અંબાજીની ધર્મશાળામાં ટેન્ટમાં રોકેટ ફૂટતા આગ લાગી હતી. જેમાં મોટું નુકસાન થયું હોવાનો અંદાજ લગાવાઇ રહ્યો છે.
અંબાજીની ધર્મશાળામાં ભીષણ આગ
ધર્મશાળાની ટેન્ટમાં લાગી ભીષણ આગ
રોકેટ ટેન્ટમાં ફૂટતા આગ લાગ્યાની ચર્ચા
દિવાળીના તહેવારોને લઇને લોકો ફટાકડા અને આતશબાજીનો આનંદ માણતા હોવાથી આગની ઘટનાઑમાં ઉછાળો આવ્યો છે. તેવામાં અંબાજીની ધર્મશાળામાં ભીષણ આગની ઘટના સામે આવતા અફરાતફરી મચી જવા પામી હતી. ધર્મશાળામાં રહેલા ટેન્ટમાં આગ ફાટી નીકળી હતી. જેને લઇને ધૂમાડાના ગોટેગોટાના દ્રશ્યો સર્જાયા હતા.
ફાયર બ્રિગેડ અને પોલીસ કાફલો દોડી ગયો
દિવાળીના તહેવારને લઇને નજીકમાં કોઈએ સળગાવેલ રોકેટ ધર્મશાળામાં આવીને ફૂટી હતી. જેને કારણે આ આગ ભભૂકી ઉઠી હોવાની ચર્ચા અને પ્રાથમિક કારણ સામેઆ આવી રહ્યું છે. જોતજોતામાં આગે વિકરાળ રુપ ધારણ કરી લેતા લાખોનો સામાન આગમાં બળીને ખાખ થઇ ગયો હતો. બીજી બાજુ આ મામલે ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરતા કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને અવિરત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.
અમદાવાદમાં દિવાળીની રાત્રે ફાયર વિભાગની કાબેલેતારીફ કામગીરી
ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં દિવાળીની રાત્રે ફાયર વિભાગની કાબેલેતારીફ કામગીરી રહી છે. આતશબાજી વચ્ચે ફાયર વિભાગનો કંટ્રોલ રૂમ આખી રાત ધબકતો રહ્યો હતો. ગઈકાલે દિવાળી નિમિત્તે ફાયર વિભાગને આગ અંગેના કુલ 57 કોલ મળ્યા હતા. જોકે આગ લાગવાના લીધે કોઈ મોટી જાનહાની થઇ હોવાનું સામે આવ્યું નથી. તો બીજી તરફ પંચમહાલમાં પણ આગની ઘટના સામે આવી છે જ્યાં ટાયરના ગોડાઉનમાં આગ લાગતાં માલસામાન સળગીને ખાક થયો છે.