ગાંધીજી એ એક વખત ભારતના ગામડાઓ વિષે કહ્યું હતું કે "ભારતની આત્મા અને ભારતનું ભવિષ્ય ભારતના ગામડાઓમાં રહેલા છે." કમનસીબે શહેરમાં રોજગારી અને વધુ સારી જીવનશૈલી મળતી હોવાથી ગામડાના લોકો ચિંતાજનક ઝડપથી વતન છોડીને શહેર તરફ દોડી રહ્યા છે.
ભારતની થીંક ટેંક સંસ્થા નીતિઆયોગે એક અહેવાલમાં જણાવ્યું છે કે દેશમાં પ્રત્યેક મીનીટે સરેરાશ ૩૦ વ્યક્તિઓ ગામડું છોડીને શહેરમાં વસવાટ કરવા આવી રહ્યા છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા ૩ વર્ષમાં સરેરાશ દર ૧૦૦૦ માંથી ૨૯૯ લોકો ગામડા છોડીને શહેરમાં આવી ગયા છે.
દેશની દર ૧૦૦૦ લોકોમાંથી ગામડું છોડીને શહેરમાં આવવાની સરેરાશ ૨૬૧ છે. આમ ગુજરાતના આંકડા ૨૯૯ સાથે દેશની સરેરાશ કરતા પણ વધુ છે. દેશના અન્ય રાજ્યોનું આ પ્રમાણ ઉપરના આલેખ પરથી સ્પષ્ટ રીતે જોઈ શકાય છે.
જાણકારોના મતે રોજગારી, જીવનશૈલી અને શિક્ષણનું પરિબળ સૌથી મહત્વનો ભાગ ભજવે છે. આ જ કારણે ૧૮થી ૩૫ની વયજૂથના લોકો સૌથી વધુ ગામડા છોડી રહ્યા છે.
સરકારના કેન્દ્રીય ગ્રામીણ મંત્રાલયએ આ મુદ્દે નિવેદન આપ્યું છે કે ગામડાઓમાં રોજગારી મુદ્દે મનરેગા હેઠળ ૧૦૦ દિવસનું નિશ્ચિત વેતન ઉપરાંત પ્રધાન મંત્રી આવાસ યોજના, પ્રધાન મંત્રી ગ્રામ સડક યોજના દ્વારા લોકોને રોજગારી અને સુવિધા આપવામાં સતત વધારો થઇ રહ્યો છે. એક અંદાજ પ્રમાણે ગુજરાતના શહેરોમાં વસતા અડધા લોકોએ ગામડાથી સ્થળાંતર કરેલું છે. જો આ પ્રવાહ ચાલુ રહ્યો તો ગામડાઓની વસ્તીમાં ભારે ઘટાડો આવશે તે સાથોસાથ શહેરની વસ્તીમાં બેકાબુ વધારો થશે જેથી પાણી, ટ્રાફિક, પ્રદુષણ વગેરે સમસ્યાઓ વકરશે. ગામડાઓમાં સારી શિક્ષણવ્યવસ્થા ઉભી કરવામાં આવે તે ખુબ જ જરૂરી છે.