સુરતના તક્ષશિલા અગ્નિકાંડનો મામલે આજથી મૃતકના પરિવારજનો પ્રતિક ઉપવાસ પર ઉતર્યા છે. ઇજાગ્રસ્ત બાળકોના પરિવારજનો પણ તક્ષશિલા આર્કેડ સામે બ્રિજ નીચે પ્રતિક ઉપવાસ પર બેઠા છે. મૃતકના પરિજનોનો આક્ષેપ છે કે, ઘટના બાદ ઉચ્ચ અધિકારી સામે કડક પગલા નથી લેવાયા. માત્ર નાના અધિકારીઓને બલીનો બકરો બનાવ્યા છે. વારંવાર રજૂઆત કરવા છતા તંત્રે બેદરકારી દાખવી છે.
સુરતમાં તક્ષશિલા આર્કેટ અગ્નિકાંડ મામલે આજે મૃતકોના પરિવારજનો પ્રતીક ઉપવાસ પર બેઠા છે. 22 મૃતક અને 15 ઇજાગ્રસ્તોના પરિવારજનોએ તક્ષશિલા આર્કેડ સામે બ્રિજની નીચે પ્રતીક ઉપવાસ શરૂ કર્યા છે.
પરિવારજનો દ્વારા જવાબદાર અધિકારીઓ સામે ફોજદારી પગલા ન લેવાયાનો આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે. માસૂમ બાળકોના મોતના જવાબદારોને સજાની માંગ કરવામાં આવી રહી છે. ઘટના બાદ નાના અધિકારીઓ સામે જ કાર્યવાહી કરાયાનો આક્ષેપ લગાવાય રહ્યો છે. સવારે 10 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી પ્રતિક ઉપવાસ પર છે.
શું થયું અગ્નિકાંડ બાદ ?
આ તક્ષશિલા અગ્નિકાંડ ઘટનાને પગલે બે બિલ્ડરોની ધરપકડ થઈ છે. સુરત મનપાના અધિકારીઓની પૂછપરછ શરૂ થઈ છે. બે બિલ્ડર હરસુલ વેકરિયા અને જીગ્નેશ પાઘડાળની ધરપકડ થઈ છે. મનપાના કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા છે. બે ફાયર કર્મચારીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ થઈ છે. સુરતના મોટેભાગના ડોમ અને ગેરકાયદે બાંધકામ દૂર કર્યા છે. અલગ અલગ વિભાગના કુલ 10 કર્મચારીઓની ધરપકડ થઈ છે.
જોકે પીડિત પરિવારોને ક્રાઈમ બ્રાન્ચની આટલી તપાસથી સંતુષ્ટ નથી. કડક કાર્યવાહી થાય એવી પીડિત પરિવારની માગ છે. અનેક લોકો ન્યાય માટે પીડિત પરિવારોની સાથે છે. હાઇકોર્ટમાં અલગ અલગ પિટિશન ફાઇલ કરી ન્યાયની માગ કરી છે. જાગૃત નાગરિકો દ્વારા વકીલોને પણ જવાબદારોના કેસ ન લડવા અપીલ કરાઈ છે.