હિન્દી અને પંજાબીની 300થી વધુ ફિલ્મોમાં અભિનય કરનાર અભિનેતા અને મહાભારત સિરિયલમાં ઇન્દ્રની ભૂમિકા ભજવનારા સતીષ કૌલનું કોરોનાને કારણે નિધન થયું છે.
જાણીતા અભિનેતા સતીષ કૌલનું કોરોનાને કારણે નિધન
હિન્દી અને પંજાબીની 300થી વધુ ફિલ્મોમાં કર્યું હતું કામ
મહાભારત સિરિયલમાં ભજવ્યું હતું દેવરાજ ઈન્દ્રનું પાત્ર
મળતા અહેવાલો પ્રમાણે, કૌલ તેઓ છેલ્લા કેટલાક સમયથી હોસ્પિટલમાં દાખલ હતા. તેમના નિધનને પગલે પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે શોક વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે, તેઓ એ બહુમુખી અભિનેતા હતા. તેમણે પંજાબી સિનેમા, કલા અને સંસ્કૃતિના પ્રચારમાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવી.
આર્થિક સ્થિતિ ખરાબ હતી
આપને જણાવી દઇએ કે, અભિનેતા સતીષ કૌલની આર્થિક સ્થિતિ છેલ્લા કેટલાક સમયગાળાથી સારી નહોંતી. વર્ષ 2019માં મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ દ્વારા તેમને 5 લાખ રૂપિયાની મદદ કરવામાં આવી હતી. જાન્યુઆરી 2019માં સતીષ કૌલની સ્થિતિ વિશે જાણકારી મળતા જ મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને મદદનો ભરોસો અપાવ્યો હતો.
પંજાબના મુખ્યમંત્રીએ કરી હતી મદદ
ત્યારબાદ લુધિયાનાના ડેપ્યુટી કમિશનર ખૂદ કૌલને મળવા પહોંચ્યા હતા. ત્યારબાદ તેમની આર્થિક સ્થિતિનો રિપોર્ટ મુખ્યમંત્રીને સોંપ્યો હતો અને સરકારે સતીષ કૌલને આર્થિક મદદ કરી હતી.
પંજાબના મુખ્યમંત્રીની મદદ બાદ દેશ-વિદેશી પણ સતીષ કૌલને કેટલાક જાણીતા-અજાણ્યા લોકોએ આર્થિક મદદ કરી હતી. કોરોના સંક્રમણ પહેલા સતીશ કૌલને પીઠ પર ઇજા પહોંચી હતી.
કોણ હતા સતીષ કૌલ ?
આપને જણાવી દઇએ કે, 30 વર્ષ સુધી પંજાબી અને હિન્દી સિનેમા પર રાજ કરનાર સતીષ કૌલ અંતિમ દિવસોમાં ગુમનામ જીંદગી જીવતા હતા. તેમનો જન્મ 8 સપ્ટેમ્બર 1954માં કાશ્મીરમાં થયો હતો. પિતા મોહન લાલ કૌલ શાયર હતા. તેમણે કાશ્મીરની મૌસિકીને દુનિયાભરમાં પ્રસિદ્ધ કરી હતી. સતીષ કૌલ પિતાના કહેવા પર 1969માં પુણેની ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયામાં ગ્રેજ્યુએશન કર્યું હતું.