તૌકતે ને લઇ ખેડૂતો દહેશતમાં
ખેડૂતોને પડી રહી છે મુશ્કેલી
પાકમાં નુકસાની થવાનો ડર
તૌકેત વાવાઝોડાને લીધે ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. ત્યારે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. ખેતરમા ઉભા પાક જેવા કે ઉનાળુ મગફળી, ઉનાળુ મગ, ઉનાળુ તલ, ઘાસચારો, શાકભાજી સહિતના પાકમાં નુક્સાની જવાનો ડર ખેડૂતોને સતાવી રહ્યો છે જેને લઈ ખેડૂતો ચિંતિત બન્યા છે.
ખેડૂતોમાં દહેશતનો માહોલ
તૌકતે વાવાઝોડાને લઈ ભારે પવન સાથે વરસાદ આવશે તો ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળશે, જેને લઈ ખેડૂતોમાં દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે. ખેડૂતોએ મગ, અડદ, મગફળી અને તલના પાકને લણવાની શરૂઆત કરી દીધી છે. કોરોનાના કારણે મજૂર ન હોવાથી ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે. એવામાં વાવાઝોડાનો સંભવિત ખતરો મંડાઈ રહ્યો છે.
પાકને નુક્સાન જવાની ભિતિ
કેસર કેરી પકવતા ખેડૂતોને પણ નુક્સાનીનો ડર સતાવી રહ્યો છે. ગીરના અંદાજે 16 હજાર હેક્ટરમાં કેરીનું વાવેતર થાય છે. ત્યારે હવે વાવાઝોડાના કારણે કેરીના પાકને નુકસાન થવાની ભિતિ સેવાઈ રહી છે ખેડૂતોનું કહેવું છે કે જો વરસાદ આવશે તો પાકને મોટું નુક્સાન થશે. જેને લઇ ખેડૂતોએ આંબા પરથી કેરીઓને પણ ઉતારવાની શરૂઆત પણ કરી દીધી છે.
તાલપત્રીના વેપારીઓ દુકાનો ખોલી શકે
બીજી તરફ તંત્રએ સંભવિત વાવાઝોડાની આગાહીના પગલે તાલપત્રી અને પ્લાસ્ટિકના વેપારી દુકાનો ખોલી રાખવાનું જણાવ્યું છે, કેમ કે આ સમયે ખેડૂતોને વરસાદ આવે તે સ્થિતિએ તાલપત્રી પ્લાસ્ટિકની જરૂરિયાત ઉભી થતી હોય છે. 18 મે સુધી સવારે 8થી રાત્રીના 8 સુધી વેપારીઓ તાલપત્રી- પ્લાસ્ટીકની દુકાનો ખુલી રાખી શકશે તેવા પણ અહેવાલો સામે આવ્યા છે.