ્ધ અરજી કરી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે ફિલ્મમાં સમ્રાટ પૃથ્વીરાજને કથિત રીતે ગુર્જર રાજાના બદલે રાજપૂત રાજા તરીકે દર્શાવવામાં આવ્યા છે.
તેના પર દિલ્હી હાઈકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટિસ વિપિન સાંઘી અને જસ્ટિસ સચિન દત્તાની ખંડપીઠે ચુકાદો સંભળાવતા કહ્યું કે ફિલ્મ જાતિના મામલામાં તટસ્થ છે. તેમાં સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણની જાતિનો કોઈ ઉલ્લેખ નથી. એવામાં હવે અરજદાર પણ તેનાથી સંતુષ્ટ છે.
વિરોધ બાદ બદલવામાં આવ્યું ફિલ્મનું નામ
તમને જણાવી દઈએ કે આ ફિલ્મ પૃથ્વીરાજના નામે રિલીઝ થવાની હતી. કેટલીક સંસ્થાઓના વિરોધ બાદ ફિલ્મનું નામ બદલીને સમ્રાટ પૃથ્વીરાજ રાખવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં અક્ષય કુમાર સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણની ભૂમિકા ભજવી રહ્યો છે. પૂર્વ મિસ વર્લ્ડ માનુષી છિલ્લર રાજકુમારી સંયોગિતાના રોલમાં જોવા મળશે. ફિલ્મનું નિર્દેશન ડૉ.ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ કર્યું છે.