ખેડૂતોએ કૃષિ કાયદાઓ રદ કરવાની તેમની માંગને લઇને પોતાનું આકરું વલણ દર્શાવ્યું છે.
સિંઘુ બોર્ડર ઉપર આંદોલન કરી રહેલા ખેડૂતોએ જાહેરાત કરી છે કે તેઓ 5 ડિસેમ્બરે PM મોદીનું પુતળું બાળશે. તેઓ સરકારની કૃષિ કાયદાઓના વિરોધને મુદ્દે નિષ્ક્રિયતાના વિરોધમાં આ પગલું ભરવા જઈ રહ્યા છે. આ ઉપરાંત તેમણે જાહેરાત કરી છે કે તેઓ ગૌતમ અદાણી, મુકેશ અંબાણી અને અન્ય કોર્પોરેટ્સનો પણ વિરોધ કરવા જઈ રહ્યા છે.
કૃષિ કાયદા રદ કરવા માટે સંસદમાં વિશેષ સત્ર બોલાવવામાં આવે
ખેડૂતોના નેતાએ એક નવી માંગણી કરી છે. તેમણે કહ્યું છે કે કેન્દ્ર સરકાર 3 વિવાદાસ્પદ કૃષિ કાયદા રદ કરવા માટે સંસદમાં વિશેષ સત્ર બોલાવે. તેમણે કહ્યું છે કે જો સરકાર આ કાયદાઓ રદ નહીં કરે તો આંદોલન ચાલુ રાખવામાં આવશે.
ખેડૂતોના દિલ્લી ચલો આંદોલનને ગુજરાત કોંગ્રેસનું સમર્થન
ખેડૂતોના આંદોલનના સમર્થનમાં ગુજરાતમાં કોંગ્રેસ જિલ્લા મથકે પ્રદર્શન યોજવા જઈ રહ્યું છે. 4 ડિસેમ્બરના કોંગ્રેસ જિલ્લા સ્તરે પ્રદર્શન યોજશે. નોંધનીય છે કે નવા 3 કૃષિ બિલના વિરોધમાં ગુજરાત કોંગ્રેસનું ખેડૂતોને સમર્થન જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત કોંગ્રેસ તમામ જિલ્લા મથકે ધરણા કરશે.
ખેડૂતોના ચલો દિલ્હી આંદોલનને ગુજરાત કોંગ્રેસનું સમર્થન જાહેર. 4 ડિસેમ્બરે ગુજરાત કોંગ્રેસ તમામ જિલ્લા મથકે ધરણા યોજશે #FarmersProtests#DelhiChalo
ખેડૂતોએ પોતાનું આકરું વલણ દર્શાવતા કહ્યું છે કે જો તેમની માંગ પુરી કરવામાં ન આવી તો દિલ્લીમાં આવશ્યક વસ્તુઓની અછત શકે છે. આ મુદ્દે જીંદ ખાપ પંચાયતે સરકારને ચેતવણી આપી છે.
દિલ્લી નહીં મોકલીએ દૂધ-ફળ-શાકભાજી: ખેડૂતો
3 ડિસેમ્બરની બેઠકમાં ઉપર હવે સૌએ મીટ માંડી છે. ખેડૂતોએ પોતાનું વલણ સ્પષ્ટ કરતા કહ્યું છે કે જો 3 ડિસેમ્બરે સમાધાન નહીં થાય તો તેના વરવા પરિણામો આવશે. જો સરકાર તેમની માંગ પુરી નહીં કરે તો દૂધ-ફળ-શાકભાજી બંધ કરી દેવામાં આવશે તેવી ખેડૂતોએ ધમકી આપી છે. ખેડૂતોએ ચિંતાજનક ધમકી આપતા કહ્યું છે કે રાજધાની દિલ્હી પહોંચતો દૂધ-ફળ-શાકભાજીનો પુરવઠો અટકાવી દેવામાં આવશે.
કૃષિ કાયદા સામે ખેડૂતોનું આંદોલન ચાલુ છે. ગતરોજ સરકાર સાથેની વાટાઘાટો નિષ્ફળ જતા ખેડૂતોએ આક્રમક વલણ અપનાવ્યું છે. ખેડૂતોએ સરકારના પ્રસ્તાવને ફગાવી દીધો છે, જેમાં સરકારે સમિતિની રચના કરવાની વાત કરી હતી.
આવામાં હવે પંજાબ અને હરિયાણાના મોટી સંખ્યામાં ખેડૂતો હવે દિલ્હી તરફ આગળ વધી રહ્યા છે, જેથી અહીં હાજર ખેડૂતોને સમર્થન મળી શકે અને બીજી તરફ સરકાર પણ સક્રિય દેખાઈ રહી છે.
