ઉનાળો તેની પરાકાષ્ઠાએ છે. ત્યારે રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી પાણીની બૂમ ઉઠવા લાગી છે. જિલ્લામાંથી પસાર થતી નદીઓ સુકાઈ ગઈ છે. ત્યારે તાપી જિલ્લાના ખેતી અને પશુપાલન પર નભતા લોકોને પાણી વિના વિકટ સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે.
આ સમસ્યાથી તાપી જિલ્લાનો સિંચાઈ વિભાગ હોય કે પછી પાણી પુરવઠા વિભાગ, બધા વાકેફ છે, પરંતુ તેના કાયમી ઉકેલ માટે આજ સુધી કોઈ નક્કર આયોજન હાથ ધરાયું નથી. જોઈએ આ અહેવાલ.
ઉનાળો તેનું રૌદ્રસ્વરૂપ ધારણ કરી રહ્યો છે. જેમ જેમ ગરમીનો પારો તેની પરાકાષ્ઠાએ પહોંચી રહ્યો છે તેમ તેમ જળાશયો અને સ્થાનિક જળસ્રોતો તળિયા ઝાટક થઈ રહ્યા છે. ત્યારે ખેતી અને પશુપાલન પર નભતા તાપી જિલ્લાના પૂર્વ પટ્ટીના લાખો લોકોને પણ પાણીની તંગીની વિકટ પરિસ્થિતિઓનો સામનો કરવો પડી રહ્યો છે, જિલ્લામાંથી પસાર થતી ઝાંખરી, મીંઢોળા, વોલણ નદીઓમાં નામ માત્રનું પાણી બચ્યું છે.
જયારે પૂર્ણા ,અંબિકા, વાલ્મિકી નદીઓમાં પણ કેટલાક વિસ્તારોમાં થોડા દિવસો ચાલી શકે તેટલુંજ પાણી બચ્યું છે, જેના કારણે આ નદીઓની સિચાઈ પર નિર્ભર હજારો ખેડૂતોનો પાક સુકાઈ રહ્યો છે, કેટલાક ખેડૂતોએ પોતાનો ઉભો પાક બચાવવા માટે નદીમાં જ કૂવા ખોદવા પડ્યો છે.
ખેડૂતોને દર વર્ષે સતાવતી પાણીની સમસ્યાની વાસ્તવિકતા જાણવા માટે અમારા પ્રતિનિધિએ ડોલવણ તાલુકામાંથી પસાર થતી પૂર્ણા, ઝાંખરી નદી ના આશરે પચાસ કિલોમીટરના કાંઠા વિસ્તારોના ખેડૂતોને મળી પાણીની સ્થિતિ અંગે વાસ્તવિકતા જાણવાની કોશિશ કરી તો તેમની હાલત ખરેખર હાલાકીભરી જોવા મળી.
દર વર્ષે એપ્રિલ માસના મધ્યથી જૂન માસ સુધી સર્જાતી પાણીની તીવ્ર અછતને કારણે તાપી જિલ્લાના પૂર્વ પટ્ટાના લાખો લોકોને પાણીને માટે રઝળપાટ કરવી પડે છે, આ સમસ્યાથી તાપી જિલ્લાનો સિંચાઈ વિભાગ હોય કે પછી પાણી પુરવઠા વિભાગ, બધા વાકેફ છે, પરંતુ તેના કાયમી ઉકેલ માટે આજપર્યત કોઈ નક્કર આયોજન હાથ ધરાયું નથી.
ડોલવણ તાલુકા સરપંચ અને આગેવાનોનું માનવું છે કે, વ્યારા તાલુકાના પડમ ડુંગરી ખાતે આવેલ ચેક ડેમમાંથી પાણી પૂર્ણા નદીમાં ઠાલવવામાં આવે તો 15થી 20 ગામોને ફાયદો થાય તેમ છે અને આ અંગે ગામના આગેવાનો દ્વારા ગુજરાત સરકારના મંત્રીને પણ રજુઆત કરી છે પણ હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી.
એપ્રિલ માસની શરૂઆતથી જ તાપી જિલ્લાના ઉચ્છલ, સોનગઢ,વ્યારા અને ડોલવણ તાલુકાના કેટલાક લોકો છેલ્લા કેટલાય વર્ષોથી ત્રણ માસ માટે ખેતી કરવાનું ટાળી રહ્યા છે, જેનું મુખ્ય કારણ પાણીની ભારે અછત છે, કારણકે, આ તાલુકાઓમાં સિંચાઇની નામ પૂરતી જ સુવિધા છે.
ઉપરથી આ વિસ્તારો માંથી પસાર થતાં નદી,નાળા,ચેકડેમો સુકાઈ જતાં તેમના ખેતરમાં આવેલા બોર, કૂવાના જળસ્તરો પણ નીચા જતા રહે છે, તેમની વરસો જૂની આ સમસ્યાથી સ્થાનિક અધિકારીઓ અને પદાધિકારીઓ સારી રીતે વાકેફ છે, પરંતુ આજસુધી પાણી બાબતે કોઈ નક્કર કામગીરી આ વિસ્તારમાં થઇ નથી
દરવર્ષે તાપી કાંઠાના લોકોને આ સમસ્યા સતવી રહી છે. કાં તો અહીંની નેતાગીરી નબળી છે અથવા તો સરકારને આ વિસ્તારના ઉત્થાન માં કોઈ રસ નથી, આવા અનેક સવાલો વચ્ચે અહીંના લોકો પાણી માટે એક આશ બાંધીને બેઠા છે.