મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સરકાર બનાવ્યા બાદ સોમવારે પહેલીવાર પોતાની કેબિનેટનો વિસ્તાર કર્યો. આ કેબિનેટ વિસ્તારમાં એનસીપીના નેતા અજિત પવારને જ્યાં રાજ્યના ઉપ મુખ્યમંત્રી બનાવાયા. જ્યારે શિવસેનાના આદિત્ય ઠાકરેને પણ મંત્રી પદ આપવામાં આવ્યું.
મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સરકારે કેબિનેટનો વિસ્તાર કર્યો
એનસીપીના નેતા અજિત પવાર બીજી વાર ઉપ મુખ્યમંત્રીના શપથ લીધા
અસંતુષ્ટ કોંગ્રેસી ધારાસભ્યોએ મલ્લિકાર્જુન ખડગે સાથે મુલાકાત કરી
ઉદ્ધવ ઠાકરેએ કેબિનેટ વિસ્તાર બાદ રાજ્યના વિકાસ માટે સાથે મળીને કામ કરવાની વાત કહી. જોકે, કેબિનેટ વિસ્તારને હજુ થોડાક જ કલાક વિત્યા હતા કે તેને લઇને કોંગ્રેસી ધારાસભ્યોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.
સૂત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર, આ કેબિનેટ વિસ્તારથી ઘણા ધારાસભ્યો ખુશ નથી. તેમનું માનવું છે કે, કેબિનેટ વિસ્તારને લઇને કોંગ્રેસ હાઇકમાનને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. અસંતુષ્ટ કોંગ્રેસી ધારાસભ્યોએ તેને લઇને પાર્ટીના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે સાથે મુલાકાત કરી છે અને પોતાની વાત રાખી છે. ધારાસભ્યોએ ખડગે સાથે મુલાકાત દરમિયાન આ આખા વિસ્તારમાં વફાદાર ધારાસભ્યોને ધ્યાને ના લેવાનો આરોપ લગાવ્યો છે.
સૂત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર, નારાજ ધારાસભ્યોમાં પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણ પણ સામેલ હતા.
નોંધનીય છે કે, મહારાષ્ટ્ર મંત્રીમંડળનું સોમવારે વિસ્તાર કરવામાં આવ્યું અને એનસીપી નેતા અજિત પવારે ઉદ્ધવ ઠાકરે સરકારમાં ઉપ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. ગત દોઢ મહીનામાં બીજી વાર પવારે ઉપ મુખ્યમંત્રી પદના શપથ લીધા છે.
આ પહેલા તેઓએ એનસીપીથી બળવો કરીને બીજેપી સાથે હાથ મિલાવ્યો હતો અને 23 નવેમ્બરે ઉપ મુખ્યમંત્રી પદના શપથ લઇ લીધા હતા. જોકે, 26 નવેમ્બરે જ તેઓએ રાજીનામુ આપવું પડ્યું હતું, કેમકે ફડણવીસની આગેવાની વાળી સરકાર ત્રણ દિવસમાં જ પડી ગઇ.