ગુજરાતમાં એપ્રિલ મહીના સુધીમાં 301 લોકોના મૃત્યુ થયા
ગુજરાતમાં કોરોનાનો મૃત્યુઆંક 5 હજારે પહોંચવા આવ્યો
ગુજરાતમાં છેલ્લા 4 મહિના કરતા એપ્રિલમાં મૃત્યુઆંક વધ્યો
ગુજરાતમાં કોરોના વાયરસના કારણે સતત કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે માર્ચ મહિનાથી આ કેસ વધવાની શરૂઆત થઈ હતી જે બાદથી દૈનિક કેસના આંકડા માં દરરોજ ઉછાળો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં કોરોના વાયરસના કારણે મૃત્યુદરમાં પણ વધારો થઈ રહ્યો છે.
માત્ર છેલ્લા 12 દિવસમાં સૌથી વધુ મૃત્યુઆંક નોંધાયો
ગુજરાતમાં ચાર મહિના કરતાં પણ વધારે મૃત્યુઆંક એપ્રિલ મહિનામાં વધ્યો છે. એપ્રિલ મહિનામાં અત્યાર સુધીમાં જ 301 લોકોના મોત થાય છે જ્યારે કુલ આંક 5 હજારે પહોંચવા આવ્યો છે. માત્ર એપ્રિલ મહિનાના 12 દિવસમાં જ કોરોના વાયરસના કારણે મૃત્યુ પામતા લોકોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે.
સુરતની પરિસ્થિતિ બદતર
કોરોના વાયરસનો ફરી એક વખત કહેર ગુજરાતમાં વધ્યો છે. આ વખતે ગુજરાતમાં હાલત એવી થઈ ગઈ છે કે મૃતકોને રિત-રિવાજો અને સમય પર અંતિમ સંસ્કાર નસીબ નથી થઈ રહ્યાં. અહીં મોતનો આંકડો એટલો છે કે સ્મશાન ઘાટ પર અંતિમ ક્રિયા કરવી મુશ્કેલ થઈ રહી છે. સ્થિતિ એવી છે કે સતત થઈ રહેલા અંતિમ સંસ્કારને કારણે સ્મશાનની ભઠ્ઠીઓ, ચીમનીઓ પણ પીગળવા લાગી છે. મજબૂત માનવામાં આવતા લોખંડના ઍન્ગલ પણ આકાર બદલી રહ્યાં છે.
CM રૂપાણીની 8 મનપા કમિશનર સાથે બેઠક
ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં સતત ઉછાળો આવી રહ્યો છે અને 24 કલાકમાં છ હજારથી વધારે કેસ આવતા આખા રાજ્યની ચિંતામાં વધારો થયો છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રીએ રાજ્યની આઠ મનપાના કમિશનરો સાથે રિવ્યુ બેઠક યોજી હતી. આ બેઠકમાં સીએમ રૂપાણીએ કોરોના વાયરસની સમગ્ર પરિસ્થિતિ તથા સરકારી-ખાનગી હોસ્પિટલમાં રેમડેસીવિર ઇન્જેક્શનને લઈને ચર્ચા કરી હતી. આ બેઠકમાં કોરોના વાયરસની ટેસ્ટિંગ મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી.
ગુજરાતમાં 6 હજારથી વધારે કેસ
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 6021 કેસ નોંધાયા છે અને 2854 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 3,17981 દર્દીઓ કોરોનામુક્ત થયાં છે. ગઈ કાલે રાજ્યમાં 55 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે.આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 4855 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 216 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 30,680 પર પહોંચ્યો છે.
સુરત અને અમદાવાદમાં કોરોના બેકાબૂ
ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ હોવા છતાં બીજી તરફ પરિસ્થિતિ બેફામ છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 1907 કેસ જ્યારે સુરત શહેરમાં 1174 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 295 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 261 કેસ, જ્યારે ગ્રામ્યમાં 120 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 503 કેસ અને ગ્રામ્યમાં 73 કેસ નોંધાયા છે.
અમદાવાદમાં વધતા કોરોનાના સંક્રમણને લઈ દર્દીઓનો જમાવડો થયો છે. તો બીજી તરફ સિવિલ હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સની લાંબી કતારો લાગી ગઈ છે. એક એક એમ્બ્યુલન્સ 2થી 3 કલાક સુધી લાંબી લાઈનમાં છે. દર્દીઓએ સારવાર માટે 3 કલાક જેટલી રાહ જોવી પડી હતી. પરિવારજનો અને દર્દીઓ હોસ્પિટલની બહાર જ અટવાયા હોવાના દૃશ્યો સામે આવી રહ્યા છે. ઉનાળાના તાપ વચ્ચે લોકો પાણીની પણ માગણી કરી રહ્યા છે.