યુથ કોંગ્રેસના કાર્યકરો પર પાણીનો મારો
ચંદીગઢમાં યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈએ હરિયાણાના મુખ્યમંત્રી મનોહર ખટ્ટર વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો છે. યુથ કોંગ્રેસના કાર્યકરોની માંગ છે કે મુખ્યમંત્રીએ ખેડુતોની માફી માંગવી જોઇએ, જે રીતે હરિયાણાના ખેડુતો પર બળપ્રયોગ કરવામાં આવ્યો છે તે ખોટો છે. આ દરમ્યાન પોલીસે યુથ કોંગ્રેસના લોકો ઉપર વોટર કેનનો ઉપયોગ કર્યો હતો.
Chandigarh: Police use water cannon on Punjab Youth Congress workers who have gheraoed Haryana CM ML Khattar's residence, demanding an apology from him for alleged use of force against protesting farmers pic.twitter.com/GcM4nJ82Tb
બુધવારે બપોરે, ખેડુતોએ નોઈડા-ગ્રેટર નોઇડા એક્સપ્રેસ વેને અવરોધિત કર્યો હતો. સેંકડો ખેડૂતોએ મહામાયા ફ્લાયઓવર નીચે હડતાલ કરી હતી અને DND તરફનો રસ્તો રોકી દીધો હતો. હવે અહીં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
ખેડૂતો પહેલેથી જ દિલ્હી અને નોઈડાની સરહદે છાવણી કરી રહ્યા છે. પ્રદર્શનકારીઓ દ્વારા સતત જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે, જેથી લોકો લાંબા સમય સુધી અહીં રહી શકે.
પંજાબનું એક આખું ગામ આંદોલનમાં
પંજાબના મોહાલી રાયપુર ખુર્દ ગામની વસ્તી આશરે 8 હજાર છે પરંતુ આ દિવસોમાં આખા ગામમાં સન્નાટો છે. ઘરોમાં તાળાઓ છે, કારણ કે અહીંના મોટાભાગના ખેડૂતો દિલ્હીમાં આંદોલન કરી રહ્યા છે.
બુધવારે સવારે ખેડૂત આંદોલનમાં શું-શું બન્યું તેના પર કરીએ એક નજર...
1. ખેડૂત નેતા બૂટા સિંહનું કહેવું છે કે અમે સમિતિની રચનાના સરકારના પ્રસ્તાવને ફગાવી દીધો છે. આ આંદોલનને ઠંડો પાડવાનો એક પ્રયાસ છે, સાંજે પ્રેસ કોન્ફરન્સમાં ખેડૂતો પોતાના મંતવ્યો વ્યક્ત કરશે.
2. કેન્દ્ર સરકાર વતી, ખેડૂતોને કહેવામાં આવ્યું હતું કે સરકાર એક સમિતિની રચના કરશે, જેમાં સરકારના પ્રતિનિધિઓ, ખેડૂતોના પ્રતિનિધિઓ અને અન્ય ઉપસ્થિત રહેશે.
3. સરકાર સાથેની વાટાઘાટો નિષ્ફળ ગયા પછી ખેડૂતોનું આંદોલન ચાલુ રહ્યું. સવારથી મોટી સંખ્યામાં ખેડૂતો સિંઘુ સરહદ અને ટીકરી બોર્ડર પર રોકાયા હતા.
4. કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર, પિયુષ ગોયલે બુધવારે સવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં 3 ડિસેમ્બરે યોજાનારી ખેડૂતો સાથેની ચર્ચા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
5. ખેડૂતોના વિશાળ આંદોલનને ધ્યાનમાં રાખીને આજે દિલ્હી અને NCRમાં કડક સુરક્ષા ગોઠવવામાં આવી છે. દરેક વાહનની સિંઘુ સરહદે તપાસ કરવામાં આવી રહી છે.
6. બુધવારે ફરીદાબાદ નજીક ખેડૂતોની મહાપંચાયત થઈ, જેના કારણે સુરક્ષા વધારવામાં આવી. અહીં દરેક વાહનની તપાસ કરવામાં આવી રહી છે.
7. આરએલડી નેતા જયંત ચૌધરી પણ વહેલી સવારે સિંઘુ સરહદે પહોંચ્યા હતા. જયંતે કહ્યું હતું કે તેઓ અહીં નેતા તરીકે નહીં પણ ખેડૂત તરીકે આવ્યા છે. ગઈ કાલે ભીમ આર્મીના ચંદ્રશેખરે પણ ખેડૂતોને ટેકો આપ્યો હતો.
8. બુધવારે સવારે ગાઝીપુર અને ગાઝિયાબાદની સરહદે ખેડૂતો અને પોલીસ સામસામે આવી ગયા હતા. ખેડૂતોએ અહીંના બેરિકેડ્સ હટાવવાનો પ્રયાસ કર્યો.
9. નોઇડા લિન્ક રોડ પર સ્થિત ચિલ્લા બોર્ડર ખેડૂતોના આંદોલનને કારણે બંધ કરાઈ છે. અહીં ગૌતમ બુદ્ધ દ્વાર પાસે ખેડૂતોનો જમાવડો છે. લોકોને નોઈડા લિન્ક રોડને બદલે નોઇડા જવા NH -24 અને ડીએનડીનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે.