સુરત વરાછાના માતાવાડી વિસ્તારમાં મનપાની ટીમ અને કેટલાક કેળાની લારી સાથે ઉભા રહેતા લોકો વચ્ચે દબાણ હટાવવાની કામગીરીને લઈ બોલાચાલી અને ગાળાગાળી
વરાછા માતાવાડી વિસ્તારમાં બબાલ
મનપા અધિકારી-લારીધારક વચ્ચે બબાલ
દબાણ હટાવવા જતા થઈ માથાકૂટ
સુરતના વરાછામાં સવાર-સવારમાં અધિકારીઓ અને લારીચાલકો વચ્ચે છૂટ્ટા હાથની મારામારીના દ્રશ્ય સર્જાયા હતા. માતાવાડી વિસ્તારમાં મનપાની ટીમ પહોંચી હતી. જ્યાં કેટલાક કેળાની લારી સાથે ઉભા હતા. રસ્તામાં ચાલવાના ભાગે લારીને લઈ ઉભા રહેલા લોકોને હટાવવાની કામગીરી દરમિયાન બોલાચાલી અને ગાળાગાળી થઈ હતી. જો કે, આ કોઈ નવી સમસ્યા નથી. અગાઉ પણ ગુજરાતના અનેક શહેરોમાં આ પ્રકારે મનપાના અધિકારીઓ અને લારી કે ગલ્લાચાલકોની માથાકૂટ સામે આવી ચૂકી છે.
સમગ્ર કાર્યવાહી માટે વરાછા ઝોન-1ની ટીમ દબાણ હટાવવાની કામગીરી માટે નીકળી હતી. આ દરમિયાન કેટલાક લોકો લારી સાથે કેળાનું વેચાણ કરી રહ્યા હતા. રોડ પર લારી રાખીને વેચાણ કરતા લોકોની લારીને હટાવવા જતા બંને પક્ષ વચ્ચે બોલાચાલી થઈ હતી. જે બાદ મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો. સમગ્ર ઝઘડા બાદ દબાણ હટાવનારા અધિકારીઓએ ફરિયાદ પણ નોંધાવી હતી. લારીચાલકો વિરુદ્ધ સરકારી કાર્યમાં ફરજ રૂકાવટ અને મારામારીની ફરિયાદ નોંધાવી હતી.
ટ્રાફિકની સમસ્યાના કારણે લારી-ગલ્લાના ચાલકોને હટાવવાની કામગીરી થઈ રહી છે. પરંતુ વિચારવા જેવી બાબત એ પણ છે કે, રોજનું વેચાણ કરીને કમાણી કરતા લોકો માટે તંત્ર શું કરી રહ્યું છે. અને આ પ્રકારનો વ્યવસાય કરનારા લોકોની સંખ્યા કોઈ 100 કે 200 નથી. આ પ્રકારે હજારોની સંખ્યામાં લોકો પોતાનું જિવન નિર્વાહ કરી રહ્યું છે. AC ઓફિસમાં બેસીને ઓર્ડર આપતા અધિકારીઓને તડકામાં ઉભા રહી વેપાર કરતા લોકોને સમસ્યાઓ સાંભળવાનો પણ સમય હોતો નથી. અને પછી દબાણના નામે દાદાગીરી કરતા પણ કેટલાક અધિકારીઓ જોવા મળે છે.