કેન્દ્ર સરકાર દ્વારા નાણાકીય વર્ષ 2020-21ના રિટર્ન ફાઈલ કરવા 31 ડિસેમ્બર 2021 સુધીની મુદ્દત આપવામાં આવી છે, ત્યારે જે લોકોએ રિટર્ન ફાઈલ કર્યું છે તે પૈકીના કેટલાક કરદાતાને ફરીથી રિટર્ન ફાઈલ કરવાની નોબત આવી શકે છે.
આવકવેરા રિટર્ન ફાઈલ કરવા મામલે મહત્વના સમાચાર
અનેક કરદાતાઓએ ફરી રિટર્ન ફાઈલ કરવું પડી શકે
પોર્ટલ પર એન્યુઅલ ઇન્ફર્મેશન સ્ટેટમેન્ટ ઉપલબ્ધ કરાવાયુ
Annual Information Statement : મળતી વિગત પ્રમાણે, મોટાભાગના કરદાતાઓ હંમેશાની જેમ પોતાના આવકવેરા રિટર્ન ફોર્મ નંબર-16 અને 26AS પ્રમાણે જ ફાઈલ કરતા હોય છે, જો કે, સરકારે અગાઉના બજેટમાં કરેલી જાહેરાત પ્રમાણે, પોર્ટલ પર દરેક કરદાતાનું એન્યુઅલ ઇન્ફર્મેશન સ્ટેટમેન્ટ(AIS) તાજેતરમાં જ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. આ સ્ટેટમેન્ટમાં કરદાતાની કેટલી આવક છે, તેની ચોક્કસ માહિતી સરકાર પાસે છે અને તેના આધારે જ દરેક વ્યક્તિએ આવકવેરા રિટર્ન ફાઈલ કરવાનું રહે છે.
આ સંજોગોમાં અત્યાર સુધીમાં જે કરદાતાઓએ પોતાના રિટર્ન પહેલા જ ફાઈલ કરી દીધા છે તેમણે રિવાઈઝ્ડ રિટર્ન ફાઈલ કરવા પડે તેવી નોબત આવી શકે છે. આવકવેરા નિષ્ણાંત હરીશ પંચાલે VTV સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, જો કરદાતાએ રિટર્ન ફાઈલ કરી દીધું હોય તો તેમણે પોતાનું AIS (એન્યુઅલ ઇન્ફર્મેશન સ્ટેટમેન્ટ) આવકવેરા વિભાગના પોર્ટલ પર જઈને ચૅક કરવું જોઈએ અને તેમાં તથા પોતે ભરેલ રિટર્નમાં જો કોઈપણ પ્રકારની વિસંગતતા જોવા મળે તો રિવાઈઝ્ડ રિટર્ન ફાઈલ કરવું આવશ્યક બનશે.
રિવાઈઝ્ડ રિટર્ન માટે અપાયો સમય
આવકવેરા નિષ્ણાંત પાસેથી પ્રાપ્ત થયેલ જાણકારી પ્રમાણે કરદાતાને આવકવેરા વિભાગ દ્વારા 31 માર્ચ 2022 સુધીનો સમય આપવામાં આવ્યો છે. જે વ્યક્તિએ AIS (એન્યુઅલ ઇન્ફર્મેશન સ્ટેટમેન્ટ)થી અલગ રિટર્ન ફાઈલ કર્યું હોય તો તેમણે સુધારો કરીને નવું રિટર્ન ફાઈલ કરવું જરૂરી બનશે. આવતા વર્ષથી પણ કરદાતાએ રિટર્ન ફાઈલ કરતા પહેલા એન્યુઅલ ઇન્ફર્મેશન સ્ટેટમેન્ટ ચૅક કરી લેવું હિતાવહ રહેશે.
Income Tax Dept rolls out the new Annual Information Statement(AIS) on the Compliance Portal. It provides a comprehensive view of information to taxpayer, with facility to capture online feedback. Click on link 'AIS' under the 'Services' tab on https://t.co/GYvO3n9wMf to access. pic.twitter.com/Ub4EAgmkLq
ઉલ્લેખનીય છે કે,ઘણીવખત એવું બનતું હોય છે કે, બેંકો દ્વારા કોઈ વ્યક્તિની 1 લાખની વ્યાજની આવક હોય પરંતુ બેંકોએ માત્ર 20 હજારની આવક બતાવીને 2000 રૂપિયા TDS કાપ્યો હોય, જો કે, વાસ્તવિકતા પ્રમાણે 1 લાખના વ્યાજની આવક સામે 10 હજારનો TDS કપાતો હોય છે.નોંધનીય છે કે, થર્ડ પાર્ટી દ્વારા કપાયેલ TDSની ચોક્કસ રકમ ફોર્મ નંબર 26ASમાં પ્રતિબિંબિત થઈ શકતી નથી ત્યારે કરદાતાએ સરકાર દ્વારા પોર્ટલ પર આપવામાં આવેલ AISને ધ્યાનમાં રાખીને રિટર્ન ફાઈલ કરવું અનિવાર્ય બનશે.
આ વિગતો AISમાં હશે સામેલ
1. શેર વ્યવહાર
2. વીમો
3. ક્રેડિટ કાર્ડ્સ
4. મિલકતની ખરીદી
5. મ્યુચ્યુઅલ ફંડ
6. પગાર અથવા વ્યવસાયિક આવક
7. ડિવિડન્ડ
8. સેવિંગ્સ એકાઉન્ટ અથવા ડિપોઝિટ પર વ્યાજ
આ રીતે AIS ડાઉનલોડ કરો
સૌથી પહેલા ઈન્કમ ટેક્સ વેબસાઈટ પરથી ફોર્મ મેળવા માટે અહીં ક્લિક કરો (http://incometax.gov.in) ક્લિક કરો
PAN/Aadhaar અને Password નો ઉપયોગ કરીને ITR ફાઇલિંગ પોર્ટલ પર લૉગિન કરો.
આ પછી, ટોચ પર ‘Services’ વિભાગ પર જાઓ.
અહીં એક નવી ટેબમાં ડાબી બાજુએ બે વિકલ્પો હશે- ટેક્સ ઇન્ફોર્મેશન સમરી (TIS) અને જમણી બાજુ AIS. (બંને સમાન છે. TIS પાસે સારાંશ હશે, જ્યારે AIS પાસે તેની સંપૂર્ણ વિગતો હશે)
એન્યુઅલ ઇન્ફર્મેશન સ્ટેટમેન્ટ(AIS)' પર ક્લિક કરો.
આ પછી, ‘Proceed’ પર ક્લિક કરો.
હવે તમારે ડાઉનલોડ પર ટૅપ કરવાનું રહેશે.
અહીં તમે PDF અથવા JSON નો વિકલ્પ પસંદ કરી શકો છો અને પછી ડાઉનલોડ કરી શકો છો.
PDF પાસવર્ડથી સુરક્ષિત રહેશે. તમારો પાસવર્ડ PAN (કેપિટલમાં) + તમારી જન્મ તારીખ (DDMMYYYY) છે.