નવા કૃષિ કાયદાને લઈને ખેડૂતો એક લાંબા સમયથી મોદી સરકારનો વિરોધ કરી રહયા છે, જો કે લાગી રહ્યું છે કે આ વિરોધનો માર સરકારની જગ્યાએ રિલાયંસ જેવી કંપનીઓને પડી રહ્યો છે.
રિલાયંસ જિયોના ગ્રાહકો તૂટયા
પંજાબ અને હરિયાણા સર્કલમાં દેખાઈ ખેડૂત આંદોલનની અસર
જિયોની સ્પર્ધક કંપની એરટેલ અને વીને થયો ફાયદો, બીએસએનએલને પણ થયો લાભ
મહત્વનું છે કે એક માહિતી પ્રમાણે ખેડૂતોના વિરોધનું જ્યાં સૌથી વધુ પ્રમાણ છે તેવા હરિયાણા અને પંજાબ રાજ્યોમાં રિલાયંસ જિયોના ગ્રાહકોની સંખ્યામાં લાખો યુઝર્સનો ઘટાડો નોંધાયો છે, જેનો ફાયદો તેની હરીફ કંપની એવી એરટેલ અને વી ને મળી રહ્યો છે.
જિયોના 5 લાખ ગ્રાહકો તૂટયા
ટ્રાઇના આંકડાઓ અનુસાર હરિયાણામાં જિયોના ગ્રાહકોની સંખ્યા નવેમ્બરમાં 94.48 લાખ હતી, જે ડિસેમ્બરમાં ઘટીને 89.07 લાખ રહી ગઈ હતી, તેમ જ એરટેલની સંખ્યા નવેમ્બરમાં 49.56 લાખ હતા જે ડિસેમ્બરમાં 50.79 લાખ થઈ ગઈ હતી, જ્યારે કે સમાન સમયમાં વીના ગ્રાહકોની સંખ્યા 80.23 લાખ હતી જે વધીને 80.42 લાખ થઈ ગઈ છે.
પંજાબમાં પણ ગ્રાહકોની સંખ્યા ઘટી
જિયોના ગ્રાહકોની સંખ્યા પંજાબમાં પણ ઘટી છે અને નવેમ્બરમાં 1.40 કરોડ ગ્રાહકોની સંખ્યમાંથી ઘટીને ડિસેમ્બરમાં 1.24 કરોડ રહી ગઈ, જ્યારે કે એરટેલના ગ્રાહકોની સંખ્યા આ જ સમયમાં 1.05 કરોડથી વધીને 1.06 કરોડ થઈ ગઈ અને વીના ગ્રાહકોની સંખ્યા 86.42 લાખ હતી જે ડિસેમ્બરમાં વધીને 87.11 લાખના આંકડે પહોંચી છે.
બીએસએનએલના ગ્રાહકો પણ વધ્યા
જો કે સરકારની સામે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે, પણ જિયોની સામેનો આક્રોશ એટલો વ્યાપક હતો, કે અહીં સરકારી કંપની બીએસએનએલના ગ્રાહકો પણ વધ્યા છે, માત્ર જિયો જ એકમાત્ર એવી કંપની બની ગઈ છે કે જેના ગ્રાહકો ઘટયા છે. જો કે આ સિવાય જો આખા દેશના ડેટા ઉપર નજર કરીએ તો જિયોના ગ્રાહકોની સંખ્યા આ બે રાજ્યો સિવાય બધે વધ્યા છે, વી એકમાત્ર એવી કંપની છે કે જેના યુઝર્સ આ બે રાજ્યો સિવાય બધે ઘટયા છે અને એરટેલ એકમાત્ર એવી કંપની છે કે જેના ગ્રાહકો દરેક સર્કલમાં વધ્યા છે.