આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા પર સંઘીય અમેરિકી આયોગ (USCIRF) દ્વારા જણાવામાં આવ્યું છે કે જો નાગરિકતા સંશોધન બિલ (Citizenship Amendment Bill) ખોટી દિશામાં ભરાયેલું એક ખતરનાક પગલુ છે અને જો આ બિલ ભારતની સંસદમાં પસાર થઇ જાય છે તો ભારતના ગૃહમંત્રી અમિત શાહ વિરુધ્ધ પ્રતિબંધ લગાવામાં આવે.
યુએસસીઆઇઆરએફ દ્વારા સોમવારે આપવામાં આવેલા એક નિવેદનમાં જણાવાયું છે કે બિલ લોકસભામાં પસાર થઇ જતા તેઓ ચિંતિત છે. લોકસભામાં સોમવારે નાગરિકતા સંશોધન બિલને મંજૂરી મળી ગઇ છે.
જેમાં અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી ધાર્મિક પજવણીના કારણે 31 ડિસેમ્બર 2014 સુધી ભારત આવેલા હિન્દુ, શિખ, બૌદ્ધ, જૈન, પૈરસી અને ઇસાઇ સમુદાયના લોકો ભારતીય નાગરિકતા માટે અરજી કરી શકે છે તેવી જોગવાઇ છે.
આયોગ દ્વારા જણાવામાં આવ્યું છે કે જો બિલ બંને સદનમાં પસાર થઇ જાય છે તો અમેરિકાની સરકારે ગૃહ મંત્રી અમિત શાહ અને મુખ્ય નેતૃત્વ વિરુધ્ધ પ્રતિબંધ લગાવા પર વિચાર કરવો જોઇએ. અમિત શાહ દ્વારા રજૂ કરવામાં આવેલા ધાર્મિક માનદંડવાળા આ બિલને લોકસભામાં પસાર થવાથી યૂએસસીઆઇઆરએફ ઘણું ચિંતિત છે.
જો કે અમેરિકાની સરકાર તરફથી કોઇપણ પ્રકારનું સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી પરંતુ ધાર્મિક સ્વતંત્રતા કેન્દ્રીય આયોગના જણાવ્યા અનુસાર બંને સદનમાં આ બિલ પાસ થવા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ વિરુધ્ધ અમેરિકામાં પ્રતિબંધ લગાવાની માંગ કરવામાં આવી છે.