દેશમાં કોરોના વાયરસના વધતાં સંક્રમણની વચ્ચે હોળી સહિતના તહેવારો પહેલા કેન્દ્ર સરકાર પણ કડકાઇના મૂડમાં આવી ગઈ છે.
કેન્દ્રએ રાજ્યોને લખ્યો પત્ર
તહેવારોમાં કડક પગલાં લેવા નિર્દેશ
ગુજરાતમાં ધૂળેટી પર પ્રતિબંધ
કોરોના વાયરસના વધતાં કેસના કારણે કેન્દ્ર અને રાજ્ય સરકારો ટેન્શનમાં આવી ગઈ છે ત્યારે દેશમાં તહેવારોની સિઝન શરૂ થઈ રહી છે. તહેવારોમાં કોરોના વાયરસ સંક્રમણને જોતાં કેન્દ્ર સક્રયરે કેન્દ્રશાસિત પ્રદેશો અને રાજ્યોને અલર્ટ રહેવા માટે આદેશ આપ્યા છે.
કેન્દ્રનો રાજ્યોને પત્ર
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રાજ્યોને હોળી, ઈદ, શબ-એ-બારાત અને ઈસ્ટર પર ભીડ ભેગી ન થવા દેવા માટે આદેશ આપવાં આવ્યા છે. કેન્દ્રીય એડિશનલ હેલ્થ સેક્રેટરીએ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના મુખ્ય સચિવોને પત્ર લખ્યો છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે હોળી, શબ-એ-બારાત, બીહૂ, ઈસ્ટર અને ઈદ જેવા તહેવારોમાં સાર્વજનિક સ્થાનો પર ભીડ રોકવા માટે સ્થાનિક સ્તર પર કડક પગલાં લઈ શકાય છે.
ગુજરાતની ગાઈડલાઇન જાહેર
હોળી-ધુળેટીને લઇ રાજ્ય ગૃહ વિભાગે ગાઇડલાઇન બહાર પાડી છે. હોળીની ધાર્મિક વિધિ માટે છૂટછાટ આપવામાં આવી છે અને ધુળેટીની ઉજવણી પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ગાઇડલાઇનમાં કહેવાયું છે કે, આ તહેવારોમાં માટે લોકો સોસાયટી, શેરી, નાકા, જાહેર સ્થળો, ખુલ્લા મેદાનો અને રસ્તાઓ પર મોટી સંખ્યામાં એકત્રિત થતા હોય છે. મોટી સંખ્યામાં એકત્રિત થવાથી કોરોના સંક્રમણ વધવાની શક્યતા છે.
ધુળેટીના દિવસે જાહેરમાં ઉજવણી-સામૂહિક કાર્યક્રમ પર પ્રતિબંધ
આથી, રાજ્યમાં હાલ કોરોનાની સ્થિતિને ધ્યાને લેતા હોળીના તહેવાર સંદર્ભે પરંપરાગત રીતે મર્યાદિત સંખ્યા સાથે હોળી પ્રગટાવી શકાશે અને હોળીની પ્રદક્ષિણાની સાથો સાથ ધાર્મિક વિધિ પણ કરી શકાશે. તો હોળી દહનના કાર્યક્રમમાં ભીડ એકઠી કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે. કોરોના ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન થાય તે અંગે આયોજકોને તકેદારી રાખવાની રહેશે. ધુળેટીના દિવસે જાહેરમાં ઉજવણી-સામૂહિક કાર્યક્રમ પર પણ પ્રતિબંધ લગાવ્યો છે. મહત્વનું છે કે, કોરોનાના વધતા કેસોને લઇને ધુળેટીની ઉજવણી પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
કોરોના વાયરસ કેસ અપડેટ :
કોરોના વાયરસની નવી લહેર વચ્ચે ભારતમાં મોતનો આંકડો વધી રહ્યો છે. બુધવારે જે આંકડા સામે આવ્યા છે તેમાં એક જ દિવસમાં ભારતમાં 275 લોકોના મોત થયા છે. આ આંકડો આ વર્ષનો મોતનો સૌથી મોટો આંકડો છે. આજે નવા કેસની વાત કરીએ તો એક દિવસમાં ભારતમાં 47,262 કેસ સામે આવ્યા છે.
એક વર્ષ પહેલા આજે જ લાગ્યું હતું લોકડાઉન :
23 માર્ચ 2020ના રોજ પીએમ મોદીએ ભારતમાં રાત્રે 8 વાગ્યાથી લોકડાઉન કરી દેવાનું એલાન કર્યું હતું. રેલવે, હવાઈ જહાજ, દુકાનો, કારખાના બધુ જ એક ઝાટકે બંધ કરી દેવામાં આવ્યું હતું અને બધા જ ઘરોમાં કેદ થઈ ગયા હતા. તે સમયે દેશમાં કોરોના વાયરસના 500 કેસ હતા જે હવે 1,17,34,058 થઈ ગયા છે. આજની તારીખમાં ત્રણ લાખ 68 હજાર 457 કેસ એક્ટિવ છે જ્યારે 5 કરોડ લોકોને રસી આપી દેવામાં આવી છે.