ગુજરાતમાં સતત બીજા વર્ષ કોરોનાની સંભવિત ત્રીજી લહેરના કારણે સરકાર શ્રાવણ માસના તહેવારોમાં છૂટછાટ આપશે કે નહીં, જો કે, રાજકોટના મેળાનું આયોજન રદ કરાઈ ગયું છે
કોરોનાના કેસ ઘટતા રાજ્ય સરકારે કર્યો મહત્વનો નિર્ણય
ગુજરાતમાં આ વર્ષે થશે ગણેશ ઉત્સવ
4 ફૂટની પ્રતિમાની સ્થાપનાની આપી મંજૂરી
ગુજરાતમાં શ્રાવણ માસની શરૂઆત થવાની છે. આ સાથે જન્માષ્ટમી અને ગણેશ મહોત્સવ પણ આવી રહ્યો છે. પરંતુ કોરોનાના કારણે સરકાર તહેવારની ઉજવણી પર લગામ લગાવી શકે છે. જો કે, આજે રાત્રી કર્ફ્યૂમાં લોકોને રાહતની જાહેરાત કરી છે. ગણેશ મહોત્સવને લઈને સરકારનો મહત્વનો નિર્ણય કર્યો છે. ગણેશોત્સવમાં વધુમાં વધુ 4 ફૂટની પ્રતિમાને મંજૂરી આપવામાં આવી છે. શ્રાવણ મહિના બાદ નવરાત્રીનો પણ તહેવાર આવશે. અને ગુજરાતમાં નવરાત્રીનું આયોજન છેલ્લા એક વર્ષથી થયું નથી. જેને લઈને પણ લોકોમાં ચર્ચા છે કે, શું આ વર્ષે પણ સરકાર નવરાત્રીનું આયોજન કરવા દેશે કે નહીં.
થોડા દિવસ અગાઉ ગૃહમંત્રીએ આપ્યું હતું નિવેદન
રાજ્યમાં તહેવારોને લઇ સરકારે તૈયારીઓ શરૂ કરી છે. ત્યારે શ્રાવણ મહિનામાં આવતા તહેવારો મુદ્દે રાજ્યગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું, તહેવારો મુદ્દે કોર કમિટીમાં ચર્ચા કર્યા બાદ નિર્ણય લેવાશે. મેળામાં કોરોનાની ગાઇડલાઇનનું પાલન થવું મુશ્કેલ છે. કોર કમિટીમાં નિર્ણય લઇ જરૂરી માર્ગદર્શન અપાશે. ઓગસ્ટ મહિનામાં રક્ષાબંધન, સાતમ-આઠમ સહિતના તહેવાર આવશે. જેને લઇ રાજ્ય સરકારે તૈયારીઓ શરૂ કરી છે.
શ્રાવણ મહિનાના તહેવારો
09/08/2021
શ્રાવણની શરૂઆત
13/08/2021
નાગ પંચમી
14/08/2021
રાંધણ છઠ
15/08/2021
શીતળા સાતમ
17/08/2021
નોળી નોમ
18/08/2021
શ્રાવણ સુદ અગિયારસ
22/08/2021
રક્ષાબંધન (બળેવ)
30/08/2021
જન્માષ્ટમી
કર્ફ્યૂમાં છૂટછાટ પરંતુ તહેવારમાં નહીં, સાવચેતી જરૂરી
ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેરની સંભાવના વચ્ચે સૌરાષ્ટ્રવાસીઓ માટે માઠા સમાચાર આવ્યા છે. જન્માષ્ટમીમાં યોજાતો સૌથી મોટો લોકમેળો સતત બીજા વર્ષે પણ બંધ રહેશે. રાજકોટમાં સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળાનું આયોજન આ વર્ષે પણ રદ કરાયું છે. જેના કારણે લોકોએ જન્માષ્ટમીની ઉજવણી ઘરમાં જ કરવાની રહેશે. આ સાથે રાજકોટ જિલ્લામાં ઘેલા સોમનાથ, ઈશ્વરિયા, ઓસમ ડુંગર સહિતના એકપણ લોકમેળાનું આયોજન કરાશે નહીં. રાજકોટના નવનિયુક્ત કલેક્ટર અરૂણ મહેશબાબુ દ્વારા આ અંગે સત્તાવાર જાહેરાત કરાઈ છે. ઘણા સમયથી લોકો મેળાના આયોજનની છૂટછાટ માટે રાહ જોઈ રહ્યા છે. પરંતુ કોરોનાને ધ્યાને લઈ તંત્ર કોઈ જોખમ ખેડવા માગતું નથી.
કર્ફ્યૂમાં નવી છૂટછાટો
મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. આ નિર્ણયો અનુસાર રાજ્યમાં 8 મહાનગરોમાં હાલ જે રાત્રિ કર્ફ્યૂ અમલમાં છે. તેની સમય મર્યાદા આગામી 31 જૂલાઈથી 1 કલાક ઘટાડવામાં આવી છે. એટલે કે આ 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂનો અમલ હાલ રાત્રીના 10થી સવારે 6 વાગ્યા સુધીનો છે. તે 31 જૂલાઈથી રાત્રિના 11થી સવારે 6 વાગ્યા સુધીનો રહેશે. આ 8 મહાનગરોમાં હોટેલ અને રેસ્ટોરન્ટ રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે.
8 મહાનગરો માં હોટેલ અને રેસ્ટોરન્ટ રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે
ખુલ્લી જગ્યામાં જાહેર સમારંભમાં હવે 200ને બદલે 400 લોકોને મંજૂરી
બંધ હોલમાં કુલ બેઠક ક્ષમતાના 50 ટકા પરંતુ મહત્તમ 400 લોકોને મંજૂરી
સાર્વજનિક ગણેશોત્સવ માં વધુમાં વધુ 4 ફૂટની ગણેશ પ્રતિમાની મંજૂરી
મહત્વનું છે કે, છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. સાથે કોરોનાના કારણે મોત પણ સરકારી ચોપડે નોંધાયા નથી. આ કારણે સરકાર ધીમે ધીમે લોકોને વેપાર ધંધામાં છૂટછાટ આપી રહી છે. આ સાથે સામાજિક કાર્યક્રમમોમાં લોકોની હાજરીને લઈ પણ છૂટછાટ મળી રહી છે.