ભારતમાં કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂત સંગઠનો દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે ત્યારે ખેડૂત આગેવાન ટીકૈતે મોટું નિવેદન આપ્યું છે.
સરકાર સામે લડી શકાય પણ વેપારી સામે નહીં : ટીકૈત
ખેતી બચાવવી હોય તો લૂંટારુઑ સામે લડવું પડશે : ટીકૈત
લૂંટારુઓને દેશમાંથી ભગાડવા પડશે : ટીકૈત
ટીકૈતની હુંકાર
ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટીકૈટતે કહ્યું છે કે આ લડાઈ જમીન બચાવવાની લડાઈ છે. જો ખેડૂતોએ જમીન અને ખેતી બચાવવી હોય તો લૂંટારુઑ સામે લડવું જ પડશે. રોટલી બજારની વસ્તુ ન બની જાય, રોટલી તિજોરીમાં કેદ ન થઈ જાય આ તેના માટેની લડાઈ છે. આ મોંઘવારી વિરુદ્ધ આંદોલન છે અને બધાનું આંદોલન છે.
કાયદા પરત લેવા માંગ
પત્રકારો સાથે વાતચીતમાં તેમણે કહ્યું કે જ્યાં સુધી એમએસપી પર કાયદા નહીં બને અને ત્રણ કૃષિ કાયદા પાછા નહીં ખેચાય ત્યાં સુધી આ આંદોલન ચાલુ જ રહેશે. તેમણે કહ્યું કે સરકાર કિસાન મોરચાના લોકો સાથે વાતચીત કરે અને તે બાદ કાયદા પરત લઈલે. રાકેશ ટીકૈતે કહ્યું કે તમે સરકાર સામે લડી શકો છો પણ વેપારી સામે નહીં લડી શકો, આ દેશના લૂંટારુઓ છે અને તેમને દેશમાંથી ભગાડવા પડશે.
પહેલા પણ કરી ચૂક્યા છે એલાન
નોંધનીય છે કે હાલમાં જ રાકેશ ટીકૈતે એમ પણ ચીમકી ઉચ્ચારી હતી કે હવે હળ ક્રાંતિ કરવામાં આવશે. ખેડૂતો સંસદ જઈને ટ્રેક્ટર ચલાવશે. આ પહેલા રાકેશ ટીકૈતે રાજસ્થાનના સીકરમાં કહ્યું હતું કે દિલ્હી કાન ખોલીને સાંભળી લે કે આ વખતે ચાર નહીં ચાલીસ લાખ ટ્રેક્ટરો દિલ્હી જશે.
દેશના જુદા જુદા રાજ્યોમાં પહોંચી રહ્યું છે આંદોલન
નોંધનીય છે કે કૃષિ કાયદા સામે ખેડૂતો ત્રણ મહિનાથી દિલ્હીની બોર્ડર આંદોલન કરી રહ્યા છે પરંતુ આંદોલનમાં વાતચીત બંધ થઈ જતાં અને સરકારની મક્કમતાને જોતાં ખેડૂત આગેવાનોએ આ આંદોલનને દેશના ખૂણે ખૂણે પહોંચાડવાનો સંકલ્પ લીધો છે.