છેલ્લા 1 વર્ષ કરતા વધારે સમયથી ચાલી રહેલું ખેડૂત આંદોલન પૂરુ થવાની સંભાવના ઊભી થઈ છે કારણ કે સરકારે તમામ માગ સ્વીકારી લીધી છે.
આવતીકાલે ખેડૂત આંદોલન સમાપ્ત થવાની જાહેરાત થઈ શકે
કેન્દ્ર સરકારે ખેડૂતોની તમામ માગ સ્વીકારી
એમએસપી પર કમિટીની રચના કરશે સરકાર
ખેડૂતો સામેના તમામ કેસ પાછા ખેંચાશે-કેન્દ્રની જાહેરાત
દિલ્હી બોર્ડર પર ચાલી રહેલું ખેડૂત આંદોલન આવતીકાલે એટલે કે બુધવારે ખતમ થઈ શકે છે. સંયુક્ત કિસાન મોરચાની મંગળવારની બેઠકમાં આ મુદ્દે કોઈ નિર્ણય ન થઈ શકતા હવે આવતીકાલની બેઠકમાં ખેડૂતો આંદોલન પૂરુ કરવાની જાહેરાત કરી શકે છે. સરકારે કૃષિ કાયદા પરત લીધા હોવાથી મોટાભાગના ખેડૂતો હવે આંદોલન પરત ખેંચવાના મૂડમાં છે. કેન્દ્ર સરકારના ડ્રાફ્ટ અનુસાર એમએસપી પરની કમિટીમાં કિસાન મોરચાના 5 નેતાઓને સામેલ કરવામાં આવશે. એક વર્ષની અંદર ખેડૂતો સામે નોંધાયેલા કેસ પાછા ખેંચી લેવાની પણ સરકારે ખેડૂતોની માગ માની લીધી છે.
સરકારે ખેડૂતોની તમામ માગ સ્વીકારી
સૂત્રોના જણાવ્યાનુસાર કેન્દ્ર સરકારે ખેડૂતોની તમામ માગ સ્વીકારી લીધી છે એટલે હવે ખેડૂતો આંદોલન પૂરુ કરે તેવી સંભાવના છે. ખેડૂત સંગઠનોને પાઠવેલા પત્રમાં સરકારે જણાવ્યું કે એમએસપી પર કમિટીની રચના કરવામાં આવશે અને આંદોલન દરમિયાન ખેડૂતો સામે નોધાયેલા તમામ કેસ પરત લેવામાં આવશે.
કેન્દ્ર સરકારે શું માગ સ્વીકારી
કેન્દ્ર સરકાર તરફથી ખેડૂતોને એક પત્ર મોકલાયો છે જેમાં તમામ માગ માનવાનું જણાવાયું છે.
(1) MSP પરની કમિટીમાં 5 ખેડૂતોને સામેલ કરવામાં આવશે, કાયદો બનશે
(2) આંદોલન દરમિયાન ખેડૂતોની સામે નોંધાયેલા તમામ કેસ પરત ખેંચાશે
(3) વળતર મુદ્દે પણ સરકારે માગ માની હોવાનો ખેડૂતોનો દાવો
આવતીકાલે જાહેરાત થઈ જશે-ખેડૂત નેતા
સિંઘુ બોર્ડર પર મળેલી બેઠક બાદ ખેડૂત નેતા કુલવંત સંધુએ જણાવ્યું કે બેઠકમાં મોટાભાગની માગ પર સહમતિ બની છે અને આવતીકાલે જાહેરાત થઈ જશે.