રાજ્યમાં જ્યાં એક તરફ ખેડૂતોને સિંચાઈના પાણી માટે વારંવાર માગણી કરવી પડે છે. ત્યાં કેટલીક કંપનીઓ જળાશયોમાંથી પાણીનો જથો બેરોકટોક ઉપાડી રહી છે. એટલું જ નહીં ખેતીના ભોગે ઉપાડેલા પાણીના જથાનું બિલ ભરવામાં પણ ગલ્લાંતલ્લાં કરી રહી છે. વાત ગીરસોમનાથ જિલ્લાના વેરાવળમાં આવેલી ઈન્ડિયન રેયોન કંપનીની આડોડાઈની છે. આ કંપનીએ હિરણ ડેમમાંથી પાણીનો જથો તો સતત ઉપાડી રાખ્યો પરંતુ જ્યારે પાણીના બિલ પેટે રૂ.240 કરોડ ભરવાની નોટિસ મળી તો ફરજ ટાળતા રહ્યા.
એક તરફ ગીર વિસ્તારના ખેડૂતો સિંચાઈના પાણી માટે વારંવાર રજૂઆતો કરીને થાક્યા છે. અનેક વાર રજૂઆત કરવા છતાં ખેતી માટે સિંસાઈનું પાણી પૂરંતુ અને સમયસર મળતું નથી એટલું જ નહીં તંત્ર દ્વારા ખેડૂતો પાસેથી સિચાઈના પાણીની રકમ વસૂલવામાં કડકાઈ પણ વાપરવામાં આવે છે પરંતુ ગીર સોમનાથના વેરાવળમાં આવેલી ઈન્ડિયન રેયોન કંપનીને હજુ સુધી કોઈ પૂછવાવાળું નથી.
ઈન્ડિયન રેયોન કંપનીએ આજ સુધીમાં હિરણ ડેમમાંથી કરોડો ગેલન પાણી વાપર્યું છે અને હજુ પણ બે રોકટોક પાણી વાપરતી રહે છે પરંતુ જ્યારે જળવપરાશનું બિલ મળ્યું તો કંપનીના અધિકારીઓ જાણે નિયમોને ઘોળી પી ગયા છે.
સિંચાઈ વિભાગે ઈન્ડિયન રેયોન કંપનીને અત્યાર સુધી પાણી વપરાશ પેટે રૂ.238 કરોડનું બિલ ફટકાર્યું છે પરંતુ કંપનીએ આજ સુધી બિલની રકમ ભરી નથી કે તેનો જવાબ આપ્યો નથી. તેમ છતાં હજુ પણ સિંચાઈ વિભાગ રેયોન કંપનીને પાણી પૂરું પાડતું રહ્યો છે. ખેડૂતો માટે સિંચાઈના નિયમો બનાવવામાં આવ્યા છે તો કંપની માટે કેમ નહી તે બાબતે ખેડૂતો અને સામાજિક કાર્યકરોમાં રોષ વ્યાપ્યો છે.
1999થી ઇન્ડિયન રેયોનને હિરણ માંથી પાણી આપવામાં આવે છે. જળાશયના ઉપરવાસ અને હેઠવાસ એમ બન્ને જગ્યાએથી રેયોન કંપનીને પાણી આપવામાં આવે છે. આ પાણીના વપરાશ પેટે 1999થી કુલ બે બિલ કંપની પાસેથી લેણા નીકળે છે. એક 228 કરોડનું બિલ છે અને બીજું 9 કરોડ રૂપિયાનું એટલે કે ટોટલ 239 કરોડ રૂપિયા કંપની પાસેથી પાણીબિલના લેણા નીકળે છે. વારંવાર નોટિસ આપવા છતાં કંપની બિલના નાણા ભરતી નથી. જેથી હવે આ મામલો કોર્ટમાં પહોંચ્યો છે.
સિંચાઈ વિભાગના બેવડાં ધોરણોના કારણે ગીર પંથકના ખેડૂતોમાં ભારે રોષ ભભૂક્યો છે. ખેડૂતો સિંચાઈના પાણી માટે હાથ જોડી પાણી માંગી રહ્યા છે તો બીજી તરફ મગર મચ્છ કમ્પની 240 કરોડ રૂપિયા નું પાણી વાપરીને હાથ ઊંચા કરી રહ્યી છે. જોકે લોકોમાં આ અંગે ઉહાપોહ મચતા સિંચાઈ વિભાગે કંપની પાસેથી લેણા વસૂલવા કોર્ટના દરવાજા ખટખટાવાની જરૂર પડી છે. ત્યારે જોવાનું હવે એ રહે છે કે કંપની બાકી લેણા ભરે છે કે કેમ અને સિસાઈ વિભાગ હજુ પણ કંપનીને પાણી આપવા મહેરબાન રહે છે કે કેમ?