વડોદરામાં હત્યાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્રાથમિક વિગતો મુજબ એક પિતાએ જ પુત્રની હત્યા કરી હોવાનું સામે આવ્યા હડકંપ મચી ગયો છે. કોઈ બાબતે ઘરમાં ઝઘડો થયા બાદ પુત્રએ પિતાને છુટ્ટો મોબાઈલ ફોન માર્યો હતો. જેથી પિતાએ ગુસ્સે થઈ પુત્રના માથામાં લાકડી મારતાં ગંભીર ઇજાઓને કારણે ઇજાગ્રસ્ત પુત્રનું મોત થયું હતું. જોકે હાલ આ મામલે પોલીસ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સંસ્કારી નગરી વડોદરામાં ક્રાઇમની વધુ એક ઘટના સામે આવી છે. વિગતો મુજબ વડોદરાના સલાડ ગામમાં પિતાએ જ પુત્રની હત્યા કરી છે. સલાડ ગામે એક કુટુંબના પુત્રએ ફરી પુત્રવધુને ઘરે લાવતા માથાકૂટ થઈ હતી. આ દરમ્યાન ગુસ્સે ભરાયેલા પુત્ર બ્રિજેશે પિતા જયંતીભાઈને છુટ્ટો મોબાઈલ માર્યો હતો. આ તરફ ગુસ્સે ભરાયેલા પિતા જયંતીભાઈએ પોતાના જ 43 વર્ષના પુત્ર બ્રિજેશના માથામાં લાકડી મારી હતી.
આ ઘટનામાં માથાના ભાગે લાકડી વાગતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલા બ્રિજેશભાઈનું કરુણ મોત થયું હતું. આ ઘટનાને લઈ પરિવારજનો ઘેર શોકમાં ગરકાવ થઈ ગયા છે. આ તરફ હવે જયંતીભાઈના બીજા પુત્રએ તેમના વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેને લઈ હવે વરણા પોલીસ આરોપી પિતાની ધરપકડ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.